23 એપ્રિલ 2019ના રોજ પ્રધાનમંત્રી મોદીએ પોતાના સૌથી નજીક ગણાતા સાથીદાર અમિત શાહ સાથે અમદાવાદમાં મતદાન કર્યુ. સાથે જ ભવ્ય રોડ શો પણ કર્યો અને લોકોને કહ્યું કે આતંકીઓના IED કરતા જનતાના વોટર ID ઘણાં મજબૂત છે. આ તમામ ઊજવણીઓની વચ્ચે કચ્છના જિલ્લામાં પાણીની તંગીથી ઝઝૂમતા આખા ગામે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ જ સમસ્યાને કારણે કેટલાંય માલધારીઓને પોતાની ભૂમિ છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું. આ વખતે ગુજરાતમાં ઐતિહાસિક આશરે 64 ટકા જેટલું મતદાન નોંધાયું હોવા છતાં કચ્છ જિલ્લામાં 2014ના 58 ટકા મતદાનની સરખામણીએ 4 ટકા ઓછું થયું હતું. જેનું મુખ્ય કારણ અહીં પાણીની વિકટ સમસ્યાને કારણે કેટલાંય માલધારીઓએ પોતાનું ગામ છોડવું પડ્યું.
એ જ રીતે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં પણ મતદાન બહિષ્કારની ઘટના બની હતી. આ જિલ્લાના હજારો ગ્રામજનોએ પ્રાઈવેટ પાક વીમા કંપની સાથે વિવાદને પગલે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે પાણીની ભારે તંગીને કારણે અમારો પાક નિષ્ફળ નીવડ્યો છે અને તેનું વળતર તેમને મળ્યું નથી.
બીજી બાજુ જ્યાં પીએમ મોદીએ મતદાન કર્યુ હતું તે અમદાવાદમાં જોઈએ તો શહેરમાંથી પસાર થતી આશરે 15 કિમી લાંબી સાબરમતી નદીમાં પ્રવાસીઓને આકર્ષવા માટે 'ઇન્ટર ઍલિયા' બોટ સર્વિસ ચાલુ રાખવા માટે પાણી ભરી રાખવામાં આવે છે. અને આ પાણી ક્યાંથી આવે છે તેમાં કંઈ બહુ વિચારવાની જરૂર નથી કારણકે અલબત્ત તે નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી અહીં પાણી ભરવામાં આવે છે. જેથી એક પ્રકારે સાબરમતી નદીના મૂળ સ્ત્રોતનો પણ આ એક અંત શરૂ થયો છે તેવું કહી શકાય. નર્મદાનું પાણી મુખ્યત્વે પીવા અને સિંચાઈના પાણી માટે સંગ્રહ કરવામાં આવતું હતું.
ગત 2 વર્ષમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આશરે 10 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો હતો. સતત ઓછા વરસાદના કારણે રાજ્ય સરકારે 2018ના મધ્યમાં વરસાદી પાણીનો મુખ્ય સ્ત્રોત હોય તેવી 32 નદીઓને પુનર્જીવિત કરવાનો પ્રોગ્રામ લૉન્ચ કરાયો.
ગુજરાતમાં ગત ચોમાસામાં (જૂનથી ઓગસ્ટ/સપ્ટેમ્બર 2018) છેલ્લાં 30 વર્ષની સરખામણીએ 75 ટકા જ વરસાદ પડ્યો હતો. કચ્છ જિલ્લામાં તેના સરેરાશ વરસાદની સરખામણીએ માત્ર 30 ટકા જ પડ્યો હતો જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદની સરખામણીએ 50 ટકા જ વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર 2018માં 35 ટકા ઓછા વરસાદથી પીડિત રહ્યું છે. વરસાદી સીઝન પૂર્ણ થયાના ત્રણ મહિના બાદ એટલે કે ડિસેમ્બર 2018માં 50 તાલુકાઓથી વધારે અને 15 જિલ્લાઓ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં હતાં. જેનો સીધો મતલબ હતો કે આશરે 200 જેટલાં ડેમ સંપૂર્ણપણે સૂકાઈ ગયા હતાં. આજે (એપ્રિલ 2019) સુધી પરિસ્થિતિ છે કે સૌરાષ્ટ્રના 138 નાના અને મોટા ડેમમાં માત્ર 11 ટકા પાણી જ છે.
17 વર્ષ બાદ નળસરોવર સૂકાયું
120.82 ચો કિ.મીમાં ફેલાયેલું નળસરોવર પણ આખરે સુકાઇ ગયું છે. અંદાજે 2 મહિનાથી નળસરોવર પાણી વિહીન બની ગયું છે. નળસરોવરને કિનારે આવેલાં 12 જેટલાં ગામોમાં પણ પાણીની અછત સર્જાઈ છે. નળસરોવર સુકાતા 12 ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. 2002 બાદ ફરી એક વાર નળસરોવર સુકાયું છે. તળાવ સુકાઇ જતાં 300 લાયન્સ ધારક નાવડીઓ ઠપ્પ થઈ ગઇ છે. સરોવર સુકાઇ જતાં 300 નાવડી ચાલકોની રોજગારી પર માઠી અસર થઇ છે. તમને જણાવી દઇએ કે ચોમાસામાં નળસરોવરમાં સરેરાશ 7થી 8 ફૂટ પાણી હોય છે. પરંતુ આ વખતે ઓછાં વરસાદનાં કારણે ચોમાસામાં પણ નળસરોવરનાં માત્ર 2થી 3 ફૂટ પાણી હતું.
પોરબંદર પણ પાણી તરસ્યું
પોરબંદર પંથકમાં ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત બરડા ડુંગરના નેસ વિસ્તારમાં વસતા માલધારી પરીવારને પણ પીવાનું પાણી નહી મળતા હાલ આ માલધારી પરીવારો મુશ્કેલીમાં મુકાયા છે અને માલધારીઓ નેસ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યા છે
કપરી પરિસ્થિતિ બરડા ડુંગરના ફુવારા નેસ વિસ્તારમાં રહેતા માલધારી પરીવારોની જોવા મળી હતી. વી.ટી.વી ન્યુઝની ટીમ જયારે ફુવારા નેસ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે માલધારી પરીવારોએ જણાવ્યુ હતુ કે અહીં અંદાજીત ૧પ જેટલા માલધારી પરિવારો વસવાટ કરે છે. આ તમામ પરિવારો અંદાજીત ૧૦૦ થી વધુ પશુધન છે, ત્યારે માલધારી પરીવારો અને પશુધનને પીવા માટે પાણીનું જળસંકટ ઘેરુ બન્યુ છે. છેલ્લા બે માસથી આ વિસ્તારમાં પીવાના પાણીને લઈને આ પરીવારો મુશ્કેલી વેઠી રહયા છે.
આર્થિક સ્થિતિ પર પડી રહી છે અસર
ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકોનું કહેવું છે કે પાણીની તંગીને કારણે આર્થિક રીતે પણ ફટકો પડી રહ્યો છે. નાના ધંધા અને રોજગારીમાં મંદી દેખાઈ રહી છે. પરિણામે રોજગારી અને ગુજરાન ચલાવવા માટે સ્થાનિકો પોતાની જમીન અને મિલકતો વેચીને હિજરત કરી રહ્યાં છે. સૂત્રો પ્રમાણે આશરે 35 ટકા પટેલ કમ્યુનિટી જે ખેતીનું કામ કરે છે તેઓ પોતાના ગામ છોડી અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં ફેક્ટરીમાં કામે લાગી ગયાં છે અથવા તો નાના-મોટા સ્ટોર શરૂ કરી દીધાં છે.
ચૂંટણીમાં મૂળ સમસ્યા ભૂલાય છે
સમગ્ર ગુજરાત જાણે છે કે પાટીદાર આંદોલન અનામત મેળવવા માટે શરૂ થયું હતું. પાટીદારોને અનામત તો ન મળી પરંતુ ભારત સરકારે 10 ટકા સવર્ણ અનામત મંજૂરી કરી હતી. જ્યારે બીજી બાજુ પાટીદારોને ખ્યાલ આવ્યો કે મૂળ સમસ્યા યુવા બેરોજગારી અને શિક્ષણની છે જેના પગલે ખેતી વ્યવસાય પણ વિકસતો નથી. ડિસેમ્બર 2018માં સૌરાષ્ટ્રમાં આ મુદ્દાને લઈને PAASએ 125 કિ.મી લાંબી ખેડૂતોની રેલી કાઢી હતી. આ રેલીમાં ખેડૂતોની મુખ્ય માંગ પાકના ટેકામાં ભાવવધારો, સિંચાઈ માટે પાણી અને પાક નિષ્ફળમાં યોગ્ય વળતર હતી.
જ્યારે બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે પાણી અને ખેતીને લઈને મુખ્ય અને મૂળ સમસ્યાઓથી જગતનો તાત ઝઝૂમી રહ્યો છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ભાજપ પાકિસ્તાન સાથેના તણાવોની વાતો કરીને વોટ લેવા ઉમટી પડી હતી. 2 દાયકાથી વધુ સત્તામાં રહેલી ભાજપના મંત્રી કુંવરજી બાવળિયા પણ રાજકોટના જિલ્લા વિસ્તારમાં જ્યારે મત માંગવા ગયા હતાં ત્યારે પાણીના પ્રશ્નને લઈને સ્થાનિકોએ તેમનો ઉધડો લીધો હતો. આવામાં જો ગ્રાઉન્ડ લેવલે જોઈએ તો સત્તાપક્ષને લોકોની મુખ્ય સમસ્યાઓના નિવારણમાં કોઈ રસ નથી તેવું કહી શકાય. આ વખતે પણ ADRના સર્વેમાં પણ ગ્રામીણ મતદારોની મુખ્ય સમસ્યામાં પાણી અને ખેતીને લગતી સેવાઓ હતી. જ્યારે અનામત અને પાકિસ્તાન સાથેના સંબંધો જેવા મુદ્દાઓ લિસ્ટમાં તળિયે હતાં.
23મીનું પરિણામ નિર્ણાયક
આવામાં કહી શકાય કે આ વખતની ચૂંટણી રાષ્ટ્રીય સુરક્ષા અને ખેડૂતોના વિકાસની સમસ્યાઓ વચ્ચે વહેંચાયેલું છે ત્યારે 23મી મેનું પરિણામ બતાવી દેશે કે ગુજરાતે આ વખતે શું નક્કી કર્યું છે.