હિંમતનગર: ઉનાળાની શરૂઆત થતા જ પાણીની બુમો શરૂ થઈ છે. હિંમતનગરથી માત્ર 15 કિમી દૂર આવેલા વીરાવાડા ગામમાં પાણીની જોરદાર સમસ્યા છે. અનેક સરપંચ બદલાઈ ગયા ધારાસભ્યો બદલાઈ ગયા તમામ લોકોને અનેક રજૂઆત કરી પરંતુ પાણીનો પ્રશ્ન ઠેરનો ઠેર છે. ગામના લોકોનું કહેવું છે કે ત્રણ ચાર દિવસે પાણી આવે તો આવે છે. બાકી અઠવાડિયે પણ આવે છે.
આ ગામના લોકો મોટા ભાગે પશુપાલનનો વ્યવસાય કરે છે. ત્યારે માણસોને પીવાના પાણીની સમસ્યા છે તો અબોલા પશુઓની સ્થિતિ કફોડી છે. આ મામલે અનેક રજૂઆત છતાં કોઈ પગલા ન ભરાતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને પંચાયત ઓફિસ બહાર માટલા ફોડી વિરોધ કર્યો હતો.
ઉનાળાની શરૂઆતમાં જ પાણીનાં પોકારથી સરકારની વિકાસની વાતો પોકળ સાબિત થઈ છે. ત્યારે પૂરવઠા અધિકારીના મતે તલોદ પ્રાંતિજ અને હિંમતનગરમાં નર્મદા આધારિત એસ.કે વન યોજના ચાલુ છે અને પાણી પુરતું આપવામાં આવે છે. તો પાણીની બુમરાણો કેમ આવી રહી છે તે એક સવાલ છે. એક તરફ ગામના લોકો પાણીની બૂમો પાડે છે ત્યારે સરકારી બાબુ પાણી મળે છે તેમ કહી રહ્યા છે આમા સાચુ કોણ કહી રહ્યું છે.
આ મામલે પાણી પુરવઠા અધિકારીઓ કહે છે સાબરકાંઠા જીલ્લામાં કયાંય પીવાના પાણીની સમસ્યા નથી. તો વિરાવાડા ગામમાં વર્ષો પાણીની સમસ્યાને લઇ પંચાયતની મહિલા સભ્યો સહિત સરપંચે તંત્રની કામગીરી સામે રોષ વ્યકત કર્યો છે. હવે અધિકારીઓ ગામના પ્રશ્નનું નિરાકરણ લાવશે કે બસ સબ સલામતના દાવા કરશે તે જોવું રહ્યું.