વડોદરામાં હજુ પણ રખડતા ઢોર આતંક વોર્ડ ઉપપ્રમુખ જાગૃતિબેન પાઠકને ગાયે ફંગોળતા 4 ટાંકા આવ્યા હતા
રખડતા ઢોર મામલે મેયર કેયુર રોકડીયાનું નિવેદન
જાગૃતિબેન પાઠકને ગંભીર ઈજા થઇ તે હત્યાના પ્રયાસની જેમ કહી શકાય-મેયર
'ઢોર માલિક સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી'
વડોદરામાં રખડતા પશુનો ત્રાસ હજુ પણ યથાવત છે.વડોદરામાં ભાજપના જ વોર્ડ ઉપપ્રમુખને ગાયે ફંગોળ્યા હોવાની ઘટના બની હતી.વોર્ડ નં-11ના મહિલા ઉપપ્રમુખ જાગૃતિબેન પાઠક કચેરીએથી પરત ફરતા સમયે ગાયે ફંગોળ્યા હતા.આ ઘટના બાદ મેયર કેયુર રોકડિયાએ જાગૃતિબેન પાઠક સાથે વાત કરી હતી. તેમજ મનપા કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી સાથે ફોન પર સમગ્ર મામલે વાત કરી હતી.
હત્યાના પ્રયાસનો ગુનો નોંધાશે
મેયર કેયુર રોકડિયાએ કહ્યું કે, પશુ માલિક સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.જાગૃતિબેન પાઠક પોલીસમાં ફરિયાદ કરશે. જાગૃતિબેનને ગંભીર ઈજા થઇ તે હત્યાના પ્રયાસની જેમ કહી શકાય.પશુ માલિક સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી છે.હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા પોલીસ કમિશનરને વાત કરી છે. છેલ્લા બે માસમાં પાલિકાએ પશુ માલિકો સામે કાર્યવાહી કરી છે. પાલિકાએ 100 પશુ માલિક સામે પોલીસ ફરિયાદ કરી છે.સી.આર.પાટીલની ટકોરને અમે ગંભીરતાથી અને પોઝિટિવ લીધી છે.
કેમ હજુ સુધી વડોદરામાંથી રખડતા ઢોરનું રાજ ગયું નથી?
બીજી તરફ તંત્રની બેધારી નીતિ સામે સવાલો થઈ રહ્યા છે કે જો રખડતા ઢોરની અડફેટે કોઈ સામાન્ય માણસ આવે અને ગંભીર ઈજાઓ થાય તો કેમ કોઈ કડક કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવતી નથી. સી આર પાટીલ પહેલાથી જ રખડતા ઢોર મામલે વડોદરા તંત્ર અને મેયરની કામગીરી સામે સવાલ કરી ચૂક્યા છે. ત્યારે આ વખતે ભાજપના જ વોર્ડ ઉપપ્રમુખને ગાયે ફંગોળ્યા બાદ કાર્યવાહીના ભાગ રૂપે પોલીસ કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી છે કે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી જવાબદાર પર કાર્યવાહી થાય. તેમજ રખડતાં ઢોરને રાખવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી રહી છે.