અડધી રાત્રે આવે છે વીજળી, ક્યાંય બહાર પણ જઇ શકતા નથી, ગોમટા ગામે વીજળી વિના ખેડૂતો લાચાર
વીજળીના દાવાનું VTVએ કર્યું રિયાલિટી ચેક
રાજકોટના ગોમટા ગામે સરકારી દાવા પોકળ
માત્ર 3 કલાક વીજળી અપાતી હોવાનો દાવો
માર્ચ મહિનામાં ઉનાળુ પાક લેવાની શરુઆત થઇ જાય છે. ત્યારે ખેડૂતોએ પણ સારી ગુણવત્તાના બિયારણ લાવીને વાવેતર કર્યુ છે. સારુ ઉત્પાદન થાય તેવી આશાએ ખેડૂતો મોંઘામાં મોંઘુ બિયારણ અને ખાતર લાવીને વાવેતર તો કરે છે પરંતુ પાણી વિના શું કામનું ? રાજ્યના ખેડૂતો વીજળી અને સિંચાઇનું પાણી ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલીટી ચેક કરતા સરકારના દાવા પોકળ સાબિત થયા હોાવનું સામે આવ્યું.
24માંથી માત્ર 3 કલાક વીજળી આપ્યાનો દાવો
રાજકોટના ગોંડલના ગોમટા ગામના ખેડૂતો વીજળીની માગ સાથે વિરોધે ચઢ્યા. ખેડૂતોની માગ છે કે પુરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવતી નથી. માત્ર 3 કલાક જ વીજળી આપવામાં આવે છે. જો કે સરકારે દાવો કર્યો છે કે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે છે તે દાવો અહીં પોકળ સાબિત થતો દેખાયો. ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થવાનો છે. છેલ્લુ પિયત કરવાનુ બાકી છે પરંતુ પાણી મળતુ નથી. ખેડૂતોએ તલનું પણ વાવેતર કર્યુ છે પરંતુ વીજળી વિના પાણી આપી શકાતુ નથી.
કૂવા-બોરમાં પાણી છે પણ વીજળી વિના શું કામનુ ?
ખેડૂતો જણાવી રહ્યા છે કે કૂવા અને બોરમાં પુરતુ પાણી છે. ખેડૂતોએ જે વાવેતર કર્યુ છે તેને પુરે પુરુ પિયત થઇ શકે તેટલુ પાણી છે પરંતુ વીજળી વિના ખેડૂતો લાચાર બન્યા છે. વળી પાછુ વીજળી ક્યારે આપે તે પણ નક્કી નહી. ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો હતો કે રાત્રે દોઢ- અઢી વાગ્યે મન ફાવે ત્યારે વીજળી આપે છે. ખેડૂતોને ક્યાંય જવુ હોય તો જઇ પણ નથી શકતા. પીજીવીસીએલ દ્વારા વીજળી આપવા અંગે મેસેજ કરીને જાણ પણ કરવામાં આવતી નથી. ખેડૂતો પીજીવીસીએલના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરીને થાક્યા પણ કોઇ ઉકેલ આવતો નથી.
ખેડૂતોને ક્યારે મળશે વીજળી ?
ત્યારે અહીં સવાલ એ થાય છે કે મહામૂલો પાક બચાવવા ખેડૂત કરગરી રહ્યો છે પણ અધિકારીઓને કેમ ખેડૂતની આ સ્થિતિ દેખાતી નથી. 8 કલાક વીજળી આપવાની જાહેરાત તો કરી પણ ગામમાં માંડ 3 કલાક વીજળી મળે છે એનું શું ?શા માટે ખેડૂતોને હાઇવોલ્ટથી વીજળી નથી અપાતી.? વીજળીની રાહ જોઇને ખેડૂતોએ આખો દિવસ બેસી રહેવાનું ? મહામૂલો પાક સુકાય છે સરકાર વીજળી ક્યારે આપશે ? ગુજરાતના ખેડૂતોની સમસ્યા કેમ દેખાતી નથી ? ખેડૂતોને સમયસર વીજળી નહી મળે તો મોંઘા બિયારણ માથે પડશે, શું પાક નિષ્ફળનું વળતર ચૂકવશે સરકાર ??