VTVનો મહામંથન કાર્યક્રમ ફરી એકવાર ખેડૂતોનો અવાજ બન્યો છે. મંત્રી કનુદેસાઇએ ખેડૂતોની સમસ્યા મુદ્દેના મહામંથન કાર્યક્રમની નોંધ લીધી છે. ખેડૂતોને 6 કલાક વીજળી આપવાનું વચન આપ્યું છે.
કાલથી 6 કલાક વીજળી મળતી થશે: ઉર્જા મંત્રી કનુ દેસાઇ
કનુ દેસાઇએ જાહેરાત કરતાં કહ્યું છે કે આવતીકાલ શનિવારથી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી થશે, અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી અપાશે. ખેડૂતોને પુરતો વીજ પુરવઠો પૂરતો મળે તેની વ્યવસ્થા થશે તેમણે વીજ સંકટ પર ધ્યાન દોરતા વધુમાં જણાવ્યું કે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને કારણે ગેસ સપ્લાયને અસર થઈ હતી, ઈન્ડોનેશિયાથી કોલસાની સપ્લાયમાં પણ સમસ્યા હતી. જરૂર પડ્યે ઉદ્યોગોના પાવર સપ્લાય પર કાપ મુકીશું.
વીજળીનો પુરવઠો ડિમાન્ડ અને સપ્લાયના આધારે જે તે રાજ્યની સરકાર પુરો પાડવાનો પ્રયાસ કરે છે..પરંતુ તેમ છતા ખેડૂતોને વીજળી માટે રઝળપાટ કરવાની સમસ્યાનો અંત નથી આવતો..ખેડૂતોના મતે સરકારી પ્લાન્ટને ખોટના ખાડામાં ધકેલાય છે. ટેકનોલોજીના નામે ખર્ચો કરાય છે, અને વીજળીના નામે ખેડૂતોને અપાય છે માત્ર પાવર પુરતો આપવાના વચનનો કરંટ, છેલ્લા કેટલાય મહિનાઓથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને તેની આસપાસના કેટલાક જિલ્લાઓમાં વીજળીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.વિવિધ ગામના લોકોએ ક્યાક વીજ સ્ટેશનનો ઘેરાવ કર્યો.
પાવરનો સંગ્રહ થતો નથી: જીતુ વાઘાણી
વીજ સમસ્યા મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યમાં વીજ ક્રાઇસીસ ચાલી રહી છે તે સાથે જ સ્પષ્ટ વાત કરતાં કહ્યું હતું કે રાજ્યના કરાર થયેલા બધા જ પાવર પ્લાન્ટ કાર્યરત છે પણ વિન્ડ પાવર અને સોલર પાવરની અનિશ્ચિતતા હોય છે. સમગ્ર ભારતનો પાવર એક એક્સચેન્જમાં જમા થાય છે. પાવરની સત્તા જે તે સમયે આપણી પાસે હતી. પાવરનો સંગ્રહ થતો નથી, ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણે વધુ ભાવ આપીને સરકાર ખરીદી કરે છે. ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણે વધુ ભાવ આપીને સરકાર ખરીદી કરે છે. ગુજરાત સિવાયના રાજ્યો પણ કેન્દ્ર સરકાર પાસેથી ખરીદી કરે છે.
ખેડૂતોની માંગ શું?
ખેતીની વીજળી જૂના સમય પ્રમાણે 8 કલાક આપવાની માંગ
ખેતીની ઉપજના મોંઘવારી અનુસંધાને ભાવ આપવા માંગ
ખાતર-પેસ્ટિસાઈડમાં GST બંધ કરાય તેવી માંગ
ખેતી વિષયક વીજ મીટર હટાવી સમાન વીજ દર કરવા માંગ
સરકારની નીતિઓથી ખેતીને નુકસાન થવાના આક્ષેપ
ક્યાંક અધિકારીઓની કચેરીઓને તાળાબંધીના કાર્યક્રમ આપ્યા, તો ક્યાંક વિરોધના ભાગરૂપે રેલીઓ અને આવેદનપત્રો પણ અપાયા. હવે સવાલ એ છે કે વીજળી માટે ખેડૂતો ક્યાં સુધી આંદોલનો કરતા રહેશે? વીજળી આપવામાં સરકાર અને સિસ્ટમ કેમ ફેલ છે?.ખેડૂતો કેટલાક કલાક વીજળી માગી રહ્યા છે અને સરકાર કેટલા કલાક વીજળી આપી રહી છે?
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને વીજળીની વાટ
રાજકોટમાં ગોંડલ, ગોમટા, જેતપુરમાં અપૂરતી વીજળી મળતા રોષ જોવા મળ્યો છે. માત્ર 4 કલાક જ વીજળી આપવામાં આવતી હોવાનો આક્ષેપ થઇ રહ્યાં છે. તેમજ ખેતીલક્ષી વીજ પુરવઠો અનિયમિત અને ઓછો મળવાનો આક્ષેપ થયા છે. તો આ તરફ ગોંડલના ગોમટા ગામે પૂરતી વીજળીની માગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ગોમટા ગામે VTV ન્યૂઝે રિયાલિટી ચેક કરતા સરકારની પૂરતી વીજળી આપવાના દાવા પોકળ સાબિત થયાં હતાં. PGVCLની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોનું પિયત અટક્યું છે. સરકાર 8 કલાક વીજળી આપતી હોવાનો દાવો કરે છે. તો સામે પક્ષે ખેડૂતો માત્ર 3 કલાક વીજળી મળતી હોવાનો દાવા થયા છે. તો જેતપુરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. જેતપુર PGVCL કચેરીએ ખેડૂતો આંદોલન કર્યું હતું. અને વિરોધ નોંધાવીને પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સામવારથી જેતપુરના 48 ગામના ખેડૂતો જેતપુરની PGVCL કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
બારડોલી,સુરત તેમજ દહેગામ,ગાંધીનગરમાં વીજળી મામલે રજૂઆત
રાજ્ય સરકારના કૃષીમંત્રી રાઘવજી પટેલે થોડા દિવસ પહેલા જ ખેડૂતનો આશ્વાષન આપ્યુ હતુ કે, હવેથી 8 કલાક સતત વીજળી મળી રહેશે પરંતુ જમીન પર હકીકત કંઈક અલગ હોવાથી હજુ પણ ખેડૂતો ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે. જેમાં સુરતના બારડોલી અને ગાંધીનગરમાં ખેડૂતોએ વીજળીના પ્રશ્ને ખેડૂતો આંદોલનરત જોવા મળ્યા હતા. સુરત જિલ્લામાં અપૂરતી અને અનિયમિત વીજળીને લઇને ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર સોંપી સમસ્યાનુ નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. બીજી તરફ દહેગામમાં પણ UGVCL પાસે 8 કલાક વીજળીની માગ સાથે ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેઓનુ પોલીસ સાથે ઘર્ષણ પણ થયુ હતુ
બનાસના ખેડૂતોના બેહાલ વીજળી આપો સરકાર!
બનાસકાંઠામાં વીજળીને લઈને ખેડૂતોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે.વીજ પૂરવઠો પૂરતો ન મળવાને કારણે ખેડૂતો રોષે ભરાયા છે..દિયોદરના વખા બાદ લાખાણી અને ડીસાના ખેડૂતો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.8 કલાક વીજળી માટે ખેડૂતો ધરણા કરી રહ્યા છે.. ખેડૂતો સતત ત્રણ દિવસથી દિયોદર ખાતે ધરણા પર બેઠા છે. મોટી સંખ્યામાં લોકોને ધરણાંમાં જોડવા માટે ઢોલ વગાડી પ્રચાર કરી રહ્યા છે. દિયોદર અને કાંકરેજ ગામના લોકોને ધરણામાં જોડાવવા અપીલ કરાઇ રહી છે.તો બીજી તરફ લાખાણી પંથકના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.ત્યારબાદ વીજ કચેરીએ વિરોધના ભાગરૂપે સરકારનું બેસણું કર્યું હતું.અને સરકારના નામના છાજિયા લીધા હતા.સાથે જ જો સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક ધોરણે નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે..તેમજ વિધાનસભાની ચૂંટણીમાં પણ સરકારને રાતા પાણીએ રોવાનો વારો આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.