એક તરફ જનતા કોરોના સામે લડી રહી છે તો બીજી તરફ કાળાબજારી મહામારીમાં વપરાતી દવાઓમાં પણ લૂંટ ચલાવી રહ્યા છે. જુઓ રેમડેસિવિર ઇન્જેક્શન પર VTV NEWSનો INVESTIGATIVE REPORT...
કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું છે. આ કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ પણ ખુબ વધી ગઇ છે. ત્યારે દર્દીના સગા ઇન્જેક્શન માટે પડાપડી કરી રહ્યા છે. આ મોકાનો ફાયદો દુકાનદારો લઇ રહ્યા છે. મહાનગરો અને મોટાભાગના જિલ્લાઓમાં લોકો ઇન્જેક્શન માટે દૂર દૂરથી આવી રહ્યા છે. વધુ પડતી માંગને લઇને દુકાનદારોએ રેમડેસિવિરનું બ્લેકમાર્કેટિંગ શરૂ કરી દીધું છે. તો દુકાનદારો 900 રૂપિયાના ઇન્જેકશનના 7 હજાર સુધી લઇ રહ્યા છે. ત્યારે આ કાળાબજારી પર VTV Newsએ મોટો ખુલાસો કર્યો છે.
રેમડેસિવિરની કાળાબજારી પર VTVનો રિપોર્ટ
ફુડ એંડ ડ્રગ કમિશનરના દાવાઓથી તદ્દન વિપરિત પરિસ્થિતિ જોવા મળી છે. દુકાનદારોને વેચવા રેમડેસિવિર ઈંજેક્શન વેચવા પર કમિશનર પ્રતિબંધની વાતો કરે છે. VTV NEWSના ઈન્વેસ્ટીગેટિવ રિપોર્ટર સાથે અમદાવાદના દુકાનદારો ભાવતાલ કરી રહ્યાં છે. ફાર્મસીની દુકાન પર રેમડેસિવિર મળી જાય છે પણ ભાવ 7 હજાર રૂપિયા છે. દુકાનદારો 900 રૂપિયાના ઈંજેક્શનના 5 હજાર રૂપિયા લઈને મજબૂરીનો લાભ લઈ રહ્યા છે. અમદાવાદની ફાર્મસીની દુકાનો પર પણ ફુડ એંડ ડ્રગ કમિશનરનો કોઈ કંટ્રોલ નથી. બેફામ રીતે પૈસા લઈને રેમડેસિવિર ઈંજેક્શન દુકાનદારો વેચી રહ્યાં છે. VTV NEWSના રિપોર્ટમાં ખુલાસો થયો કે અમદાવાદમાં 7 હજાર રૂપિયા લઈને ઈંજેક્શન વેચાઈ રહ્યાં છે. માત્ર હોસ્પિટલને સપ્લાય થતું ઈંજેક્શન ફાર્મસીની દુકાન સુધી કેવી રીતે પહોંચે છે તે સવાલ. તંત્રની મીઠી નજર હેઠળ ફાર્મસીની દુકાનવાળા રેમડેસિવિર ઈંજેક્શન ગેરકાયદે વેચી રહ્યાં છે. એકતરફ લોકો જીવ બચાવવા મથી રહ્યાં છે ત્યારે ફાર્મસીની દુકાનો પર કાળાબજારી ધૂમ ચાલી રહી છે. કોરોનાથી પીડાતા દર્દીઓના પરિવારજનો આવી કાળાબજારીનો ભોગ બની રહ્યાં છે. મહામારીમાં મેડિકલ માફિયાઓને નાથવામાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ નિષ્ફળ ગયું છે. મેડિકલ સ્ટોરમાં 24-24 ઈંજેક્શનો માટે લોકોની ઈન્કવાયરીઓ છે અને દુકાનો પુરા પણ પાડે છે. મેડિકલ માફિયાઓ મહામારીમાં લોકોને કેવી રીતે લૂંટી રહ્યાં છે તેનો જુઓ INVESTIGATIVE REPORT...
લોકોની એક ઈંજેક્શન માટે આજીજી થઇ રહી છે તો નફાખોરોને તેમના ખિસ્સા ભરવામાં જ રસ છે. લોકોના જીવ સાથે રમતા લોકો ચેતી જાય અને જનતા પણ આવા કાળાબજારિયાઓને પ્રાત્સાહન ન આપે. ત્યારે આવા મેડિકલ સ્ટોરના માલિકોને કોણ દંડશે?
રેમડેસિવિર ઈન્જેક્શન જાહેર દુકાનો પરથી મળતું નથીઃ ફુડ એન્ડ ડ્રગ કમિશનર
ત્રીજી તારીખે અમદાવાદમાં ગુજરાતના મેડિકલ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓની એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. એ પ્રેસ કોન્ફરન્સમાં ફુડ એન્ડ ડ્રગ કમિશનર કહી રહ્યાં હતા કે રેમડેસિવિર ઈન્જેક્શન જાહેર દુકાનો પરથી મળતું નથી પરંતુ હોસ્પિટલોને જ તે વેચવાની છૂટ છે. તમને જણાવી દઈએ કે આ ફુડ એન્ડ ડ્રગ કમિશનર જ ઈંજેક્શનની કાળાબજારી કરતી રોકી શકે અને તેમની જવાબદારી પણ છે. આપને સંભળાવીએ કે અમદાવાદમાં ફુડ એન્ડ ડ્રગ કમિશનર કોશિયાએ શું કહ્યું હતું.
સળગતા સવાલ
હોસ્પિટલોને જ મળનારું ઈંજેક્શન દુકાનો સુધી કેવી રીતે પહોંચ્યું?
સામાન્ય જનતા લૂંટાય છે તેની જાણ ફુડ એન્ડ ડ્રગ વિભાગને છે ખરી?
અધિકારીરાજમાં મોટી મોટી જાહેરાતો થાય છે પણ સ્થિતિની જાણ છે ખરી?
સામાન્ય લોકો સ્વજનોના જીવ બચાવવા કેટલી લાઈનોમાં તપે છે તેનું દર્દ છે ખરું?
900 રૂપિયાના ઈંજેક્શન 7 હજારમાં કેવી રીતે વેચાવા માંડ્યા?
એ ક્યા લોકો છે જેની મીઠી નજરથી આ કાળાબજારી ફુલી ફાલી છે?
ફુડ એન્ડ ડ્રગ વિભાગ જનતાને પીસાતી કેવી રીતે જોઈ શકે?
શું VTV NEWSની જેમ તમે મેડિકલ સ્ટોર સુધી જઈને સ્થિતિનો તાગ ન મેળવી શકો?
મહામારીમાં સબસલામતનો તમારો વ્યવહાર કેવી રીતે દૂર થાય?
મેડિકલ સ્ટોરમાં ઈંજેક્શન વેચનારા લોકો શું તમારી પહોંચથી દૂર છે?
શું ફુડ એન્ડ ડ્રગ વિભાગની ગુજરાતની જનતા પ્રત્યે કોઈ જવાબદારી નથી?
લોકોને કેટલી તપશ્ચર્યા પછી પણ રેમડેસિવિર ઈંજેક્શન નથી મળી રહ્યાં તેનો ઉકેલ શું?
રેમડેસિવીર ઇન્જેક્શન એન્ટી વાયરલ ઇન્જેક્શન
રેમડેસિવીર ઇન્જેક્શન એન્ટી વાયરલ ઇન્જેક્શન છે. આ ઇન્જેક્શન SARS અને MERS-CoV જેવી બીમારી માટે પણ કારગર સાબિત થયું છે, એટલા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર, આ ઇન્જેક્શન કોરોના પર પણ અસરકારક છે. ગુજરાતમાં રેમડેસીવીર હેટ્રો, ઝાયડ્સ, સિપલા સહિત 6 જેટલી કંપની બનાવે છે.