ગુજરાતમાં હજૂ ચોમાસાને આવતા 20-25 દિવસ લાગી શકે છે. તેવામાં રાજ્યના અંતરિયાળ ગામડાઓમાં પાણીની સ્થિતિ બદથી બત્તર બનતી જઈ રહી છે. આવું જ એક ગામ ઉના તાલુકામાં આવેલું છે. જ્યાં તંત્ર પીવા માટે પાણી પહોંચાડ઼વામાં ઊણું ઉતર્યું છે. જેના કારણે મહિલાઓએ દૂર-દૂર સુધી રઝડપાટ કરવો પડે છે. ત્યારે શું છે ધગધગતા તાપમાં પાણી માટે રઝડપાટ...
15 દિવસે આવે છે પાણી
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું 6 હજારની આસપાસ વસ્તી ધરાવતું કાજરડી ગામ જ્યાં 10 થી 15 દિવસે આવે છે પીવાનું પાણી. કેસરિયા જૂથ યોજના માં પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં નથી મળતું પીવાનું પૂરતું પાણી. એક તરફ સરકાર ની મોટીમોટી વાતો અને તરસે છે કાજરડી ગામ. 15 દિવસે પાણી આવવાથી ગામની મહિલાઓ કુવામાંથી સીંચી ને ભરે છે પાણી.
મહિલાઓ વહેલી સવારથી કૂવાની ફરતે લાગી જાય છે
આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કાજરડી ગામના, આપને આ દ્રશ્યો જોઈ લાગશે કે આ મહિલાઓ ટોળું વળીને શું કરે છે? પરંતુ આ મહિલાઓ કુવામાંથી પાણી સિંચી રહી છે. આમતો સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ગત વર્ષે સરેરાશ 70 ઇંચ જેટલો વરસાદ થયો હતો. પરંતુ તેમાં પણ સાથી વધી અસરગ્રસ્ત ઉના તાલુકો હતો. ત્યારે સવાલ એ થાય છે શા માટે આ મહિલાઓ કુવામાંથી પાણી સિંચે છે. ઉના તાલુકાના તમામ ડેમોમાં પાણી છે ગામમાં નર્મદાની પાઇપ લાઈન છે. છતાં આ ગામની મહિલાઓ વહેલી સવારથી કૂવાની ફરતે લાગી જાય છે.
તંત્રની બેદરકારીના હિસાબે પાણી ન મળ્યું?
પંચાયત દ્વારા ઘરે ઘરે નળ કનેકશન તો આપી દેવામાં આવ્યા છે. છતાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ગયા ચોમાસે વરસાદ પણ સારો પડ્યો પણ તંત્રની બેદરકારીના હિસાબે પાણી ન મળવાનું ગામની મહિલાઓ જણાવી રહી છે. સરકાર એક તરફ મહિલા સશક્તિકરણ, બેટી બચાવ-બેટી પઢાવ અને નારી શકતીને ઉજાગર કરવાની વાતો કરે છે પરંતુ ક્યાં?
ભૂલકાઓ અને બાળાઓ કુવામાંથી પાણી સીંચે છે
અહીં તમને દ્રશ્યો જોઈ ને લાગ છે કે ખરા અર્થમાં આ વાક્ય સાર્થક થયા છે ખરા? ત્યારે હવે તો ગામડાની મહિલાઓને પણ ખબર પડી ગઈ છે. સરકાર ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં પાણી આપે છે અને ગામડાઓમાં નથી આપતી. શિક્ષણ મેળવવાની ઉંમરે આ ગામના ભૂલકાઓ અને બાળાઓ કુવામાંથી પાણી સીંચી રહ્યા છે. મહિલાઓ પોતાના નાના ભૂલકાંઓને તેડી પાણી ભરવા આવે છે.
દર એકાંતરે પાણી વિતરણના દાવા
તો બીજી તરફ ગ્રામ કહેવા મુજબ સ્થાનિક ધારાસભ્યથી લઈ પાણી પુરવઠા અધિકારીઓને અનેકવાર રજુઆત કરવા છતાં આજ દિન સુધી ગામને પૂરતા પ્રમાણ અને યોગ્ય સમયે પાણી મળતું નથી. ગામની વસ્તી મુજબ પાણીની જે જરૂરિયાત છે તે પ્રમાણે મળે તો આ દ્રશ્યો ના સર્જાય. ત્યારે આ બાબતે ઉના પાણી પુરવઠા બોર્ડના નાયબ અધિકારી જોડે વાત કરતા તેઓએ કાજરડી ગામને દર એકાંતરે પાણી વિતરણના દાવા કરી રહ્યા છે. પરંતુ ખરા અર્થમાં આ દ્રશ્યો જોઈ લાગતું નથી કે પાણી પૂરતા પ્રમાણમાં અને યોગ્ય સમયે આવતું હોઈ.