ઘણા સમયથી ટીમથી બહાર ચાલી રહેલા મહેન્દ્ર સિંહ કઈ રીતે ટીમમાં વાપસી કરી શકે છે તે મુદ્દે પૂર્વ ક્રિકેટરે દાવો કર્યો. હાલમાં જ સંન્યાસ લીધા બાદ વસીમ જાફરે ટ્વીટ કરીને એમ એસ ધોની, ઋષભ પંત અને કે એલ રાહુલ વિશે ટીપ્પણી કરી છે.
વસીમ જાફરે ટ્વીટ કરીને આપી જાણકરી
લાંબા સમયથી બહાર ચાલી રહેલા એમ એસ ધોનીની અવગણના કરી શકાય નહીં
વર્લ્ડ કપ સેમીફાઈનલ મેચ બાદથી જ ધોની ક્રિકેટથી દૂર
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન એમ એસ ધોની મહિનાથી ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીનાં કરિયરને લઈને ઘણીવાર અટકળો લગાવવામાં આવે છે કે ધોની ક્યારે અને કેવી રીતે વાપસી કરશે અથવા તો ધોની ક્યારે લેશે તેને લઈને ઘણીવાર વિવિધ અહેવાલો આવ્યા છે. હાલમાં નિષ્ણાતોનું માનીએ તો ધોનીનું ભવિષ્ય IPLમાં તેમના પ્રદર્શન પર જ આધારિત છે. ત્યારે હવે ધોની કંઈ પ્રદર્શન કરે તે પહેલાં જ IPL રદ્દ થઇ જવાના અણસાર દેખાઈ રહ્યા છે. એવામાં હાલમાં જ ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર વસીમ જાફરે મોટું નિવેદન આપ્યું છે.
વસીમ જાફરે કહ્યું કે ધોની ભારતીય ટીમ માટે એક સંપત્તિ સમાન છે. જો તે ફીટ રહે છે અને ફોર્મમાં દેખાય તો તેમને અવગણી શકાય જ નહીં.
પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ટ્વીટ કરીને કહ્યું જો ધોની ફિટ રહે છે અને ફોર્મ પણ સારો રહે છે તો આપણે તેમના સિવાય કોઈને જોઈ ન શકીએ. ધોની સ્ટમ્પની પાછળ એક સંપત્તિ સમાન છે. કે એલ રાહુલ પર વિકેટકિપીંગનો સ્ટ્રેસ ઓછો થશે અને જો ડાબા હાથનાં બેટ્સમેનની જરૂર પડે તો ઋષભ પંતને ટીમમાં સામેલ કરી શકાય છે.
નોંધનીય છે કે વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ બાદથી ધોની ભારતીય ટીમથી દૂર છે. IPLમાં ધોનીની ધમાકેદાર વાપસી થશે તેવી આશા હતી પરંતુ હાલ IPLને પણ સ્થગિત કરી દેવામાં આવી છે.