સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત-કચ્છમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 13% જ પાણી બચ્યું છે.
સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાત-કચ્છમાં પાણીનો પોકાર
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 13% જ પાણી બચ્યું
કચ્છના 20 ડેમમાં 16.90% જ પાણીનો સંગ્રહ બચ્યો
એક તરફ ગુજરાતમાં કાળઝાળ ગરમી પોતાનો પ્રકોપ ઓછો કરવાનું નામ નથી લઇ રહી. એવામાં સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં માત્ર 29 ટકા જ પાણી બચ્યું છે. ભર ઉનાળે સૌરાષ્ટ્રના ડેમો સૂકાભટ થઇ ગયા છે. ત્યારે હવે ઉત્તર ગુજરાત-કચ્છમાં પણ પાણીનો પોકાર ઉઠ્યો છે.
ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 13% જ પાણી બચ્યું
ગુજરાતમાં સિંચાઇ માટે પાણીની વાત તો દૂર રહી પરંતુ હવે પીવાના પાણીના પણ ફાંફા પડશે તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં માત્ર 29 ટકા જ પાણી બચ્યું છે. તો એવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતની જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 13% જ પાણી બચ્યું છે. જ્યારે કચ્છના 20 ડેમમાં 16.90% જ પાણીનો સંગ્રહ બચ્યો છે. ઉત્તર ગુજરાત-કચ્છના ડેમો સુકાવા લાગતા અહીંયા પણ પાણીનો પોકાર ઉઠવા લાગ્યો છે.
કચ્છના 20 ડેમમાં 16.90% જ પાણીનો સંગ્રહ બચ્યો
તમને જણાવી દઇએ કે, કચ્છના 20 ડેમમાં 16.90% જ પાણીનો સંગ્રહ બચ્યો છે. રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં પાણીની અછત વર્તાઇ રહી છે. અરવલ્લીના હાથમતી ડેમમાં 7.01% જ પાણી બચ્યું છે. બનાસકાંઠાના સીપુ ડેમમાં 0.45% જ પાણી બચ્યું છે તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પણ 8.48% જ પાણી ઉપલબ્ધ છે. જેના લીધે રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પાણી માટે ટેન્કરોની દોડાદોડ થઈ રહી છે.
મધ્ય ગુજરાતના 17 ડેમમાં પાણીનો જથ્થો 40.50 ટકા જ
રાજ્યની અંદર કચ્છમાં 10.56 ટકા તથા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં 3.37 ટકા, બોટાદમાં 7.65 ટકા, પોરબંદરમાં 20.84 ટકા, સુરેન્દ્રનગરમાં 19.53 ટકા તો જામનગરમાં 20.47 ટકા અને જૂનાગઢમાં 24.12 ટકા જ પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. ગુજરાતમાં અત્યારે ડેમોમાં પાણી મામલે સારી એવી સ્થિતિ જો ક્યાંય હોય તો તે છે દક્ષિણ ગુજરાતની. જેના 13 ડેમમાં 54.25 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં પણ 52.06 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. પરંતુ મધ્ય ગુજરાતના 17 ડેમમાં 40.50 ટકા જ પાણીનો જથ્થો છે.
સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં હાલ માત્ર 29 ટકા જ પાણી બચ્યું છે
વધુમાં તમને જણાવી દઇએ કે, રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના છેવાડા ગામડાઓને પીવાનું પાણી પુરૂ પાડતાં જળાશયોનાં તળીયા દેખાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં હાલ માત્ર 29 ટકા જ પાણી બચ્યું છે આશરે 70 ટકા ડેમો ખાલી થઈ ગયા હોવાનાં ચોકાવનારા આંકડા બહાર આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ દેવભૂમી દ્વારકા પંથકની છે આ જિલ્લાનાં ડેમોમાં માત્ર 3 ટકા જ પાણી હવે રહયુ છે અને હજુ ઉનાળાનાં દોઢેક મહિના જેટલો કપરો સમય કાપવાનો બાકી છે.
દ્વારકા જિલ્લાના ડેમોમાં તો માત્ર 3% પાણી રહ્યું
વાત કરીએતો સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી સ્થિતિ તો સૌરાષ્ટ્રમાં 141 ડેમોમાં માત્ર 29% જ પાણી બચ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના ડેમોમાં 38% , દ્વારકા જિલ્લાના ડેમોમાં 3% , બોટાદ જિલ્લાના ડેમોમાં 7%, સુરેન્દ્રનગર જિલ્લાના ડેમોમાં 19%, જામનગર જિલ્લાના ડેમોમાં 20% પાણી બચ્યું છે. તો વળી વાત કરીએ રાજકોટ જિલ્લાના 15થી વધુ ગામોની તો ત્યાં દરરોજ ટેન્કર ઉપર આધારિત રહેવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં મોટા ભાગનાં ડેમો તળિયા ઝાટક
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રનાં ડેમો ગત ચોમાસામાં સારા વરસાદને કારણે ભરાઈ ગયા હતા અને પાણીનું ચિત્ર સારૂ ઉપસ્યું હતું પરંતુ આકરા ઉનાળાનાં બે મહિના પુરા થતાની સાથે જ મોટા ભાગનાં ડેમો ક્રિક્રેટનાં મેદાન બની ગયા છે. પંદરેક દિવસ બાદ સ્થિતિ વધુ ગંભીર બનશે તેવા સંકેતો મળી રહ્યાં છે.