આજે બપોરે રાજકોટમાં મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતાં. આજી ડેમ નજીક આવેલ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજની દીવાલ અચાનક ધસી પડી હતી જેમાં 2ના મોત નિપજ્યા હતાં. જેમાં પ્રાથમિક તપાસ કરતા કંપનીના મેનેજરે નિવેદન આપ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે ઉંદરોના કારણે આ દીવાલ ધસી પડી છે.
આજીડેમ નજીક ઓવરબ્રિજની દીવાલ પડવા મામલો
WGEL કંપનીના મેનેજરનું નિવેદન
ઉંદરના કોતરવાને કારણે દીવાલમાં પાણી ઘૂસ્યું અને દીવાલ પડી
રાજકોટના આજીડેમ નજીક ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થવા મામલે WGEL કંપનીના મેનેજરે કહ્યું હતું કે ઉંદરના કોતરવાને કારણે દીવાલમાં પાણી ઘૂસ્યું હોય અને પોચી થઇ જતાં આ દુર્ઘટના બની હોય તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. જો કે હજુ તપાસ ટીમ આ માટે આવી રહી છે ત્યારે તેનું ચોક્કસ કારણ ખ્યાલ આવશે તેમ પણ કહ્યું હતું.
શું બની છે ઘટના
આજે બપોરના સુમારે રાજકોટમાં ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થઈ હતી જેમાં 2 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મહત્વનું છે કે વરસાદ હજુ શરૂ જ થયો છે ત્યારે આ બ્રિજની દીવાલ ધરાશાયી થઈ હતી જેને તંત્રની કામગીરીની પોલી ખોલી દીધી હતી.
એક સ્કૂટર ચાલકનું પણ મોત
આ ઘટનામાં એક સ્કૂટર ચાલકનું મોત થયું હતું જેમાં તેના વાહનની જે હાલત થઈ હતી તે જોઈને ઘટનાની ગંભીરતા જોઈ શકાય છે. દીવાલ ધરાશાયી થતાં સ્કૂટરનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.
મૃતકોને અને ઘાયલ થયેલા લોકોને શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ બ્રિજ 2008માં બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. આવામાં આટલા વર્ષોમાં આ બ્રિજની હાલત આ કેવી રીતે થઈ તે એક મોટો સવાલ છે. આ કામગીરીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા અધિકારીઓ જવાબદાર છે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. શું આ બ્રિજની સમયાંતરે તપાસ થતી નહોતી કે પછી તેને સમયસર મરામત કરવાની હતી તે થઈ નહોતી? આવા ઘણાં સવાલો આ ઘટનાએ ઊભાં કરી દીધાં છે.
સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે
ઉલ્લેખનીય છે કે, આજીડેમ નજીક આવેલા ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થવા મામલે સમગ્ર ઘટના અંગેના CCTV ફુટેજ સામે આવ્યા હતા. જેમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે, એક ટ્રક દીવાલ પાસેથી પસાર થઇ રહ્યો છે ત્યારે અચાનક દીવાલ પડે છે અને એક એક્ટિવા ચાલક દીવાલ નીચે દટાઇ જાય છે.