અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના VTV NEWSના રિયાલિટી ચેકમાં શ્રમિકોને ભોજન ન મળતું હોવાનું સામે આવ્યું છે. ગુરુકુળ વિસ્તારના શ્રમિકો કહી રહ્યા છે કે દેખાવ માટે 20થી 30 લોકોને જમવાનું આપવામાં આવે છે.
અન્નપૂર્ણા યોજનાનું રિયાલિટી ચેક
થલતેજના શ્રમિકોને નથી મળતું ભોજન
શ્રમિકોને અન્નપૂર્ણા યોજનાનો લાભ ક્યારે મળશે?
અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. રિયાલિટી ચેકમાં શ્રમિકોને ભોજન ન મળતું હોવાનું સામે આવ્યું છે. રિયાલિટી ચેકમાં અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં અન્નપૂર્ણ રથ બંધ જોવા મળ્યા છે. આ મામલે શ્રમિકોએ જણાવ્યું કે, દેખાવ માટે 20થી 30 લોકોને જમાવાનું આપી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ અન્નપૂર્ણ રથ ખુલતા જ નથી.
ગુરુકુળ વિસ્તારમાં અન્નપૂર્ણા રથ બંધ જોવા મળ્યો
રાજ્યનો કોઈપણ શ્રમિક ભૂખ્યો ન રહે તે માટે ફક્ત પાંચ રૂપિયામાં જમવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં અન્નપૂર્ણા રથ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ મામલે શ્રમિકોએ જણાવ્યું કે, 'અહીં લગભગ 200-300ની આસપાસ લોકો રહે છે, પરંતુ માત્ર 20થી 30 લોકોને થાય એટલું જ જમાવાનું લાવવામાં આવે છે. આ રથ ક્યારે ખૂલે છે અને ક્યારે બંધ થાય છે તેનો કોઈ ફિક્સ ટાઈમ નથી.'
ભોજન ન મળવા અંગે બોલ્યા શ્રમિકો
તો થલેતજ વિસ્તારમાં જ્યારે VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા જાણવા મળ્યું કે વહેલા આવે તો જ શ્રમિક અન્નપૂર્ણ રથ ખાતે જમવાનું મળે છે, મોડા આવે તો જમવાનું મળતું નથી. થલતેજ વિસ્તારના શ્રમિકોએ જણાવ્યું કે, સવારે વહેલા આવી તો જમવાનું મળે છે, સવારના 10.00 વાગ્યા પછી જમવાનું મળતું નથી.
ઓક્ટોબર 2022માં ફરી કરાઈ છે શરૂ
રાજ્યસરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 18 જુલાઈ, 2017ના રોજ બાંધકામ શ્રમિકો તેમજ તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર દશ રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું, જેમાં રોટલી કે થેપલાં, શાક, અથાણું કે ચટણી, લીલાં મરચાં આપવામાં અપાતાં. શ્રમિકો વહેલી સવારે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લેતા અને એ રીતે સવારે 7થી 11 વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ થતું હતું પરંતુ કોરોનાની મહામારીના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ હતી. રાજ્યમાં કોરોના કેસોમાં ઝડપી ઘટાડા બાદ સરકારે આ યોજનાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ઑક્ટોબર 2022થી ફરી ભોજન વ્યવસ્થા શરૂ થઈ છે. પ્રતિ ભોજન અત્યારે સરકાર તરફથી ₹ 37ની સબસીડી ચૂકવીને માત્ર ₹ 5માં શ્રમિકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.
સળગતા સવાલ
- અમદાવાદમાં અન્નપૂર્ણા યોજના બંધ કેમ છે?
- શ્રમિકોને ભોજન કેમ નથી મળતું?
- શું માત્ર કામગીરી દેખાડવા માટે જ અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી?
- જનપ્રતિનિધિઓ અન્નપૂર્ણા યોજના શરૂ કરાવશે?
- શ્રમિકો માટે શરૂ થયેલા યોજનાનો લાભ શ્રમિકોને કેમ નથી મળતો?