ગુજરાત આજે મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે અને દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. બીજી બાજુ લૉકડાઉનને કારણે આર્થિક નુકસાનને પહોંચી વળવા સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યના રાજકારણમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ગરમાવો ચાલુ થઈ ગયો છે. આવામાં રાજ્યના મુખ્યમંત્રીએ આ તમામ મુદ્દાઓ પર VTV ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં ઈસુદાન ગઢવી સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ખાસ કરીને કોરોના સામે સરકારનો પ્લાન શું છે અને ગુજરાત આત્મનિર્ભર કેવી રીતે બનશે? ઉદ્યોગ જગતને કેવી રીતે ઉજાગર કરાશે? રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય હંગામો કેમ છે તેવા તમામ સવાલોના જવાબ આપ્યાં હતાં.
બ્રિજેશ મેરજા ખૂબ સક્રિય અને સારા ધારાસભ્ય હતાઃ CM રૂપાણી
25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય : CM રૂપાણીનો ટોણો
(ઈસુદાન ગઢવી - ઍડિટર, VTV NEWS)
મુખ્યમંત્રી રૂપાણીએ આજે મહામંથનમાં વાત કરતા કોરોના મહામારી વિશે ગુજરાતમાં સ્થિતિ સારી છે અને રિકવરી રેટ ઉપર જઈ રહ્યો છે તે વિશે કહ્યું હતું. તેમણે સિવિલના પણ ગુણગાન કરતા કહ્યું હતું કે ત્યાં સ્થિતિ સારી છે અને બધુ જ યોગ્ય રીતે ચાલી રહ્યું છે. તેમણે રાજ્યસભાની ચૂંટણી પર હાલ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે તેના પર જવાબો આપતા કહ્યું હતું કે કોંગ્રેસ હવે ડૂબતી નાવ છે.
25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય : CM રૂપાણીનો ટોણો
આ ચર્ચા દરમ્યાન જ્યારે ઈસુદાન ગઢવીએ પૂછ્યું કે રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો કેમ તૂટે છે? ત્યારે જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ હવે ડૂબતી નાવ છે એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં રહેવું ન ગમે. તેમણે ભાજપ દ્વારા ધારાસભ્યો ખરીદવાના આરોપ પર જવાબ આપતાં કહ્યું કે કોંગ્રેસને આ મામલે આક્ષેપ લગાડવાનો અને સવાલ પૂછવાનો અધિકાર જ નથી. કોંગ્રેસ ભૂતકાળમાં આ પ્રકારના કૃત્યો કરી ચૂકી છે. ધારાસભ્યોને 25 કરોડ રૂપિયા અપાયા હોવાની વાતો ચાલી રહી છે તેવા દાવાઓને અફવા ગણાવી CM રૂપાણીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે 25 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 5, 2020
કોંગ્રેસના ધારાસભ્યનોના રાજીનામા બાદ ખરીદ-વેચાણના આક્ષેપો પર મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે ભૂતકાળમાં શું શું કર્યું તે તમે યાદ કરો. ચીમન પટેલ, બાબુભાઇ પટેલ, કેશભાઇ પટેલ અને અટલજીની સરકાર કેવી રીતે તોડી હતી. કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી.
CMએ કહ્યું કે, બ્રિજેશ મેરજા ખૂબ સક્રિય અને સારા ધારાસભ્ય હતા. કોંગ્રેસ બ્રિજેશ મેરજા પર પણ નાણા લેવાનો આક્ષેપ લગાવ્યો છે. વધુમાં સીએમએ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો પૈસા લે એવા નથી પરંતુ પક્ષમાં નેતૃત્વ નથી.
કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પર CM રૂપાણીનું નિવેદન
કોંગ્રેસના આક્ષેપોને લઇને મહામંથનમાં વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ખોટા આક્ષેપો કર છે, કોંગ્રેસે ભૂતકાળમાં સરકારો પાડી છે. કોંગ્રેસને કંઇ બોલવાનો અધિકાર નથી, કોંગ્રેસ ડુબતી નાવ છે. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો ચોથો એપિસોડ છે. કોંગ્રેસને તેના જ લોકો છોડી રહ્યાં છે એમાં બીજા શું કરે?
કોરોના ત્યારે જ સમાપ્ત થશે જ્યારે તેની વેક્સીન આવશેઃ CM
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાની શરૂઆત પહેલા આપણે તૈયારી શરૂ કરી દીધી હતી. કોરોના કુદરતી આપત્તી છે, કોઇપણ રાજ્યની કે કેન્દ્રની સરકાર આ મહામારીને રોકી શકે તેમ નથી. ભારતના તમામ રાજ્યો સંક્રમિત છે, વિકસિત દેશો સંક્રમિત છે. એટલે કોરોના મહામારી ગુજરાતમાં પણ આવી. આ કોરોનાથી બચવા માટે સરકારે લોકોમાં જાગૃતિ ફેલાવી, સાવધાની, સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભીડ ન કરવી આ અંગે કામગીરી કરી. કોરોના ત્યારે જ સમાપ્ત થશે જ્યારે તેની વેક્સિન આવશે.