રાજ્યનાં અનેક વિસ્તારમાં લોકો હાલ પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યાં છે. પણ ગામથી એક કિલોમીટર દૂર નર્મદા કેનાલ છલોછલ ભરેલી હોય અને ગામનાં લોકોને પીવાનાં માટે વલખાં મારવા પડે તેને શું કહી શકાય. તંત્રની બેદરકારી કહો કે લાપરવાહી પણ મહેસાણા પાટણ જિલ્લાની બોર્ડર પર આવેલા ખોખલા ગામની આ વાસ્તવિકતા છે. આ ગામમાં વસતા 1000 લોકો ગામ નજીક આવેલા તળાવમાં 8થી 10 ફૂટ ઊંડા ખાડા કરીને પીવાનું પાણી મેળવે છે. આ મામલે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે.
મહેસાણા પાટણ જિલ્લાની બોર્ડર પર આવેલા અને મોઢેરાથી માત્ર 6 કિલોમીટર દૂર એવું આ છે ખોખલા ગામ. આ ગામ રાજ્યનાં અન્ય વિસ્તારોની જેમ હાલ પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યું છે. ગામમાં 1000 લોકો વસવાટ કરે છે અને તેમનાં માટે હાલ પીવાનાં પાણીનો એક માત્ર સ્ત્રોત ગામનાં તળાવમાં ખોદવામાં આવેલાં 8થી 10 ફૂટ ઊંડા ખાડા જ છે. ગામનાં તમામ લોકો અને પશુધન આ ખાડાઓમાંથી મળતા પાણી ઉપર જ જીવે છે.
પહેલી નજરે જોવામાં આવે તો ખાડામાંથી મળતું પાણી પીવાલાયક નથી. પણ બીજો કોઈ સ્ત્રોત ઉપલબ્ધ નહીં હોવાને કારણે ગામનાં લોકો આ ખાડાઓમાંથી પાણી લેવા મજબૂર છે. ગામ લોકોએ જેસીબી મશીન બોલાવી તળાવમાં 8થી 10 ફૂટ ઊંડા ખાડા બનાવ્યાં છે અને આ ખાડામાં ભરાયેલ પાણી ગામલોકો પીવા માટે ઉપયોગ કરે છે. કરુણતા તો એ છે કે આ ગામ નર્મદા કેનાલથી માત્ર કિલોમીટર જ દૂર છે. ગામ નજીકથી છલોછલ ભરેલી નર્મદા કેનાલ પસાર થાય છે પણ ગામનાં લોકોને આ રીતે પાણી મેળવવું પડે છે.
ખોખલા ગામ પ્રસિદ્ધ સૂર્યમંદિર મોઢેરાથી માત્ર 6 કિમી દૂર છે. આ ગામ મહેસાણા અને પાટણ જિલ્લાની બોર્ડર પર આવેલું છે અને આ જ કારણોસર આ ગામનું નથી તો મહેસાણા જિલ્લો ધ્યાન રાખતો કે નથી પાટણ જિલ્લો. ગામમાં 1000 લોકો વસવાટ કરે છે. આ તમામ લોકો એક જ સમાજનાં અને ખૂબ ગરીબ છે. ગામમાં તમામ લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે.
જો કે આ ગામ માટે પીવાનાં પાણીની સમસ્યા કોઈ નવી વાત નથી. વર્ષ 2005માં ગામમાં ટ્યુબવેલ બનાવ્યો હતો. પણ આ ટ્યુબવેલનું પાણી ખારું અને ફ્લોરાઈડવાળું હોવાંને કારણે તેનો પીવા માટે ઉપયોગ કરી શકાય તેમ નથી. એટલે ગામમાં ટ્યુબવેલ બન્યાં પછી પણ ગામ લોકોની પીવાનાં પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. આ મામલે વારંવાર ગ્રામજનોએ રજુઆત કરી છે. પણ ગ્રામજનોનાં માટે તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી.
મહેસાણા પાટણ જિલ્લાની બોર્ડર ઉપર આવેલ અનેક ગામમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. પણ અનેક ગામ એવાં છે કે ત્યાં પીવાનાં પાણી માટે લોકોને હાડમારી વેઠવી પડે છે. ખોખલા ગામમાં લોકો મહામુસીબતે પીવાનું પાણી મેળવે છે. ત્યારે પશુધન કેવી રીતે જીવાડવું તે એક સવાલ છે.