ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં થઈ ભારે રહેલા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી 50 હજાર 456 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 52 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની જળસપાટી 131 મીટર સુધી પહોંચી છે. ત્યારે હવે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ આ સીઝનમાં તેની મહત્તમ સપાટીએ પહોંચે તેવી પૂર્ણ શક્યતા છે. ગત વર્ષ કરતા આ વર્ષે 2592 mcm લાઈવ સ્ટોક પાણી વધુ સંગ્રહ થયુ છે. 2018માં પાણીનો લાઈવ સ્ટોરેજ સંગ્રહ માત્ર 46.20 mcm હતો તેની સામે આ વર્ષે 2639 mcm લાઈવ સ્ટોક ઉપલબ્ધ છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદને કારણે અડધું અડધ 4.5 maf પાણી મળી શક્યું હતું. તેની પાછળનું મુખ્ય કારણ કેચમેન્ટ વિસ્તારમાં પણ માત્ર 451 મી.મી. વરસાદ ખાબક્યો હતો. આ વર્ષે તેના કરતાં ડબલ વરસાદ વરસ્યો છે. હાલમાં પાણીની સપાટી 131.10 મીટર છે, ગત વર્ષે માત્ર 111.03 મીટર જ હતી.
સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાશે
સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવશે. સવારે 7 વાગ્યે ડેમના દરવાજા ખોલવામાં આવશે. નર્મદા ડેમમાં 6 લાખ ક્યુસેક પાણીની આવવાની ધારણા કરવામાં આવી છે. ડેમની સપાટી રાત્રે 1 વાગ્યે 131 મીટર પહોંચી શકે છે. હાલ ડેમની સપાટી 131.10 મીટર પહોંચી છે. ડેમમાં હાલમાં પાણીની આવક 5.05 લાખ ક્યુસેક છે. દર કલાકે સપાટીમાં 32 સેમીનો વધારો થયો છે. ડેમમાંથી 10 હજાર 700 ક્યુસેક પાણીની જાવક થઇ છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીકાંઠાના વિસ્તારમાં અવર-જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ડેમને 131 મીટર સુધી ભરવાની મંજૂરી આપી છે.
દરવાજા ખોલવા મામલે જીતુ વાઘાણીનું નિવેદન
સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવાના નિર્ણય અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસની આડોડાઈના કારણે અત્યાર સુધી ગુજરાતને પાણી મળતું ના હતું. નરેન્દ્રભાઈની સરકારે દરવાજા નાખવાનો નિર્ણય કર્યો હતો. આ વર્ષે ભગવાને પણ આશીર્વાદ આપ્યા છે અને ડેમમાં પાણી આવ્યા છે. નવા નીર આવ્યા કાલે ડેમના દરવાજા ખોલવામાં આવશે.
આમ ગુજરાતની જીવાદોરી આ વર્ષે સંપૂર્ણ ભરાઈ જશે તેવી આશા સર્જાઈ છે. 2017માં ગેટ બંધ થયા બાદ ઓવરફ્લો બંધ થયો હતો નહિતર આ વર્ષે ડેમ 6 મીટરથી ઓવરફ્લો થયો હોત અને લાખો ક્યુસેક્સ પાણી દરિયામાં વહી ગયું હોત. સરકારની ઈચ્છા હતી કે સરદાર સરોવર નર્મદા ડ્રમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાય જેથી પીવા અને સિંચાઈનું પાણી તેમજ વીજળી ઉત્પન્ન કરી શકાય. અને સાચા અર્થમાં બહુહેતુક યોજનાનો હેતુ સિદ્ધ થઈ શકે. ડેમમાં પાણી વધવાથી ગુજરાત સાથે મહારાષ્ટ્ર અંર મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનને પણ ફાયદો થશે. જો કે પાણીની આ વિપુલ આવક માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલ વરસાદને કારણે થયેલ છે. હજી નર્મદા ડેમનાં અન્ય બંધોમાંથી પાણી છોડાયું નથી પણ આવનાર દિવસોમાં જ્યારે તે ડેમોમાંથી પાણી છોડવાની સ્થિતિમાં વધુ આવક થશે. ત્યારે 131 મીટર સુધી પાણી ભરી સરકાર ડેમની મજૂબૂતાઈ ચેક કરશે. નર્મદા ડેમની 138 મીટર સુધીની ક્ષમતા છે.