VTVના મહામંથન ઇ-કોન્ક્લેવ 2020માં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આરોગ્ય અંગે મહત્વની વાત કરી હતી. કોરોનાને લઇને હેલ્થ વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ચર્ચા કરી હતી. લૉકડાઉન, અનલૉક, આત્મનિર્ભરતા અને રાહત પેકેજ અંગે વિગતે વાતચીત કરી હતી.
VTV પર યોજાયેલા e Conclave 2020માં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો પગપેસારો ભારતમાં થયો ત્યારથી જ મહામારી સામે લડવા આપણે કેટલા સક્ષમ છીએ તેનું અમે અવલોકન કર્યુ હતું. જેથી અમે યોગ્ય સમયે લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો. કોરોના દેશમાં આવ્યો ત્યારે આપણી પાસે પુરતી PPE કીટ ન હતી. સરકારે યોગ્ય સમયે લીધેલા નિર્ણયોથી તૈયારીનો સમય મળ્યો છે. લૉકડાઉનથી સંક્રમણ ઓછું ફેલાયુ અને તૈયારી કરી શક્યા. આજે આપણે માસ્ક અને PPE કીટ બનાવી રહ્યાં છે.
આર્થિક ગતિવિધિ શરૂ કરવા અનલૉક-1 લાવવામાં આવ્યુંઃ માંડવિયા
વધુમાં તેમણે કહ્યું કે, આર્થિક ગતિવિધિ શરૂ કરવા અનલૉક-1 લાવવામાં આવ્યું છે. ધંધા-રોજગારને ફરી ગતી આપવા 20.71 લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પેકેજને જમીની સ્તરે લાગુ કરવા અનલૉક-1 સિવાય કોઇ રસ્તો ન હતો. ભારતની અર્થવ્યવસ્થા 2-3 મહિનામાં ફરી પાટા પર આવી જશે. આર્થિક પેકેજનું સારી રીતે લાગુ થવુ ખુબ જરૂરી છે. પેકેજનો લાભ બેંકોના માધ્યમથી લોકોને મળે તે વ્યવસ્થા કરી રહ્યા છીએ. RBIએ રિવર્સ રેપો રેટ પણ ઘટાડ્યા છે. બેંકો સરળતાથી લોન આપી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઇ છે. MSP વધારતા ખેડૂતની ઉત્પાદન ક્ષમતા વધશે. તમામ ક્ષેત્રમાં તમામ વર્ગના લોકોને પૈસા મળી રહે એ રીતે સાયકલ ગોઠવાઇ છે. જે નિર્ણયો લેવાઇ રહ્યાં છે તેને લાગુ પણ ઝડપથી કરી રહ્યાં છે.
'આત્મનિર્ભરતા' એટલે શું? કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ
દેશને આત્મનિર્ભરતા તરફ લઇ જવો એ અમારુ લક્ષ્ય છે. ભારતે માનવતાના ધોરણે HCQ અન્ય દેશોને આપી છે. આત્મનિર્ભરતા એટલે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં જ થાય. 200 કરોડ સુધીનું સરકારી ટેન્ડર ગ્લોબલ ટેન્ડર ન કરવાનો નિર્ણય. આત્મનિર્ભરતા એટલે ભારતની જરૂરિયાત ભારત જ સંતોષશે. આત્મનિર્ભરતા એટલે વિદેશી કંપની ભારત આવે અને ઉત્પાદન કરે. વિશ્વની ઘણી કંપનીઓ ભારતમાં આવવા માંગે છે. દેશની અંદર પણ અત્યારે સારી કંપનીઓ બની રહી છે. 6 વર્ષ પહેલા દેશમાં એકપણ મોબાઇલ નહોતો બનતો અને આજે વિદેશી કંપનીઓ દેશમાં મોબાઇલ બનાવી વિદેશમાં મોકલાવે છે. અમારી સરકારે પોલિસીમાં બદલાવ કર્યો છે.