VTVGujarati.com દ્વારા જગન્નાથ મંદિરની જમીનનો વિવાદનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના પડઘા સ્વરૂપે ગૌચરની જમીન વેચી દેવા મામલે ચેરિટી કમિશનરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે. પરંતુ મંદિર દ્વારા જમીનનું રૂપિયા 800 કરોડનું કૌભાંડ આચરવામાં આવતા તરખાટ મચી ગયો હતો.
ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ
કલેક્ટરે તપાસનો ધમધમાટ વધાર્યો
એક જાગૃત નાગરિકે કરી ફરિયાદ
આ અંગે ચેરિટી કમિશનર વાય. એમ. શુકલાએ કલેક્ટરને પત્ર લખ્યો છે અને ટ્રસ્ટની જમીનના મહેસૂલી રેકર્ડમાં ફેરફાર ન કરવા અંગે સૂચના આપી છે. વળી આ અંગે થયેલી ફરિયાદ મુદ્દે ચેરિટીએ કમિશનરે 9મી જાન્યુઆરીએ સુનાવણી રાખી છે. આ અંગેની વિગત એવી છે કે AMCએ 1992માં બહેરામપુરાના સર્વે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો માટે આપી પણ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના, કલેક્ટરની અશાંત ધારાની મંજૂરી વિના આ જમીન બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી.
અગાઉ મહંત દિલીપદાસજી મહારાજે યાસીન ઘાંચીને ભાડાપટ્ટે આપી હતી જમીન
ફરિયાદીનું કહેવું છે કે જે જમીનનો વિવાદ છે તે સુએજ ફાર્મની જગ્યા છે. જેની માલિકી AMCની હતી પછી વર્ષ 1992માં સ્ટેન્ડીંગ કમિટીએ ઠરાવ કરી જમીન ગૌ સેવા માટે કાયમી ભાડાપટ્ટે નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ (જગન્નાથમંદિર, જમાલપુર)ને આપી હતી. જેનો હેતુ માત્ર ગાયો માટે ઘાસ ઉગાડવાનો હતો. બાદમાં 2018માં દસ્તાવેજ કરી આ જમીન શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી વતી ટ્રસ્ટી દિલીપદાસજી મહારાજે યાસીન ગનીભાઇ ઘાંચીને ભાડાપટ્ટે આપી દીધી હતી. જેની સામે વિરોધનો સૂર ઉઠ્યો છે.
ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ
મંદિર ટ્રસ્ટ કાઈ ખોટું નહીં થયા હોવાનું ગાણું ગાય છે પણ તંત્રએ ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે. ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરીના કાગળો મૂકવા આદેશ કર્યો છે. આ અંગેના દસ્તાવેજો રજુ ન કરાય ત્યાં સુધી AMCએ આ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે એ હકીકત છે.
એક જાગૃત નાગરિકે કરી ફરિયાદ
જમીન ગૌચર માટે આપી હોવા છતાં તેનો કૉમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાની તૈયારી થઈ ગઈ છે. ગૌચરની જમીન પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું કામકાજ ચાલી રહ્યું છે અને તે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આમ મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પાલડીના એક જાગૃત નાગરિક દ્વારા આ આરોપ કરવામાં આવ્યા છે અને ફરિયાદ કરવામાં આવી છે.
AMCએ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી
ચેરિટી કમિશનરની પૂર્વ મંજૂરી વિના જમીન વેચાણ થઇ હોવાની ફરિયાદો છેક ગાંધીનગર સુધી થતાં AMCના અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો છે. જેથી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે. ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરીના કાગળો મૂકવા આદેશ કર્યો છે. આ અંગેના દસ્તાવેજો રજુ ન કરાય ત્યાં સુધી AMCએ આ જમીનની રજાચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે.