VTVના મહામંથન ઇ-કોન્ક્લેવ 2020માં અર્થશાસ્ત્રી બકૂલ ધોળકિયાએ અર્થવ્યવસ્થા અને રોજગારી અંગે મહત્વની વાત કરી હતી. કોરોનાને લઇને આર્થિકક્ષેત્રે સંકટને લઇને તેમણે ચર્ચા કરી હતી. તો 20 લાખ કરોડના મોદી સરકારના પેકેજ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, લૉકડાઉનમાં આવક બંધ થઇ જતા આર્થિક પેકેજમાં લોકોને આશા હતી કે રોકડા રૂપિયા મળશે.
આર્થિક પેકેજમાં લોકોને આશા હતી કે રોકડા રૂપિયા મળશેઃ ધોળકિયા
VTV પર યોજાયેલા e Conclave 2020માં અર્થશાસ્ત્રી બકૂલ ધોળકિયાએ કહ્યું કે, આર્થિક પેકેજથી દેશના વિકાસને ફાયદો થશે. ફાયદો લાંબા ગાળાનો કે ટૂંકા ગાળાનો એ ચર્ચાનો વિષય છે. પેકેજમાં કુલ 17 લાખ કરોડએ બેંક અને લોન માટે ફાળવવામાં આવ્યા છે. જોકે લૉકડાઉનમાં આવક બંધ થઇ જતા આર્થિક પેકેજમાં લોકોને આશા હતી કે રોકડા રૂપિયા મળશે.
દેશમાં સોશિયલ સિક્યોરિટી વિશે પણ વિચારવું જોઇએઃ ધોળકિયા
ધોળકિયાએ કહ્યું કે, વિદેશ સાથે સરખામણીમાં સોશિયલ સિક્યોરિટી વિશે પણ વિચારવું જોઇએ. આપણા દેશમાં સોશિયલ સિક્યોરિટી જેવું કશુ છે જ નહીં. છેલ્લા 3-4 વર્ષમાં આપણા દેશમાં સોશિયલ સિક્યોરિટી સિસ્ટમ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે સોશિયલ સિક્યોરિટી સિસ્ટમ તરફ ધ્યાન અપાઇ રહ્યું છે. ડાયરેક્ટ કેસ બેનિફિટ કેવી રીતે થઇ શકે એ અંગે વિચારવું જોઇએ.
વધુમાં ધોળકિયાએ જણાવ્યું કે, સરકારે અત્યારે રાજકોશીય ખાધની ચિંતા કરવાની જરૂર નથી. વૈશ્વિકીકરણના જમાનામાં આત્મનિર્ભરતાની વાત કરવી યોગ્ય નથી. કોઇપણ દેશ માટે તેના વિદેશી સંબંધો પણ મહત્વના હોય છે. આપણા દેશમાં ઉત્પાદનની ક્ષમતા છે પણ ટેકનોલોજીનો અભાવ છે. વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો પણ આપણે આત્મનિર્ભર થઇ શકીએ. ચીને પણ વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો જ છે. આપણે ચીનથી 20 વર્ષ પાછળ છીએ. જે પ્રોડક્ટનું દેશમાં ઉત્પાદન થાય છે તેનું ઇમ્પોર્ટ ન કરવું જોઇએ. આપણા દેશમાં સ્વાવલંબન અને આત્મનિર્ભરતા શક્ય છે. જરૂરી વસ્તુઓનું ઇમ્પોર્ટ આપણે વિદેશોમાંથી કરવુ જ પડશે. આત્મનિર્ભરતા માટે આપણે જરૂરી અને બિનજરૂરી પ્રોડક્ટ નક્કી કરવી પડે છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે કેટલીક વસ્તુઓ ઇમ્પોર્ટ કરવી જરૂરી છે.