સાબરકાંઠા: અષાઢ અને શ્રાવણ માસ એટલે ભક્તિ અને ઉપવાસનો મહિનો. શ્રાવણ શરૂ થતાં જ વિવિધ વ્રત શરૂ થઈ જાય છે અને લોકો હોંશે-હોંશે ફળફળાદી આરોગતા હોય છે. એમાં પણ કેળા સૌથી વધુ ખવાતા ફળોમાંના એક છે.
ત્યારે લોકો કેળા ખાય તો છે પણ એ નથી જાણતા કે કેળા પકવવામાં કેવી રીતે આવે છે. જો તમે પણ ઉપવાસ કે અન્ય કોઈ કારણોસર કેળા આરોગતા હોય તો જરા ચેતી જજો. કારણ કે માર્કેટમાં જે કેળા મળી રહ્યા છે. તે ખાવા લાયક નથી.
સામાન્ય રીતે કેળા વૃક્ષ પરથી ઉતાર્યા બાદ 25થી 30 દિવસમાં પાકતા હોય છે. જો કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને ગોડાઉન માલીકો દ્વારા એક કે બે દિવસમાં જ કેળા પકવવામાં આવે છે અને જે લોકો આરોગે છે. કેમીકલથી પકવવામાં આવતા કેળા ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે.
આખરે કેળા કેવી રીતે પકવવામાં આવે છે...? તે મામલે અમારા સંવાદદાતાએ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તપાસ કરી. જ્યાં ખેડબ્રહ્મા ફોરેસ્ટ કચેરીની સામે આવેલા કેળાના ગોડાઉનમાં કેળા પકવવામાં આવતા હતા. Vtvના સ્ટીંગ ઓપરેશનમાં સામે આવ્યું કે કેળા પકવવા માટે ગોડાઉન માલીકો દ્વારા બેથીલીન નામની પ્રેસ્ટીસાઈડ નામનું કેમિકલ પાણીમાં ભેળવાઈ રહ્યું હતું અને ત્યારબાદ કેળા ભરેલું કેરેટ કેમિકલ યૂક્ત પાણી ભરેલા તપેલામાં ડબોડવામાં આવતું હતું.
આમ કરવાથી કેળા એક જ દિવસમાં પાકી જાય છે. આ રીતે ગોડાઉન માલીકો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ભયંકર ચેડાં કરવામાં આવી રહ્યા હતા. વર્ષોથી ધમધમતા આ ગોડાઉનમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ દિવસ તપાસ કરાઈ નથી. સહી સલામતના દાવા કરતું આરોગ્ય ખાતું કે નગરપાલિકાએ પણ કોઈ દિવસ તપાસ કરી નથી.
જ્યારે આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.એ.લોઢાને પૂછવામાં આવ્યું ત્યારે આ મામલે માત્ર તપાસ કરશે તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. મહત્વનું છે કે તંત્ર દ્વારા આવા ગોડાઉન માલીકો વિરુદ્ધ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને પૈસા કમાવવાની લાલચમાં લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.