વડોદરામાં અનાજ કૌભાંડને લઈ VTV ન્યૂઝનો સૌથી મોટો ખુલાસો, તપાસ કરનાર અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ખુલાસો, જે જગ્યા પર પુરવઠાના તપાસ અધિકારી નથી પહોંચ્યા ત્યાં પહોંચી VTV ન્યૂઝની ટીમ.
સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ મામલે ખુલાસો
તપાસ અધિકારી પર ઉઠ્યા સવાલ
તપાસ અધિકારીએ યોગ્ય રીતે તપાસ કેમ ન કરી?
તપાસ અધિકારીઓએ પણ કૌભાંડમાં સાથ આપ્યો?
થોડા દિવસ અગાઉ વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડનો મામલો સામે આવ્યો હતા. જે સમગ્ર કૌભાંડ આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે બહાર આવ્યું હતું. એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવાયાની આશંકા સામે આવી હતી. થમ્બ ડિવાઈસ અને લેપટોપના અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ હતી. કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકારે સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે વડોદરામાં અનાજ કૌભાંડને લઈ VTVની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ખુલાસો
VTV ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી તપાસમાં તપાસ કરનાર અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ઘટસ્પોટ થયો છે. જે જગ્યા પર પુરવઠાના તપાસ અધિકારી નથી પહોંચ્યા ત્યાં VTVની ટીમ પહોંચી હતી. અહીં રેશન કાર્ડ ધારકોને તપાસ અધિકારી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાશન કાર્ડધારકે કહ્યું હતું કે, અમે ક્યારેય સસ્તા અનાજની દુકાન જોઈ નથી. અમે દુકાને નથી ગયા તો અમારૂં અનાજ કોણ લઇ ગયું? પરિવારમાં 6 સભ્યો છે તો 8 લોકોનું અનાજ કોણે વિતરણ કર્યું?. અમારા ઘરે પુરવઠા ઇન્સ્પેકટર કે તપાસ અધિકારી તપાસ કરવા આવ્યા જ નનથી. તપાસ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ.
ગેરરીતિ મામલે મીડિયાએ અમારું ધ્યાન દોર્યુંઃ ભૂપેન્દ્ર ચૌહાણ
જે બાદ આ મામલે નાયબ મામલતદાર ભૂપેન્દ્ર ચૌહાણનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગેરરીતિ મામલે મીડિયાએ અમારું ધ્યાન દોર્યું છે. ગેરરીતિ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોઈ રાશન કાર્ડધારક આવીને ફરિયાદ કરશે તો અમે ચોક્કસ પગલાં ભરીશું. જે પરિવારની વાત છે, એમના ઘરે જઈ તપાસ કરીશું.
જે પરિવારની વાત છે, એમના ઘરે જઈ તપાસ કરીશુંઃ નાયબ મામલતદાર
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં પરિવારની 15 વર્ષની દીકરી હાર્દિના નામે અનાજ લેવામાં આવ્યું હતું. હાર્દિના આધારકાર્ડ નંબરથી 24 કિલો ઘઉં અને 56 કિલો ચોખા લેવામાં આવ્યા હતા. બોગસ આધારકાર્ડ નંબરથી હાર્દિના નામે કોઈ અનાજ લઈ ગયા હતા.
જાણો શું છે સમગ્ર મામલો?
વડોદરાની સસ્તા અનાજની 12 દુકાનોમાં અનાજ વિતરણમાં કૌભાંડ થયું હતું. આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ્થામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું હતું. થમ્બ ડિવાઈસ અને લેપટોપનો અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હતો. કૌભાંડ બહાર આવ્યા બાદ સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તો જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા ઈન્સ્પેક્ટર્સને તપાસનો આદેશ આપ્યો હતો અને 3 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી હતી.
સળગતા સવાલ
તપાસ અધિકારીઓએ કાર્ડધારકોના ઘરે તપાસ કેમ ન કરી?
શું તપાસ અધિકારીઓને તપાસ કરવામાં રસ નથી?
શું તપાસ અધિકારીઓએ પણ રાશન કૌભાંડમાં સાથ આપ્યો છે?
તપાસ અધિકારીઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે?
તપાસ અધિકારીઓ સસ્તા અનાજની દુકાનદારોને બચાવવા કેમ માગે છે?
શું સસ્તા અનાજની દુકાનદારોએ તપાસ અધિકારીને રૂપિયા ખવડાવ્યા?
શું તપાસ અધિકારીઓ રાજ્ય સરકારના આદેશને પણ ગણકારતા નથી?