ઉનાળો હજી બાકી છે ત્યાં તો ગુજરાતના આ વિસ્તારોમાં પાણીની તંગી. મોડાસામાં ડેમમાં પાણી છતાં ઉનાળે તરસે રહેવાનો આવી શકે વારો
ઉનાળા પહેલા જ રાજ્યમાં પાણીની પારાયણ
ક્યાંક તૂટેલી કેનાલોથી તાત પરેશાન
તો ક્યાંક ઉનાળા પહેલા પાણીની અછતના એંધાણ
વરસાદ અને ખેતી આ બંને એક બીજા સાથે સીધો સંબંધ ધરાવે છે. વરસાદ જ્યારે ધોધમાર આવે ત્યારે આપણે એવુ બહુ સાંભળીએ છીએ કે ચેકડેમો છલકાઇ ગયા. નદીઓ ઓવરફ્લો થઇ. પરંતુ ઉનાળો આવતા આવતા તો બધુ સાફ થઇ જાય છે. અને હાલમાં પણ એવુ જ થયું. હજી તો ઉનાળાની શરુઆત થઇ નથી ત્યાં જ ડેમોના તળિયા દેખાવા લાગ્યા. તો બીજી તરફ ભ્રષ્ટાચારીઓના પાપે લોકોને પાણી નસીબ થતુ નથી. ત્યારે આવી જ પાણીની પારાયણ ઉભી થઇ છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં. શું છે સ્થિતિ આવો જાણીએ
માઝૂમ જળાશના દરવાજાનું સમારકામ
અરવલ્લીના મોડાસા ખાતે આવેલો માઝૂમ ડેમ. આ ડેમ મોડાસા સહિત આસપાસના અનેક ગામોની તરસ છીપાવે છે. અનેક ખેડૂતોને આ પાણીથી સિંચાઇનો લાભ મળે છે. પરંતુ આ વખતે ઉનાળામાં શહેરીજનો અને ખેડૂતોએ પાણીની તંગીનો સામનો કરવો પડી શકી છે. કારણ છે માઝૂમ ડેમના દરવાજાનું સમારકામ. દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી ડેમનુ પાણી દરવાજા સુધી ખાલી કરવામાં આવશે જેથી પાણીનો સ્ટોક ઘટી જશે. જેથી ઉનાળામાં પાણીની અછત વર્તાઇ શકે છે.
પાણીની તંગી ન સર્જાય તેવું આયોજન કરો- નગરપાલિકા સભ્ય
મોડાસામાં વસનારા લાખો લોકો માઝૂમ ડેમ પર આધારિત છે. આ પાણીથી લોકોની તરસ છીપાય છે. પરંતુ હવે દરવાજાનું રિપેરીંગ કામ શરુ કરવાનુ હોવાથી પાણી સાચવી સાચવીને વાપરવુ પડશે નહી તો ઉનાળામાં તરસ્યા રહેવાનો વારો આવી શકે છે. જો કે મોડાસા નગપાલિકાના સભ્યો જણાવી રહ્યા છે કે દરવાજાનુ રિપેરીંગ કામ થાય તો પાલિકા દ્વારા કેવી રીતે લોકો સુધી પાણી પહોંચાડવુ તેના માટે આગોતરુ આયોજન કરવાની અપીલ કરી હતી.
કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા
આ તરફ છોટાઉદેપુરની સુખી જળાશય યોજના. આ યોજના હેઠળ ત્રણ તાલુકાના વિસ્તારમાં સિંચાઇનું પાણીપુરુ પાડવામાં આવે છે પરંતુ પાવી જેતપુરના ડુંગરવાટ ખાતે આ યોજના પોકળ સાહિત થઇ છે. કારણ કે સિંચાઇ યોજનાની કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા. જી, હા કેનાલોમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે જેને કારણે પાણી ખેતરો સુધી પહોંચતુ નથી. ડેમ 86 ટકા ભરેલો છે પરંતુ પાણી જ મળે નહી તો ખેડૂતો કરે શું..?
ખેડૂતોને ક્યારે મળશે સિંચાઇનું પાણી ?
હજારો ખેડૂતોને સિંચાઇનું પાણી આપતા આ ડેમમાં 146.81 મીટર સુધી પાણીનું જળસ્તર છે. જે ભયજનક લેવલ કરતા થોડુ જ ઓછુ છે. પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળે તો શું કામનું. પાણી છોડવામાં તો આવે છે પરંતુ તૂટેલી કેનાલો હોવાથી પાણી ખેતર સુઘી પહોંચતુ નથી. ત્યારે અહીં સવાલ એ થાય કે ક્યારે અધિકારીઓ ભ્રષ્ટાચારના ગાબડા પુરશે ? ક્યાં સુધી આવી જ રીતે ખેડૂતોએ સિંચાઇના પાણી માટે નિરાશ થવુ પડશે.? પાણી પુરતા માત્રામાં છે તો ખેતરો સુધી પહોંચે તેવુ આયોજન કેમ નથી ? ક્યારે થશે તૂટેલી કેનાલોનું સમારકામ ? ભર ઉનાળે ખેડૂતો કેવી રીતે કરશે ખેતી ? તાતની બસ એક જ માગ છે સિંચાઇનું પાણી મળશે ક્યારે ..