રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ વચ્ચે રાજકોટ સહિત રાજ્યના ઘણા શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે.
રાજકોટમાં ડેન્ગ્યુનો કહેર યથાવત
ડેન્ગ્યુના એક સપ્તાહમાં 9 દર્દી નોંધાયા
મનપા ઓછા આંકડા દર્શાવતું હોવાનો આક્ષેપ
રાજકોટમાં પાણીજન્ય અને મચ્છજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. વરસાદી સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે, રોગચાળો વકરતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરમાં વરસાદી વાતાવરણમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચકતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોગોના અટકાયતી પગલાંની તમામ કામગીરી વધુ ધનિષ્ઠ બનાવવામાં આવેલ છે, જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 9 દર્દી નોંધાયા
શહેરમાં રાજકોટમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. શહેરમાં એક અઠવાડિયામાં 9 દર્દી નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કેસની સંખ્યા 69 પહોંચી છે. આ ઉપરાંત તાવ, શરદી-ઉધરસ, મેલેરિયાના કેસમાં પણ સતત વધારો થયો છે. એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 283 કેસ, ઝાડા-ઊલટીના 73 અને સામાન્ય તાવના 61 કેસ નોંધાયા છે. આ આંકડા મહાનગરપાલિકાએ જાહેર કર્યા છે. જોકે, મનપા ઓછા આંકડા દર્શાવતું હોવાનો આક્ષેપ કરાયો છે.
મોડી સાંજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી
થોડા દિવસના વિરામ બાદ રાજકોટ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં વરસાદની વાત કરીએ તો શહેરમાં ગત રોજ સતત ત્રીજા દિવસે ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હતો. વીજળીના કડાકા સાથે માત્ર અડધા કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. શહેરમાં મોડી સાંજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. સાંજના 7 વાગ્યાથી મેઘરાજાએ તોંફાની બેટિંગ શરૂ કરી હતી અને માત્ર અડધા કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોને અસહ બફરાની વચ્ચે રાહત મળી હતી.