ડોક્ટર અને દર્દીઓ વચ્ચેનો સંબંધ જીવનયાચક અને જીવનપ્રદાતા જેવો છે. પરંતુ આજકાલ બદલાયેલા માહોલમાં ડોક્ટર અને દર્દીઓ વચ્ચે સંઘર્ષ વધી રહ્યા છે. ક્યાંક ડોક્ટર દર્દીઓ સાથે નિર્દયતા પૂર્વક વર્તી રહ્યા છે તો ક્યાંક દર્દીઓ ડોક્ટર સાથે મારામારી પર ઊતરી પડે છે. પરંતુ હવે દર્દીઓ અને ડોક્ટર વચ્ચેની લડાઈમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ ઝંપલાવી દીધું છે. તો જનતાની સેવાના નામે જનપ્રતિનિધિઓ ડોક્ટર સાથે કેવી રીતે કરે છે મારામારી?
ડોક્ટરે દર્દીને તમાચો માર્યો
બે ઘટનાઓ બની હતી જેમાં સારવાર માટે સંઘર્ષ અને સંઘર્ષમાં રહેલા સારવાર વ્યવસાયની હકીકતને દર્શાવી રહ્યા છે. પ્રથમ ઘટનામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની છે. જ્યાં ઓર્થોપેડિક તબીબે સારવાર લઈ રહેલા એક દર્દીને તમાચો જડી દીધો હતો. વોર્ડ નંબર આઠમાં રેસિડેન્ટ ડોક્ટર હેમંત યાદવે અંકિત નામના એક દર્દી સાથે થોડી જીભાજોડી કરી અને પછી તમાચો મારી દીધો હતો.
નેતાએ ડોક્ટરને લાફા ઝીંક્યા
તો બીજી ઘટના એથી ઊલટી છે. વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ઓનડ્યૂટી સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર જયદીપ ગોસાઈને વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણીએ હોસ્પિટલમાં જ લાફા ઝીંકી દીધા હતા. પહેલા ડોક્ટરને તેમની કેબિનમાંથી બહાર બોલાવ્યા અને વેઈટિંગ એરિયામાં જાહેરમાંજ ડોક્ટર સાથે ભાજપના સેવકે તમચા અને મુક્કાબાજી કરી અને બન્નેની બથ્થાબથ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
દર્દી પાસે ડોક્ટર આવ્યા થોડીવાર દર્દીને ધમકાવ્યો અને...
ડોક્ટર અને દર્દીઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો હોય છે. ત્યારે સુરતથી તાજી સામે આવેલી ઘટનાની વિગતે વાત કરીએ તો સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં અંકિત નામનો દર્દી સારવાર લઈ રહ્યો હતો. તે પોતાની પથારી પર સૂતો હતો. ત્યારે રેસિડેન્ટ ડોક્ટર હેમંત યાદવ રાઉન્ડમાં નીકળ્યા હતા. તેઓ પહેલાતો અંકિત નામના દર્દીના બેડ પાસે આવે છે. થોડીવાર વાત કરે છે પછી અચાનક ડોક્ટર હેમંત યાદવ દર્દીને તમાચો મારી દે છે. ડોક્ટરના બદલાયેલા મિજાજથી દર્દી હતપ્રભ બની જાય છે અને પોતાના બેડ પર આડો પડી જાય છે. ડોક્ટર પછી પણ તેની સાથે થોડીવાર રકઝક કરે છે અને પછી બીજા દર્દીની સારવાર કરવા ચાલતી પકડે છે. આ ઘટના બાદ સિવિલ ઈન્ચાર્જે તપાસ કમિટી રચવાનું કહી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. જોકે તપાસ કમિટીના તપાસ રિપોર્ટ બાદ ડોક્ટર પર કાર્યવાહી થશે કે નહિ એ સવાલ દર વખતની જેમ યક્ષ પ્રશ્ન બની ઉભો છે.
હવે અમે તમને જે દ્રશ્યો દર્શાવવા જઈ રહ્યા છીએ તેમાં પણ ડોક્ટર છે પરંતુ અહીં તે મારમારવાની ભૂમિકામાં નથી અહીં તો ખુદ ડોક્ટરને માર પડી રહ્યો છે. વાંકાનેરની સરકારી હોસ્પિટલના વેઈટિંગ એરિયાના. મોરબી વાંકાનેરમાં ભાજપના નેતા જીતુ સોમાણી જનતાની સેવા કરવા હોસ્પિટલમાં આવ્યા હતા. કોઈ વ્યક્તિએ તેમને ડોક્ટર દ્વારા વૃદ્ધપેન્શન માટે ઉંમરનો દાખલો કાઢવામાં વિલંબ કરાતો હોવાની ફરિયાદ કરી તો ભાજપના નેતા જીતુ સોમાણીને સેવાનું શૂરાતન ચડી ગયું. તેઓ વાંકાનેર હોસ્પિટલમાં આવીને ડોક્ટરને તેમની કેબિનની બહાર ઘસડી લાવ્યા. ડોક્ટરને વેઈટિંગ એરિયામાં લાવ્યા બાદ જીતુ સોમાણી અને તેમના સાગરિતો ડોક્ટરને ઘેરી વળ્યા. થોડી રકઝક બાદ જીતુ સોમાણીએ ડોક્ટર જયદીપ ગોસાઈને તમાચા અને મુક્કાનો માર મારવાનું શરૂ કરી દીધું. ડોક્ટરે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થયા અને જનતાના નેતાએ ડોક્ટરને જમીન પર પછાડી દીધા. સારવારના ધામમાં શૂરાતનનો જે ખેલ ખેલાયો તેણે સેવાની વ્યાખ્યા જ બદલી નાખી. આ ઘટનાના સાક્ષી સારવારની રાહ જોતા દર્દીઓ બની ગયા. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.
આ બન્ને ઘટના પૈકી સુરત સિવિલની ઘટનામાં ડોક્ટર સામે તપાસ કમીટી નિમાઈ છે. તપાસ બાદ ડોક્ટરની વર્તણૂકને ગેરવાજબી ઠરાવવામાં આવશે તો મોરબીની ઘટનામાં ડોક્ટર ગોસાઈએ ભાજપના નેતા જીતુ સોમાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે પરંતુ સેવાભાવી નેતા હાલ ફરાર થઈ ગયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આવી ઘટનાઓ ના બને તે માટે તંત્ર કેવા પગલાં લે છે.