ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદ અને મધ્યપ્રદેશના ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમમાં 22 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
જેના કારણે ડેમની જળસપાટી 121.02 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં ડેમની જળસપાટીમાં 23 સેન્ટીમીટરનો વધારો થયો છે. જ્યારે ડેમમાં હાલ 1300 MCM પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. ડેમની જળસપાટીમાં વધારો થતાં ગુજરાતના ખેડૂતો માટે મેઈન કેનાલમાં 6 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની ભયજનક સપાટી 121.92 મીટર છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ મધ્યપ્રદેશ અને ગુજરાતના ઉપરવાસના ભાગમાં વરસાદ પડતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં નર્મદા ડેમમાં 31 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેને લઈને ગઇકાલે નર્મદા ડેમની સપાટી 120.62 મીટરે પહોંચી ગઈ હતી.
જેમાં આગલા દિવસ કરતાં ડેમની સપાટીમા 33 સેમીનો વધારો થયો હતો. આમ સતત છેલ્લા કેટલાક દિવસથી મધ્ય પ્રદેશ તેમજ આસપાસના વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદના પગલે ગુજરાતની જીવા દોરી સમાન ગણાતાં નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા અષાઢી બીજથી નહેરોમાં નર્મદા ડેમનું પાણી ખેડૂતો માટે છોડવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ હાલમાં નહેરમાં નર્મદા ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં રાજ્યના ખેડૂતો માટેની કેનાલમાં 6 હજાર ક્યુસેક પાણી ખેતીને લઇને છોડાઇ રહ્યું છે.