ચાલુ વર્ષે મેઘરાજા હાથતાળી આપતા હોય તેમ ગીર સોમનાથ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસુ પાછું ખેંચાયું, જગતના તાત સહિત સૌ કોઈ ચિંતામાં મુકાયા છે
ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા
જિલ્લાના ડેમમાં ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું જ પાણી
અનેક પંથકમાં ખેડૂતો વાવણી પણ કરી શક્યા નથી
ગીર સોમનાથ જિલ્લાની 5 સિંચાઈ યોજનાઓમાં પીવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે વરસાદ ખેંચાય તો ઓગસ્ટ મહિના બાદ હિરણ 2 સિંચાઈ યોજના કે, જે વેરાવળ સોમનાથને પીવાનું પાણી તેમજ ઉદ્યોગોને વપરાશનું પાણી આપે છે. તેમાં પાણી ખાલી થઈ શકે છે અને વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
ચાલુ વર્ષે મેઘરાજા હાથતાળી આપતા હોય તેમ ગીર સોમનાથ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસુ પાછું ખેંચાયું છે. જગતના તાત સહિત સૌ કોઈ ચિંતામાં મુકાયા છે. સામન્ય રીતે જૂન મહિનામાં રાજ્યભરમાં ચોમાસાનું આગમન થયા બાદ જુલાઈ મહિનામાં નદી-નાળાઓ વહેવા લાગતા હોય છે. પરંતુ જુલાઈ મહિનાનું એક અઠવાડિયું પસાર થઈ જવા છતાં હજુ કયાંય મેઘરાજાએ હેત વરસાવ્યો નથી. રાજ્યભરમાં લગભગ અનેક ખેડૂતોને વવાણી પણ બાકી અને જેમણે વાવણી કરી છે. તેઓ પણ પોતાનો પાક સુકાય જવાની ભીતિને લઈ ચિંતામાં મુકાયા છે.
પિયતની સાથે-સાથે જો આગામી દિવસોમાં સારો એવો વરસાદ ન પડે તો, લોકોને પીવાના પાણીની પણ વિકટ સમસ્યા સર્જાય શકે છે. ગીર સોમનાથ જિલ્લાને પીવાનું પાણી પૂરું પડતા અને ગીર મધ્યમમાં આવેલા ડેમોની. ગીર સોમનાથ જિલ્લાના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર એ.પી.કલ્સરિયા અનુસાર જિલ્લાની 5 સિંચાઈ યોજનામાં નીચે પ્રમાણે પાણીનો જથ્થો આજની પરિસ્થિતિમાં છે.
હિરણ 2 ડેમમાં 77 mcft (મિલયન ક્યુબીક ફૂટ) પાણી ઉપલબ્ધ છે. જે ડેમની કુલ ક્ષમતાનું માત્ર 6% પાણી વધ્યું છે. જે આગામી ઓગસ્ટ માસના અંત સુધી ચાલી શકે તેટલું છે. આ આંકડાને લિટરમાં કન્વર્ટ કરવામાં આવે તો 218 કરોડ લીટર જેટલું પાણી હજુ ડેમમાં ઉપલબ્ધ છે. જે આગામી માસ સુધી ઉદ્યોગો અને નગરપાલિકાઓને પૂરું પાડી શકાશે. હિરણ 1 સિંચાઈ યોજના જંગલ મધ્યમાં આવેલી છે ત્યાં 150 mcft પાણી છે. જે ડેમની કુલ ક્ષમતાનું 20% છે. ઉલ્લેખનીય છે કે તેમાંનું 100 mcft પાણી વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે.
શીંગોડા પરિયોજનામાં હાલ 200 mcft પાણી છે જે ડેમની કુલ ક્ષમતાનું 15% છે.
મછુન્દ્રી પરિયોજનામાં હાલ 630 mcft પાણી છે જે ડેમની કુલ ક્ષમતાનું 60% છે.
આ સાથે રાવલ ડેમમાં જિલ્લાનું સૌથી વધુ 750 mcft પાણી છે જે ડેમની ક્ષમતાનું 75% છે.
હાલમાં જિલ્લાના તમામ ડેમમાં પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા છે. અને હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ચોમાસુ સક્રિય થશે અને ગીર સોમનાથ સહિત સમગ્ર રાજ્યમાં સારો એવા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમ છતાં જો વરસાદ વધારે માત્રામાં ખેંચાય છે અને ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ ન થાય તો, હિરણ 2 ડેમનું પાણી પૂર્ણ થઈ શકે છે. જે સોમનાથ તીર્થ, વેરાવળ પાટણ શહેર અને સ્થાનીય ઉદ્યોગો માટે મોટી સમસ્યા સર્જી શકે છે.