અમદાવાદનું ગાર્ડન વ્યસનીઓનો અડ્ડો બન્યું હોવાના VTVના અહેવાલ બાદ વહીવટી તંત્ર એક્શનમાં. AMCના ચેરમેન અને અધિકારીઓએ ગાર્ડનની કરી તપાસ. નરોડાના ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓએ પણ લીધી ગાર્ડનની મુલાકાત.
અમદાવાદમાં VTVના અહેવાલના પડ્યા પડઘા
AMCના ચેરમેન અને અધિકારીઓએ ગાર્ડનની તપાસ કરી
નરોડાના ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓએ પણ લીધી ગાર્ડનની મુલાકાત
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગાર્ડનનું VTVની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં આ ગાર્ડનની હાલત ખૂબ ગંભીર હોવાનું સામે આવ્યું હતું. આ સાથે રાત્રીના સમયે લોકો અહિયા ચરસ, ગાંજો અને અફીણનું વ્યસન કરતાં હોવાનું પણ ગાર્ડનના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતું. VTVના અહેવાલ બાદ AMCના ચેરમેન અને અધિકારીઓએ ગાર્ડનની તપાસ માટે દોડી આવ્યા હતા.
MLA અને પોલીસ અધિકારીઓએ પણ લીધી મુલાકાત
આ ઉપરાંત નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી અને પોલીસ અધિકારીઓએ પણ ગાર્ડનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત VTVના અહેવાલ બાદ પણ અધિકારીઓએ લૂલો બચાવ કર્યો હતો. કલ્ચરલ અને હેરિટેજ વિભાગના ચેરમેન રાજેશ દવેએ ગાર્ડનમાં કોઈપણ જાતની પ્રવૃત્તિઓ ન થતી હોવાનો લૂલો બચાવ કર્યો હતો.
VTV ન્યૂઝનું ગાર્ડનમાં રિયાલિટી ચેક
વાત જાણે એમ છે કે, VTV ન્યૂઝ દ્વારા શહેરના નરોડા વિસ્તારમાં કેનાલ પાસે આવેલા ગાર્ડનનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં આ ગાર્ડનની હાલત ખૂબ ગંભીર હોવાનું સામે આવ્યું હતું. ગાર્ડનમાં વ્યવસ્થાના ભાગરૂપે જે સંચાલન થવું જોઈએ તે સંચાલન પણ નથી થતું તથા નિરીક્ષણ પણ થતું નથી તેવા અહીંના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત બગીચામાં જે પાણી છાંટવામાં આવે છે તે એક જ જગ્યાએ છાંટવામાં આવે છે, તેવો પણ સ્થાનિકોનો આક્ષેપ હતો.
અહીંયા કોઈ સિપરવિઝન કરવા આવતું નથીઃ સ્થાનિક
મહેન્દ્રભાઈ નામના સ્થાનિકે VTVની ટીમને જણાવ્યું હતું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી આ ગાર્ડનમાં આવું છું, હાલમાં પરિસ્થિતિ એવી છે કે અહીંયા કોઈ સુપરવિઝન નથી. બાથરૂમની ટાંકી કાયમ ઉભરાયેલી જ હોય છે. જેના કારણે મોટી ઉંમરના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત અહીંના શૌચાલયમાં ગંદકીના ગંજ ખડકાયા છે. અહીંયા કોઈ ચેક કરવા નથી આવતું. માત્ર 11.45 થાય ત્યારે વિસલ મારવા આવે છે કે ભાઈ સમય થઈ ગયો છે.
VTVની ટીમને સિક્યુરિટીએ જણાવી હતી વાસ્તવિક હકીકત
ગાર્ડનના સિક્યુરિટીએ VTVની ટીમને વાસ્તવિક હકીકત જણાવી હતી. તેમણે ગાર્ડનમાં ચરસ અને ગાંજો પિતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત રાત્રીના સમયે અહીં અસામાજિક પ્રવૃત્તી થતી હોવાનો, નશાના રવાડે ચડેલા લોકો ગાર્ડનમાં અડ્ડો જમાવતા હોવાનો પણ સિક્યુરીટી ગાર્ડે આક્ષેપ કર્યો હતો.