સરકારી શાળામાં બાળકોને ગુણવત્તાસભર આહાર માટે અક્ષય પાત્ર દ્વારા મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ભાવનગરમાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ગઈ કાલે મધ્યાહન ભોજન બંધ કરી દેવાતાં 54 શાળાનાં 25 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનની રાહ જોતાં રહી ગયાં હતાં અને ભોજન કર્યા વગર જ પાછા ફરવાનો વારો આવ્યો હતો.
જો કે મધ્યાહન ભોજન પરનાં વીટીવી પરનાં અહેવાલ બાદ તંત્ર જાગ્રત અવસ્થામાં આવી ગયું છે. જેને લઇ હવે આવતી કાલથી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવશે. તમામ શાળાનાં આચાર્યોને અક્ષયપાત્ર સંસ્થા દ્વારા જાણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આમ તો છેલ્લાં ૧ વર્ષથી પોષ્ટિક આહાર બાળકોને અપાતો હતો. પરંતુ તંત્રની અણ આવડત કે આગોતરા આયોજનનાં અભાવે આજે અચાનક જ શાળાઓમાં બાળકોને ભોજન ન મળતા આ વિષય એક ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આમ તો આ સંસ્થાનો કોન્ટ્રાક્ટ ૭ એપ્રિલનાં રોજ પૂરો થયો છે.
જેની જાણ શિક્ષણ સમિતિ કે શાળાનાં આચાર્યને પણ કરાઈ ન હતી. બાળકો ભોજનની રાહમાં બેસી રહ્યાં હતાં પરંતુ ભોજન ન આવતા તેઓ નિરાશ થઇ ગયાં હતાં. શાસન અધિકારીનું એમ કહેવું છે કે અક્ષયપાત્ર દ્વારા ભોજન નહીં પહોચાડવાનાં મામલે શિક્ષણ સમિતિને જાણ પણ કરાઈ નથી.
જો કે એમ જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સરકારી શાળામાં ઓછામાં ઓછા ૨૦૦ દિવસ બાળકો માટે સરકારે ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ. તે મુજબ આ વર્ષે વધુ દિવસ થઇ ગયા હોય ભોજન બંધ કરાયું છે તેમ પણ શાસન અધિકારીઓએ જણાવ્યું હતું.
અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સાથે સરકારે મધ્યાહન ભોજનનો કોન્ટ્રાક્ટ કર્યો છે. આ સંસ્થા દ્વારા પરીક્ષાનાં દિવસોમાં જ ભોજન ન આપવામાં આવતાં બાળકોમાં નિરાશા જાગી છે.
જો કે ગત વર્ષે ખાનગી સંચાલકોનાં હાથમાં મધ્યાહન ભોજન યોજના હતી. એટલે ભોજન આપવામાં આવ્યું હતું તેમ પણ જાણવા મળ્યું છે.
આ ઘટના અંગે સીટી મામલતદારનું કહેવું છે કે પરીક્ષાનો સમય ઓછો હોય અને બાળકો પરીક્ષા આપી ને સીધા ઘરે જ ચાલ્યા જાય છે. અન્નનો બગાડ ન થાય તે માટે પરીક્ષાના દિવસોમાં મધ્યાહન ભોજન યોજના બંધ રાખવામાં આવી છે.
સરકાર લાખો રૂપિયા ખર્ચીને શિક્ષણ અને ગુણવતાયુક્ત ભોજન માટે અનેક યોજના બનાવે છે. પરંતુ તેની પાચલ ફોલોપ ન લેવાતું હોવાને કારણે સરકારનો આ વહીવટ બહાર આવે છે.
જેનું ઉદાહરણ આ ભાવનગરમાં જોવા મળ્યું છે. પરંતુ અચાનક જ વીટીવી પરનાં અહેવાલને લઇને આવતી કાલથી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવશે.