રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનાવ્યા બાદ હવે ભારતીય ક્રિકેટના વિકાસ માટે BCCI એ વધુ એક મહત્વનું પગલું ભર્યું છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણને લઈને BCCI ની મોટી જાહેરાત
નેશનલ ક્રિકેટ એકેડમીના નવા વડા બનશે લક્ષ્મણ
રાહુલ દ્રવિડ બનશે ટીમના હેડ કોચ
પૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના નવા વડા બનશે એવી જાહેરાત કરવામાં આવી છે. રવિવારે ખુદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગલીએ આ વાતની પુષ્ટિ કરી હતી. જ્યારે બીસીસીઆઈ ચીફને ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પૂછવામાં આવ્યું કે, શું લક્ષ્મણ એનસીએના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે, તો તેમણે આ પ્રશ્નનો જવાબ આપ્યો અને કહ્યું કે હા તે સાચું છે.
થોડા દિવસો પહેલા જ ગાંગુલીએ લક્ષ્મણને નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ બનવા માટે મનાવી લીધા હતા. લક્ષ્મણ ભૂતપૂર્વ NCA વડા રાહુલ દ્રવિડનું સ્થાન લેશે જેમને તાજેતરમાં રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ગાંગુલીની પહેલ
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી હંમેશા એ વાત પર ભાર મૂકે છે કે ભૂતપૂર્વ ક્રિકેટરો આગળ આવે અને ભારતીય ક્રિકેટના વિકાસમાં યોગદાન આપે. અગાઉ, તે ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડને આ પદ માટે મનાવવામાં સફળ રહ્યો હતો.
લક્ષ્મણને એનસીએના વડા બનાવવા માટે, માત્ર ગાંગુલી જ નહીં પરંતુ સેક્રેટરી જય શાહ સહિત બીસીસીઆઈના ઘણા અધિકારીઓ ઈચ્છતા હતા કે તેઓ નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ તરીકે સેવા આપે.
લક્ષ્મણ દ્રવિડની દોસ્તી
આ પહેલા બીસીસીઆઈના સૂત્રો સાથે વાત કરતા કહ્યું હતું કે લક્ષ્મણ એનસીએના વડા બનશે કે નહીં તે તો તેના નિર્ણય પર જ નિર્ભર રહેશે, આપણે એ ન ભૂલવું જોઈએ કે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ વચ્ચે ખાસ મૈત્રી સંબંધ છે. દ્રવિડ 17 નવેમ્બરથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થનારી ટી-20 શ્રેણીથી ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ સંભાળશે. તેમનો કાર્યકાળ વર્ષ 2023 સુધી રહેશે.
ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા બાદ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે તે ભારતને આગળ લઈ જશે. તેણે પૂર્વ કોચ રવિ શાસ્ત્રીના વખાણ કર્યા અને કહ્યું કે ટીમે તેમના કાર્યકાળ દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે. હવે તેઓ તેમના વારસાને આગળ વધારવા માટે કામ કરશે.