વ્યક્તિનું શરીર વાત-પિત્ત અને કફ એમ ત્રણ પ્રકારની તાસીર ધરાવે છે. જો આ ત્રણેય તાસીરમાંથી એકેયમાં અસંતુલન ઉદ્ભવે તો સમસ્યા ઊભી થાય છે. આજે આપણે આ ત્રણ તાસીર પૈકીની એક વાત એટલે કે વાયુ વિશે વાત કરવાના છીએ.
વાયુ એટલે ગેસ. ગેસ પ્રત્યેક વ્યક્તિના શરીરમાં બને છે. એક દિવસમાં એક વ્યક્તિ સામાન્ય રીતે ઓછામાં ઓછા ૧૪થી ૨૩ વાર ગેસ પાસ કરે છે. જેમની પાચન શક્તિ નબળી હોય અથવા જેમને કબજિયાતની તકલીફ રહેતી હોય તેવી વ્યક્તિઓમાં મોટા ભાગે ગેસની સમસ્યા જોવા મળે છે.
ગેસ થવા પાછળનાં કારણો
કબજિયાતને કારણે ગેસ બને છે. જો ખોરાક લાંબો સમય સુધી મોટા આંતરડામાં રહે તો તેને કારણે ગેસ બને છે. ટૂંકમાં આંતરડાની પાચનક્રિયા મંદ પડી ગઈ હોય તો તેની અસરના ભાગ રૃપે ગેસ બને છે. ઝડપથી ખાવાનું ખાવાની અને પાણી પીવાની આદતને કારણે વધુ માત્રામાં હવા શરીરમાં જાય છે, જે ગેસ થવા માટે જવાબદાર છે. શારીરિક નિષ્ક્રિયતાને કારણે પણ ગેસ થાય છે. આવશ્યકતા કરતાં વધુ પ્રમાણમાં કેલરી લેવી. તીખો અને તળેલો ખોરાક લેવો.
શું છે લક્ષણો?
પેટનું ફૂલવું.
પેટમાં દુખાવો થવો.
વારંવાર ઓડકાર આવ્યા કરવા.
ગેસ પાસ કરવો વગેરે.
ઓડકાર અથવા ગચરકા આવવા.
સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે અન્નનો ઓડકાર આવ્યો એટલે કે પેટ ભરાઈ ગયું. હકીકતમાં ઓડકાર આવવાનું કારણ શરીરમાંથી ગેસ બહાર નીકળે છે તે છે. આપણે જ્યારે જમીએ છીએ કે કશું પીએ છીએ તો એ ક્રિયા કરતી વેળાએ આપણા શરીરમાં હવા જાય છે, તે ઓડકાર સ્વરૃપે બહાર નીકળે છે. જો તમને વારંવાર ઓડકાર આવતા હોય તો તેનો અર્થ એ છે કે તમારા પેટમાં વધુ પ્રમાણમાં ગેસ રહેલો છે. વધુ પડતા ઓડકારને કારણે પાચન તંત્રના ઉપરના ભાગમાં પેપ્ટિક અલ્સ જેવી બીમારી થઈ શકે છે.
ફ્લેન્ટુલેન્સ
સામાન્ય ભાષામાં આપણે તેને ગેસ પાસ કરવો કહીએ છીએ. વધુ પડતો ગેસ બનવો તેનો અર્થ એ કે વ્યક્તિના શરીરમાં કાર્બોહાઇડ્રેટનું અવશોષણ નથી થઈ રહ્યું.
પેટ ફૂલવું
ફાઇબરનું પ્રમાણ વધુ હોય તેવો ખોરાક લેવાને કારણે પણ જમવાનું ધીરે ધીરે પચે છે. તેને કારણે પણ પેટ ફૂલે છે અને બેચેની જેવું લાગ્યા કરે છે. પેટ સાથે જોડાયેલા કોઈ અંગના આકારમાં ફેરફાર થઈ રહ્યો હોય તો તેના કારણે પણ પેટ ફૂલે છે.
પેટનો દુખાવો
ઘણા લોકોને ગેસ થાય ત્યારે પેટમાં દુખાવો થતો હોય છે. જ્યારે મોટા આંતરડાની ડાબી બાજુ દુખાવો થાય ત્યારે હૃદય રોગના દુખાવાનો ભ્રમ ઊભો થતો હોય છે, પણ જ્યારે આ પ્રકારનો દુખાવો થાય તો તે એપેન્ડિક્સનો દુખાવો પણ હોઈ શકે છે.
ગેસ બનવા માટે જવાબદાર ખોરાક
કેળાં, સફરજન, જામફળ વગેરે ફળો
અનાજ
સોફ્ટ ડ્રિન્ક અને ફળોના રસ, દૂધ અને દૂધની બનાવટો, બ્રેડ, સલાડ વગેરે.
ગેસથી બચવાના ઉપાય
વધુ પડતો તીખો-તળેલો ખોરાક ન ખાઓ, તાણને કારણે પણ ગેસ થતો હોય છે તેથી પ્રસન્નચિત્ત રહો.
તાણથી દૂર રહેવાનો પ્રયત્ન કરો.
કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો.
ખાવાનું બરાબર ચાવીને ખાઓ.
જમ્યા પછી તરત જ ઊંઘવાની કે આડા પડવાની આદત હોય તો તે દૂર કરો.
થોડું ચાલવાનું રાખો. તેનાથી જમવાનું પચશે અને પેટ પણ નહીં ફૂલે.
શક્ય હોય ત્યાં સુધી નિયત સમયે જમવાનું રાખો.
મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરો.
ફાઇબરવાળો ખોરાક લો તો તેની સાથે વધુ પ્રમાણમાં પ્રવાહી લો.
સામાન્ય રીતે ગેસ ગંભીર સમસ્યા નથી, પરંતુ તેના તરફ જો બેદરકારી દાખવવામાં આવે તો તે ગંભીર બીમારીનું સ્વરૃપ ધારણ કરી શકે છે. જો ગેસની સમસ્યા વધુ પડતી હોય અને દૂર ન થતી હોય તો ડૉક્ટરનો સંપર્ક સાધો અને તેની ટ્રીટમેન્ટ લો.