દક્ષિણ ગુજરાત પણ હવે ભોગવી રહ્યો છે પાણીની પારાવાર તંગી. ઉમરપાડા તાલુકાનાં અન્ય ગામોની જેમ ખાંભા બંગલી ગામની હાલત પણ પાણીને લઈને કફોડી બનતી જાય છે. જળસ્તર ઊંડા જવાને કારણે જળસંકટ ગ્રામજનોને ઘેરી રહ્યું છે. ત્યારે અહીં જોઈશું દક્ષિણ ગુજરાતનાં ખાંભા બંગલી ગામનાં જળસંકટનો સમગ્ર અહેવાલ.
માત્ર સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાં જ પાણીનાં પોકાર પડતા નથી. દક્ષિણ ગુજરાતમાં પણ પાણીની સમસ્યાથી ઘેરાયેલું છે. દક્ષિણ ગુજરાતમાં પણ પાણીની રોજે રોજ રામાયણ છે. રોજ સવાર પડે ને બહેનો પાણી ભરવા નીકળી પડે છે. અહીં દક્ષિણ ગુજરાતનાં ખાંભા બંગલી ગામમાં પાણીનાં વાસણો સાથે મહિલાઓ પાણી ભરવા નીકળી પડે છે.
ખાંભા બગલી ગામનાં ખૂણે-ખૂણે જ્યાં જ્યાં નજર કરશો ત્યાં લોકો પાણીનાં વાસણો સાથે જ જોવાં મળશે. અહીં નાના બાળકો, શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ બધાંને પાણી ભરવા સિવાય છૂટકો નથી. ઉનાળાની શરૂઆતથી જ આ વિસ્તારમાં પાણીનાં સ્તર જમીનમાં ઊંડા ઉતરી ગયાં છે અને જેને લઇ તાલુકાનાં નદી, નાળા, કુવા સુકાઇ ગયાં છે.
અહીં હેન્ડ પંપ અને બોરમાં પણ પાણી નથી. જેથી પાણી આવતું હોય તેવાં બોર કે હેન્ડ પંપ પર મસમોટી પાણીની લાઈનો લાગે છે. ઉપરથી વીજળીની અનિયમિતતા હોવાંને કારણે બોરમાંથી પાણી મેળવવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. મહિલાઓને પોતાનાં ઘરકામો છોડીને પાણી ભરવા નીકળી જવું પડે છે. તો વિદ્યાર્થીઓ પણ પાણી ભરવાને કારણે સરખું ભણી નથી શકતાં.
ગામમાં પાણીની સમસ્યા નિવારણ માટે સરકાર દ્વારા લાખોનાં ખર્ચે પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે અને ટાંકીમાં પાણી પહોંચાડવા માટે સંપ અને ઓવરહેડ ટાંકી સુધી પાઈપલાઈન પણ નાખવામાં આવી છે. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી જ ટાંકી બની છે, પંપ બન્યો છે ત્યારથી અત્યાર સુધી એમાં એક પણ ટીપું પાણી નથી આવ્યું અને તેનું કારણ જાણીને પણ તમને નવાઈ લાગશે.
આ પંપ ભરવા કે ઓવરહેડ ટાંકીમાં પાણી પહોંચાડવા માટે વીજળીની લાઈનનું કનેક્શન નથી આપવામાં આવ્યું. બોલો.....મીટર પેટી ફીટ કરી દેવામાં આવી છે. સંપ બનાવી દેવામાં આવ્યો છે, કદાચ કોન્ટ્રાકટરને પૈસા પણ ચૂકવી દેવાયાં હશે પરંતુ શું કોઈએ ચેક કર્યું કે ઘર-ઘર પાણી પહોચ્યું કે નહીં? મારા અને તમારા ખિસ્સાનાં લાખો રૂપિયાનાં વ્યય બાદ માત્ર એક વીજલાઈનને લઇને આખું ગામ પાણી વગર તરસે છે.
મહત્વની વાત તો એ છે કે વિવિધ યોજના હોવા છતાં પણ પાણી માટે ખાંભા બંગલીનાં રહેવાસીઓને ભર ઉનાળે રઝળપાટ કરવો પડે છે. દર વર્ષે ગામનાં લોકોને પાણીની આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે પાણીનાં આ કકળાટનો કાયમી ઉકેલ લાવવા સરકાર ખરેખર સક્રિય થવા માંગે છે કે નહીં તે એક મોટો સવાલ છે.