સરકારના નિર્ણયો અને પેપર લીકને કારણે બે વખત રદ થયેલી બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આખરે 24મી એપ્રિલે યોજાનાર છે
ઉમેદવાર ગેરરીતિ કરતા પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરાશે
પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ પર પ્રતિબંધ
પરીક્ષા કેન્દ્રો પર CCTVથી મોનિટરિંગ કરાશે
ઉમેદવાર ગેરરીતિ કરતા પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરાશે
ત્યારે આ પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારો માટે ચેતવણી ઉચ્ચારી છે. જેમાં જણાવાયું છે કે, જો કોઈ ઉમેદવાર ગેરરીતિ કરતા પકડાશે તેને ત્રણ વર્ષ માટે તમામ ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. તેમજ તેની સામે ફોજદારી ફરિયાદ પણ થઇ શકે છે.
પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ પર પ્રતિબંધ
ગૌણ સેવા પસંદગી મંડળે કરેલી જાહેરાત મુજબ પરીક્ષા કેન્દ્રોમાં સીધી કે આડકતરી રીતે કોઇપણ પ્રકારની ગેરરીતિ સંપૂર્ણ પ્રતિબંધિત છે. પરીક્ષા કેન્દ્રમાં ચાલુ કે બંધ હાલતમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુ ટૂથ જેવા ઉપકરણો કે સંદેશા વ્યવહારના કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ઉમેદવારોનો પ્રવેશ પ્રતિબંધિત છે. ઉમેદવારોએ આ પ્રકારના સાધનોને પરીક્ષા કેન્દ્રની બહાર પોતાની જવાબદારીએ રાખવાના રહેશે.
પરીક્ષા કેન્દ્રો પર CCTVથી મોનિટરિંગ કરાશે
બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા અગામી 24મી એપ્રિલે યોજાનાર છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે. જેને લઈને સરકારે આ તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTVથી સજજ કરી દેવાયા છે. આ સાથે પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારની સાથે નિરીક્ષકો પણ મોબાઈલ નહી રાખી શકે.
આ પરીક્ષા માટે 10.45 લાખ ઉમેદવારોએ અરજી કરી
ઉલ્લેખનીય છે કે, બિન સચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની 3900 જગ્યાની ભરતી માટે 2019માં પરીક્ષા જાહેર કરી હતી. પરંતુ પરીક્ષાના થોડા દિવસ અગાઉ શૈક્ષણિક લાયકાતમાં સરકારે સુધારો કરતા સમગ્ર રાજ્યમાં આંદોલન થયું હતું. જેના પગલે સરકારે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. તે પછી યોજાયેલી પરીક્ષામાં પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના ત્રણ વર્ષ પછી ફેબ્રુઆરી 2022માં આ પરીક્ષા યોજવાની જાહેરાત કરાઇ હતી. ત્યારે હવે અગામી 24મીએ આખરે આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે 10.45 લાખ ઉમેદવારોએ અરજી કરી છે.
ઉમેદવારો માટે ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરાઈ
24મી એટલે કે, રવિવારે યોજાનાર બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મામલે ઉમેદવારોને મદદરૂપ થવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 120 3047 શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન 24મીએ સવારે 11 વાગ્યા સુધી ચાલું રહેશે. ઉમેદવારો પરીક્ષાલક્ષી કોઇપણ મુદ્દે આ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકશે.