ચોમાસાની ઋતુ હવે શરૂ થવાની તૈયારીમાં છે. પરંતુ સાથે સાથે ઉનાળો પણ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. હાલત એ થઈ છે કે ક્યાંય વાદળછાયા વાતાવરણનાં સંકેતો દેખાતા નથી અને આ તરફ જળાશયો સૂકાઈ રહ્યાં છે. તંત્ર દ્વારા આગમચેતીનાં ભાગરૂપે હવે જળાશયોમાંથી સિંચાઈનું પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં પાણીનું બાષ્પીભવનનું પ્રમાણ વધી રહ્યું છે. તો બીજી તરફ પીવાના પાણી માટે નાગરિકોની હાલાકી અસહ્ય બની રહી છે. તે જોઈએ આ અહેવાલમાં.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના મોટા થઈને 14 જેટલા જળાશયો આવેલા છે અને અને તમામ જળાશયમાં સરેરાશ 14 ટકા જેટલુ જ પાણી બચ્યું છે. જેના કારણે અગમચેતીના ભાગ રૂપે સિંચાઈ વિભાગ દ્વારા સિંચાઈ માટે પાણી આપવાનુ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યુ છે, કારણ કે બાષ્પીભવન થઈને પણ પાણી દિવસે ને દિવસે ઘટી રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય ગણાતા એવા પાંચ ડેમ છે અને અને તે તમામ ડેમમાં પાણીનો જથ્થો સરેરાશ 13 ટકા જેટલો જ છે અને હવે ચોમાસાની ખેતીની સિઝનની શરૂઆત થશે ત્યારે ખેડુતોની પણ માંગ છે કે સિંચાઈ માટે પાણી આપવામાં આવે.
કેમ કે, ગયા વરસે વરસાદ ઓછો પડવાના કારણે કૂવાનાં તળ નીચા ગયાં છે અને બીજી તરફ જળાશયો માથી સિંચાઈ માટે પાણી પૂરતું મળી રહ્યું નથી. પરંતુ ખેડૂતો આગોતરી વાવણી કરવા ઈચ્છી રહ્યાં છે. આથી ચોમાસાનો વરસાદ વરસે ત્યાં સુધી જળાશયોમાંથી પાણી છોડાય તેવી ખેડૂત માગ કરી રહ્યાં છે. અરવલ્લી અને સાબરકાંઠામાં માત્ર સિંચાઈના પાણીની જ સમસ્યા ઉભી થઈ છે તેવું નથી.
પીવાનાં પાણીની સમસ્યા પણ લોકો માટે અસહ્ય બની રહી છે. પોશીના વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાના આ દ્રશ્યો ઘણુ કહીં જાય છે. પોશીના વિસ્તારમાં પીવાનાં પાણી માટે લોકો નદીના ખાડા પર આધાર રાખવા મજબૂર બન્યાં છે. પાણી માટે મહિલાઓ અને બાળકો એક બીજાની મદદથી 15 ફુટના ઢાળ ઉતરતા ખાડામાં ઊતરે છે. પીવાનાં પાણી મેળવવા માટે જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે. તો બીજી તરફ જળાશયોમાં રોજ ત્રણથી ચાર સેન્ટીમીટર પાણી બાષ્પીભવન થઈ રહ્યું છે અને બીજી તરફ તંત્ર ચોમાસુ ખેંચાવાની અગમચેતીના ભાગે પીવાનું પાણી નથી આપી રહ્યું અને આ તરફ લોકોએ પાણી માટે જીવલેણ કવાયત કરવી પડે છે.
ચોમાસુ શરૂ થવાને હવે વધારે દિવસો બાકી નથી. પરંતુ જે રીતે ચોમાસાની આગાહી થઈ રહી છે તેણે ખેડૂતો અને સામાન્ય વર્ગમાં ચિંતા ઊભી કરી છે. .આ વર્ષે ચોમાસું નબળું રહેશે તેવી આગાહીનાં કારણે સિંચાઈ વિભાગ પણ સચેત બન્યો છે અને કરકસરપૂર્વક પાણી છોડી રહ્યાં છે. પરંતુ તેનાં કારણે પીવાનાં પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે. જો વરસાદ પાછો ખેચાય તો આવનાર દિવસોમાં પાણીની સમસ્યા વધારે ઘેરી બને તો નવાઈ નહીં.