સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. નર્મદા ડેમની જળસપાટી 20 દિવસમાં સવા 7 મીટર ઘટી છે. 1 જૂનના નર્મદા ડેમની જળસપાટી 123.38 મીટર હતી. જળસપાટી વધતા વીજમથકો 24 કલાક ચાલુ કરાયા હતા. રોજની 2.5 કરોડની વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.
વીજ મથકો ચલાવાતા 35 હજાર ક્યૂસેક પાણી ડિસ્ચાર્જ થાય છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 116.16 મીટરે પહોંચી છે. લાઈવ સ્ટોરેજ 670 મિલિયન ક્યૂબિક મીટર છે. પાવર હાઉસના 200 મેગાવોટ વીજ ક્ષમતાવાળા યુનિટ ચાલુ છે. જેમાં રોજની સરેરાશ 14 મિલિયન યુનિટ વીજળી પેદા થઈ રહી છે. ચોમાસા પહેલા ડેમની જળસપાટી ઘટાડવામાં આવી રહી છે.
અમદાવાદમાં વરસાદ થતા જ સ્વાદના શોખીનો દાળવડાની મોજ માણવા પહોંચી જાય છે. અમદાવાદના એસ જી હાઈવે પર દાળવડાની દુકાનોમાં બપોર બાદ ભારે ગરાકી જોવા મળતી હોય છે. કોરોનાના કારણે લાંબા સમયથી ગ્રાહકો નહોતાં પરંતુ વરસાદના કારણે રવિવારે અમદાવાદમાં મોટા પ્રમાણમાં ગ્રાહકો આવી રહ્યાં છે. હજુ પણ કોરોનાની અસર બજારમાં જોવા મળી રહી છે એથી અગાઉ જેટલું ઊંચું વેચાણ જોવા મળતું નથી. સાથોસાથ ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાના કારણે દાળવડાની કિંમતો પણ વધી છે.
તો આ તરફ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. હાલોલ, ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હાલોલમાં ભારે પવન સાથે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાલોલના હવેલી વિસ્તાર, માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા હતા. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. જામનગરના કાલાવડ,જામજોધપુર,લાલપુર અને ધ્રોલ પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે કાલાવડના ગ્રામ્ય વિસ્તારોના ખેતરો તળાવમાં તબદીલ થઈ ગયા છે. પંથકમાં ખેતરમાંથી પાણી ચેક ડેમની જેમ વહી રહ્યું છે.
નડીયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં વરસાદ પડ્યો. આણંદમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ નડિયાદમાં વરસાદ શરૂ થઇ ગયો છે. ડાકોર, ગળતેશ્વર, ઠાસરામાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે માતર, ખેડા, કપડવંજ સહિતના વિસ્તારમાં વરસાદ છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
અમરેલીના વડિયામાં સીઝનનો પ્રથમ વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. વડિયા, મોરવાડા, બરવાળા બાવળામાં વરસાદ પડ્યો હતો. રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, રેસકોર્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, ઝરમર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક હતી.
વીરપુરમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે બીજા દિવસે પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીરપુરમાં અંદાજીત એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા અને ખેતરમાં પાણી વહેતા થયા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે...રોડ ઉપર પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે.