બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મળતી વીજળી અંગે VTV NEWSના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે, વીજળીના અભાવે ખેડૂતોના પાકને યોગ્ય પાણી મળતું નથી. અનેક રજૂઆત કરવા છતાં ખેડૂતોની સમસ્યાનું સમાધાન થતું નથી.
ખેડૂતોને મળતી વીજળી અંગે VTV NEWSનું રિયાલિટી ચેક
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વીજળીની સમસ્યા
લાખણીમાં માત્ર 8 કલાક મળે છે વીજળી
8 કલાક લાઈટ મળે તેમાં પણ સર્જાઈ છે સમસ્યા
બનાસકાંઠા જિલ્લોએ મોટાભાગે ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે અને મોટાભાગના ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં વીજળીને લઇ શું સ્થિતિ છે તે જાણવા માટે અમારી VTV ન્યૂઝની ટીમ ખેડૂતોના ખેતરો સુધી પહોંચી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે ખેડૂતોને વીજળીને લઈ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે વીજળીને લઈ ખેડૂતોની શું સ્થિતિ છે જાણો અમારા અહેવાલમાં...
લાખાણી તાલુકાના ખેડૂતોને વીજળીની અનેક સમસ્યા
રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો વર્ષોથી અનેક સમસ્યાઓનો સામનો કરે છે. બનાસકાંઠા જિલ્લો એ મોટાભાગે ખેતી આધારિત જિલ્લો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેતીમાં શું સ્થિતિ છે તે જાણવા માટે અમારી VTV ન્યૂઝની ટીમ સરહદી વિસ્તારના લાખણી તાલુકામાં પહોંચી હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારગણાતા લાખણી તાલુકામાં મોટાભાગે ખેડૂતો ત્રણ સિઝનમાં ખેતી કરે છે પરંતુ તેમને વીજળીમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
દિવસમાં વીજળી મળે તેવી ખેડૂતોની માંગ
અહીંના ખેડૂતોનું માનીએ તો ખેડૂતોને જે પોતાના ખેતરોમાં વીજળી આપવામાં આવે છે, તેમાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે, મોટાભાગે આઠ કલાકની વીજળી ખેતરોમાં ખેડૂત સુધી પહોંચાડવામાં આવે છે, ત્યાં વારંવાર જે વીજ લાઇનમાં ડ્રિપ મારે છે. તેના કારણે ખેડૂતોને કલાકો સુધી ખેતી કર્યા વગર બેસી રહેવું પડે છે અને જેના કારણે ખેડૂતો જે ખેતરમાં પાકનું વાવેતર કર્યું છે તેમાં યોગ્ય પાણી પણ મળી શકતું નથી જેના કારણે ખેડૂતોને ઉત્પાદન ઓછું મળે છે. તો બીજી તરફ રાત્રિના સમયે જે લાઈટ આપવામાં આવે છે, તેમાં ઝેરી જીવજંતુઓનો ભય મોટા પ્રમાણમાં રહે છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને દિવસે લાઈટ આપવામાં આવે તેવી હાલ લાખણી તાલુકાના ખેડૂતો માંગ કરી રહ્યા છે.
યોગ્ય પાવર સપ્લાય ન થતા ખેડૂતોને સમસ્યા
બનાસકાંઠા જિલ્લાનો ડીસા તાલુકો એ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો તાલુકો છે. ડીસા તાલુકામાં મોટાભાગના ખેડૂતો ત્રણ સિઝનમાં ખેતી કરે છે, પરંતુ ડીસા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પાણીના તળ બહુ ઊંડા જઈ રહ્યા છે. જેના કારણે ખેડૂતોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે આ તમામ બાબતો વચ્ચે ડીસા તાલુકાના રાણપુર ગામે અમારી VTV ન્યૂઝની ટીમ પહોંચી હતી અને ત્યાં વીજળીને લઈ ખેડૂતોની શું સ્થિતિ છે તે જાણવા માટે પ્રયત્નો કર્યા હતા, જ્યાં રાણપુર ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે ડીસા તાલુકામાં ખેડૂતોને હોસપાવરને લઈ અનેક સમસ્યાઓ જોવા રહી છે, આ બાબતે ડીસા તાલુકાના ખેડૂતોએ ઉર્જા મંત્રી સુધી હોસપાવર વધારાને લઈ રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે હોસ્પારમાં જે લોડ વધારો કરવાનો છે તેમાં તાત્કાલિક સરકાર નિર્ણય લેશે. પરંતુ આજે પણ હોસપાવરને લઈ સરકાર દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતો હોસપાવરના લોડને લઈ અનેક સમસ્યાઓ ભોગી રહ્યા છે. ખેડૂતોના 200 રૂપિયાના બિલ બાકી હોય તો પણ કનેક્શન કાપીના નાખવામાં આવે છે.
વિદ્યુતબોર્ડની સામે ખેડૂતોમાં નારાજગી
વારંવાર હોર્સ પાવરમાં જે લોડ વધારો જોવા મળે છે તેને લઈને ખેડૂતોને ખેતી કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ખેડૂતો વિદ્યુત બોર્ડની ઓફિસે પણ અનેકવાર રજૂઆતો કરવા પહોંચ્યા છે પરંતુ તેમની રજૂઆતનો કોઈ જવાબ મળતો નથી જેના કારણે વિદ્યુતબોર્ડની સામે પણ ખેડૂતો નારાજગી જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે હોસપાવરમાં લોડ વધારાને લઈ નિર્ણય લેવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે.
8 કલાકમાં થોડી થોડીવારે જાય છે લાઇટ
બનાસકાંઠા જિલ્લામાં જે વીજળી ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે તેને લઈ ખેડૂતોની શું સ્થિતિ છે તે જાણવા માટે VTV ન્યૂઝની ટીમ પહોંચી હતી કાંકરેજ તાલુકાના નવાગામ ખાતે. કાંકરેજ તાલુકામાં મોટાભાગે ખેતી સાથે સંકળાયેલા લોકો છે અને અહીં ઘઉં, એરંડા, બાજરી, બટાટા સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. પરંતુ ત્રણ સિઝનમાં જે ખેડૂતો વાવેતર કરે છે તેમાં વીજળીને લઈ અનેક સમસ્યાઓ સામે આવી રહી છે અહીંના ખેડૂતોનું માનવું છે કે, જે ખેડૂતોને આઠ કલાકથી વીજળી આપવામાં આવે છે તેમાં બે ત્રણ કલાક સુધી તો ખેડૂતોને વીજળી વગર બેસી રહેવું પડે છે, જેનું કારણ છે કે અહીં જે વીજળી પહોંચાડવામાં આવે છે તેમાં વારંવાર જે વીજળીમાં ડ્રિપ મારે છે. તેના કારણે ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોએ લાઈટ આવવાની રાહ જોઈને બેસી રહેવું પડે છે અને જ્યાં સુધી લાઈટ આવે ત્યાં સુધી ખેડૂતોને ખેતીમાં પિયત વગર બેસીને રહેવું પડે છે. વારંવાર જે આઠ કલાકની લાઈટમાં જે ડ્રિપ મારે છે તેના કારણે ખેડૂતોના પાકમાં સમયસર પાણી પહોંચતું નથી અને જેના કારણે ખેડૂતોને પાકમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ વારંવાર જે લાઈટનો લોડ વધી જાય છે તેના કારણે આ નવા ગામમાં અનેક ખેડૂતોને ડીપીમાં પણ નુકસાન થયું છે અને તે તમામ ખર્ચ ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. એક બાજુ ખેડૂતોને પાકમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ વીજળીના કારણે ડીપીઓમાં જે નુકસાન થઈ રહ્યું છે, તેમાં પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે ત્યારે આ બાબતે ખેડૂતોનું માનવું છે કે સરકાર દ્વારા દિવસે વધુ લાઈટ આપવામાં આવે તો ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે.