તપાસ પૂરી થાય તેની રાહ જુઓ: રાજનાથ સિંઘ
તમિલનાડુનાં કુન્નુરમાં ગઇકાલે ભારતીય વાયુસેનાનાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ દેશના સેનના સર્વોચ્ચ અધિકારી CDS જનરલ રાવત અને તેમના પત્ની સહિત 13 જવાનો શહીદ થયા છે. રક્ષામંત્રી રાજનાથ સિંઘે આજે સંસદમાં કુન્નુર હેલિકોપ્ટર ક્રેશ મામલે નિવેદન આપ્યું હતું. તે બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ ઘટનામાં કોઈ પ્રકારનાં ષડયંત્રની આશંકા છે કે કેમ તેના પર રક્ષામંત્રીએ જવાબ આપતા કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂરી થાય તે પહેલા કંઈ પણ કહી ન શકાય.
લોકસભામાં રક્ષામંત્રી રાજનાથસિંહે આપ્યું નિવેદન
તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં દેશે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યા હતા. લોકસભામાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે આ ઘટના અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશને ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે. તેમણે જણાવ્યું હતું કે 11:48 એ હેલિકોપ્ટરે ઊડાન ભરી હતી. ત્યાર બાદ તેમાં આગ લાગી હતી. હેલિકોપ્ટરમાં 14 લોકો હાજર હતા જેમાંથી 13 લોકોના દુઃખદ નિધન થયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. એરફોર્સ દ્વારા તપાસ માટે કમિટીની રચના કરાઇ છે અને એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં કમિટી રચના કરવામાં આવી છે.
લોકોના મનમાં આશંકાઓ છે: વિપક્ષ નેતાઓએ ઉઠાવ્યા સવાલ
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યારે દેશમાં સર્વોચ્ચ સેનાપતિ જ સુરક્ષિત નથી તો દેશનું શું થશે? તેમણે કહ્યું કે MI-17V5 રશિયાનું સૌથી અત્યાધુનિક હેલિકોપ્ટર હતું. લોકોના મનમાં આશંકાઓ છે, શું થયું? આ કઈ રીતે થઈ શકે છે? લોકોના મનની શંકાઓને દૂર કરવાની જવાબદારી પ્રધાનમંત્રી અને રક્ષામંત્રીની છે. AAP નેતા સંજય સિંઘે કહ્યું કે આ એક ચિંતાનો વિષય છે કે આટલા સુરક્ષિત હેલિકોપ્ટરમાં આવી દુર્ઘટના કઈ રીતે થઈ શકે છે. પીએમ મોદી અને રક્ષામંત્રી કોઈ પગલાં ભરે જેથી ખબર પડે કે આ દુર્ઘટના થઈ કઈ રીતે?