શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવો છે
હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન પાકિસ્તાની પ્રધાનમંત્રી શેહબાઝ શરીફે એવું કહ્યું કે પાકિસ્તાન વાતચીત દ્વારા ભારત સાથે "કાયમી શાંતિ" રાખવા માંગે છે કારણ કે યુદ્ધ એ કાશ્મીર મુદ્દાને હલ કરવાનો કોઈ વિકલ્પ નથી.
યુદ્ધ એક વિકલ્પ નથી- શરીફ
શેહબાઝ શરીફે એમ પણ કહ્યું હતું કે આ ક્ષેત્રમાં ટકાઉ શાંતિ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો મુજબ કાશ્મીર મુદ્દાના ઉકેલ સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું, "પાકિસ્તાન આ ક્ષેત્રમાં શાંતિ જાળવવાનો સંકલ્પ કરે છે અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર આ ક્ષેત્રમાં ટકાઉ શાંતિને કાશ્મીર મુદ્દાના ઉકેલ સાથે જોડવામાં આવી છે. રિપોર્ટમાં તેમને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, અમે વાતચીત દ્વારા ભારત સાથે કાયમી શાંતિ ઇચ્છીએ છીએ કારણ કે યુદ્ધ એ કોઈ પણ દેશ માટે વિકલ્પ નથી.
અત્યાર સુધીના કોઈ પાકિસ્તાની પીએમે નથી આપ્યું આવું કોઈ નિવેદન
ઉલ્લેખનીય છે કે શેહબાઝ શરીફનું આ નિવેદન બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપનારુ છે. કારણ કે અત્યાર સુધી પાકિસ્તાનના એક પણ પ્રધાનમંત્રી તરફથી ભારતને લઈને આવું નિવેદન સામે આવ્યું નથી. શરીફે ધ્યાન દોર્યું હતું કે ઇસ્લામાબાદ અને નવી દિલ્હીમાં વેપાર, અર્થતંત્ર અને તેમના લોકોની સ્થિતિ સુધારવામાં સ્પર્ધા હોવી જોઈએ.
પાકિસ્તાન આક્રમણખોર નથી
પાકિસ્તાની પીએમે કહ્યું કે પાકિસ્તાન આક્રમણખોર નથી, પરંતુ તેની પરમાણુ સંપત્તિ અને પ્રશિક્ષિત સૈન્ય અવરોધક છે, તેમણે ઉમેર્યું હતું કે ઇસ્લામાબાદ તેની સેના પર તેમની સરહદોની સુરક્ષા માટે ખર્ચ કરે છે, આક્રમણ માટે નહીં.
પાકિસ્તાનની આર્થિક તંગી પર શું બોલ્યાં પીએમ
પાકિસ્તાનના અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) કાર્યક્રમ અંગેના પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશની આર્થિક કટોકટી તાજેતરના દાયકાઓમાં રાજકીય અસ્થિરતાની સાથે માળખાકીય સમસ્યાઓમાંથી ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનની શરૂઆતથી શરૂઆતના કેટલાક દાયકાઓમાં અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે પરિણામો લાવવાની યોજના, રાષ્ટ્રીય ઇચ્છાશક્તિ અને અમલીકરણની વ્યવસ્થા હતી.