ઉનાળાનાં પ્રારંભે જ બનાસકાંઠાનાં સરહદી વિસ્તારનાં ગામો પાણીને લીધે બેહાલ છે. પાણીનાં એક બેડા માટે ઠેર-ઠેર ભટકવું પડે છે. તો પશુઓની હાલત પણ દયાજનક છે. અધૂરામાં પૂરું ગયા વર્ષે વરસાદ ઓછો થવાંને લીધે હેન્ડપંપ અને કૂવાનાં તળ પણ ડૂકી ગયાં છે. જેને લીધે બનાસકાંઠાનાં સરહદી વિસ્તારનાં ગામોનાં લોકો પાણી માટે રીતસરનાં ટળવળી રહ્યાં છે.
ઉનાળાનાં આરંભે જ ગુજરાતભરમાં પાણીની કટોકટી સર્જાઈ રહી છે. બનાસકાંઠાનાં અનેક વિસ્તારો પાણી વગર ટળવળી રહ્યાં છે. રાજસ્થાનને અડીને આવેલાં બનાસકાંઠાનાં સરહદી ગામડાંઓમાં પાણી-પાણીનાં પોકાર પડી રહ્યાં છે. હેન્ડપંપ આગળ કેટલીક મહિલાઓ અને બાળકો ટોળે વળીને ઊભાં રહે છે. તેમને એવું હોય છે કે હમણાં જ પાણીનું ટીપું પડશે. પરંતુ એક હેન્ડપંપને ચલાવવા છતાં એક પણ ટીપું બેડાંમાં પડતું નથી અને પાણી વગરનો વધુ એક દિવસ પસાર થાય છે. દરરોજ પાણીની આશમાં મહિલાઓ એક ભટકતી રહે છે. પરંતુ પાણી તેમને માટે ઝાંઝવાનાં જળ જેવું જ સાબિત થાય છે.
બનાસકાંઠાનાં માનપુરિયા ગામની અહીં વાત કરવામાં આવી છે. માનપુરિયામાં આમ તો પાંચથી છ હેન્ડપંપો આવેલાં છે. પરંતુ એક પણ હેન્ડપંપમાં પાણી નામે ટીપું પડતું નથી. તમામ હેન્ડપંપ બંધ હાલતમાં છે. તો માનપુરિયા ગ્રામ પંચાયતનો બોરમાં પણ પાણી નહીંવત છે. બબ્બે કિલોમીટર દૂર-દૂર જઈને લોકોને પાણી લાવવું પડે છે. છેલ્લાં એક મહિનાથી આ વિસ્તારમાં પાણીની તંગી પ્રવર્તી રહી છે અને લોકો આ પરિસ્થિતિ સામે બિલકુલ લાચાર છે.
પાણી વગર ટળવળતા માનપુરિયાનાં ગ્રામજનો અને પશુની હાલતને લઈને જ્યારે બનાસકાંઠાનાં જિલ્લા કલેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે લોકોની પાણીની મુશ્કેલીને પહોંચી વળવા તૈયારી કરી લીધી છે. તો બનાસકાંઠાનાં સરહદી વિસ્તાર અમીરગઢ ઈકબાલગઢનાં ગામડાંઓની હાલત પણ પાણી વગર દયાજનક છે. પાણી માટે આ વિસ્તારનાં લોકોને ઠેર-ઠેર ભટકવું પડે છે. ગામમાં હેન્ડપંપ અને કૂવામાં પાણી ખાલીખમ છે.
ગયાં વર્ષે ઓછો વરસાદ થવાંને કારણે હેન્ડપંપ અને કૂવાનાં તળ પણ ડૂકી ગયાં છે. અમીરગઢ ઈકબાલગઢનાં ગામડાંઓમાં વસતાં લોકો સાથે ઢોર પણ પાણી માટે વલખાં મારી રહ્યાં છે. અમીરગઢ તાલુકાનાં અમુક ગામોમાં હાલ પાણીનાં ટેન્કરો શરૂ કરાયાં છે. ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. પશુઓ માટે હવાડા ભરવાનું પણ કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યારે અંતરિયાળ ગામોમાં તો પાણીનાં ટેન્કરો પણ પહોંચ્યાં નથી. અમીરગઢનાં અંતરિયાળ ગામો આજે પણ પાણી માટે ટળવળી રહ્યાં છે. આમ, બનાસકાંઠાનાં સરહદી વિસ્તારોમાં પાણી માટે રોજને રોજ સમસ્યા વકરતી જાય છે. લોકોને જીવવું દુષ્કર બની ગયું છે. ત્યારે તંત્ર ક્યારે જાગશે તે મોટો સવાલ છે.