5 ઓગસ્ટ દેશ અને દુનિયાના કરોડો હિન્દુઓ માટે સૌથી ઐતિહાસિક દિવસ બની રહેવાનો છે. કારણ કે અનેક વર્ષોના ઈન્તજાર પછી પ્રભુ રામની નગરી અયોધ્યમાં મંદિર બનવા જઈ રહ્યું છે. 5 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદીના હસ્તે ભવ્ય રામ મંદિરનું ખાતમુહૂર્ત થવાનું છે. તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં ગુજરાતનો મહત્વનો ફાળો છે.
ગુજરાતના 912 પવિત્ર સ્થાનોની માટી અને જળ મોકલાશે અયોધ્યા
સંતોના હસ્તે માટી અને જળનું પૂજન થયા બાદ મોકલાશે અયોધ્યા
ગુજરાતના 912 પવિત્ર સ્થાનોની માટી અને જળ અયોધ્યા મોકલવમાં આવશે. સંતોના હસ્તે માટી અને જળનું પૂજન થયા બાદ અયોધ્યા મોકલવામાં આવશે. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ માટી અને જળને અયોધ્યા લઈને જવાના છે. ભવ્ય રામમંદિર નિર્માણમાં તમામ લોકોની આસ્થા સંકળાયેલી છે પરંતુ હાલ કોરોનાની મહામારીના કારણે તમામ લોકોને પરવાનગી આપવમાં આવી નથી. VHPએ મઠ, મંદિરો અને પવિત્ર સ્થાનોથી માટી-જળ માટે આહવાન કર્યું હતું. 5મી ઓગસ્ટે થનારા ભૂમિપૂજનના કાર્યક્રમમાં ગુજરાતની જળ-માટી અયોધ્યા મોકલવામાં આવશે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ સૌથી પહેલા અહીંથી મોકલીશુંઃ મોરારિબાપુ
તો બીજી તરફ મોરારિ બાપુએ જાહેરાત કરી હતી કે, ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં 5 લાખ રૂપિયા અર્પણ કરૂ છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને 5 કરોડ મોકલવામાં આવશે. જો હું કોઇ એક વ્યક્તિને સંકેત કરૂ તો તે એકલા હાથે કરી શકે. પરંતુ એમ નહીં મારે બધા શ્રોતા પાસેથી થોડા થોડા પૈસા એકત્ર કરવા છે. ઠાકોરજી અમારા મનોરથ પૂરા કરે તે માટે 5 કરોડ રૂપિયા મોકલીશું. મારી જે પણ કથા સાંભળે છે તેની પાસેથી જે પણ રૂપિયા આપે તે બધા રૂપિયા મળી 5 કરોડ રૂપિયા રામમંદિરના નિર્માણમાં મોકલીએ છીએ. કોઇ એક વ્યક્તિને નહીં પણ બધા જ શ્રોતાઓ પાસેથી આગ્રહ કરવામાં આવશે. આ મંદિર માટે મોરારિ બાપુ નહીં પણ સૌને લાગે કે આ મંદિર આપણું છે એવું લાગે.