વધતા જતા વિકાસને પગલે પ્રદૂષણનો પણ વિકાસ થઇ રહ્યો છે. પછી તે હવાનું પ્રદૂષણ હોય, પાણીનું કે જમીનનું. દિવસ જાય તેમ ચોખ્ખી હવા અને પાણી મળવા મુશ્કેલ લાગી રહ્યા છે. વળી એવા કેટલાક ઉદ્યોગ ધંધાઓ છે કે બેફામ પ્રદૂષણ ફેલાવે છે. મોટી મોટી મિલના ભૂંગળામાઁથી નીકળતો ઝેરી ધુમાડો કે પછી નદીમાં છોડાતા કેમિકલ યુક્તિ પાણી. કેટલાક કેમિકલ માફિયાઓને તો જાણે પ્રદૂષણ ફેલાવાનો પરવાનો મળી ગયો હોય તેમ બેફામ બન્યા છે. આવુ જ જોવા મળ્યુ જેતપુરમાં .કાર્યવાહી કરવા આવેલી જીપીસીબીની ટીમે સેટિંગ કર્યુ હોવાનો આરોપ લાગ્યો છે જે મામલે વીટીવી ન્યૂઝે સ્થળ પર જઇને મુલાકાત લીધી તો અધિકારીઓ ચૂપચાપ કારમાં બેસીને સરકી ગયા.
VTVના પત્રકારને જોઇને અધિકારીઓ ભાગ્યા
જેતપુરમાં સાડીઓનો ધંધો ફુલ્યો ફાલ્યો છે તેટલા જ ફુલ્યા ફાલ્યા છે કારખાનેદારો.કારખાનાનું ગંદુ પાણી વિના રોકટોક ભાદર નદીમાં ઠાલવે છે. આ અંગે ગ્રામજનો અનેક રજૂઆતો કરીને થાક્યા પરંતુ કોઇ ઉકેલ આવતો નથી. જો કે માત્ર કાર્યવાહીના દેખાડા કરવા ખાતર જીપીસીબીની ટીમ આવી ખરી પરંતુ પત્રકાર સામે પણ એક શબ્દ ઉચ્ચાર્યા વિના ચૂપચાપ ચાલી ગઇ. જે જોતા ક્યાંક કારખાનેદારો અને જીપીસીબી વચ્ચે સેટિંગ થયુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
જીપીસીબી-કારખાનેદારોની ગુપ્ત સ્થળે મીટિંગ
જીપીસીબીના અધિકારીઓ ફરિયાદને પગલે આવ્યા તો ખરા, પ્રદૂષિત વિસ્તારોની મુલાકાત પણ લીધી. જે બાદ તેઓએ જેતપુર જૂનાગઢ રોડ પર આવેલી એક હોટલમાં કારખાનેદારો સાથે બેઠક કરી. આ હોટલ હજી તો શરુ પણ નથી થઇ ત્યાં મિટીંગો કરી. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની ઓફિસ હોવા છતાં પ્રાઇવેટ હોટલોમાં કેમ મિટીંગ કરી ? શું કોઇ ખેલ પાડવા માટે ગુપ્ત જગ્યાએ મિટીંગ કરી ? શું કારખાનેદાર અને જીપીસીબી વચ્ચે સેટિંગ તો નથી થઇ ગયુ ને ?
સરકારી બાબુઓની કારમાં ગિફ્ટ
લોકમાતા ભાદર નદી પર જેતપુર અને તેની આસપાસના લોકો નભે છે. પીવાનું તેમજ સિચાઇનું પાણી ભાદર નદી મારફતે પુરુ પાડવામાં આવે છે પરંતુ લોકમાતા કહેવાતી આ નદીમાં કારખાનેદારો ગંદકી ઠાલવી રહ્યા છે તેની સામે જીપીસીબીના અધિકારીઓએ કંઇક એક્શન લેવા જોઇએ તેના બદલે પત્રકારને જોતા ચૂપચાપ નીકળી ગયા. વળી સરકારી બાબુઓની કારમાં ગિફ્ટ બેગ્સ પણ જોવા મળી . આ જોતા શંકા વધારે પેદા થાય કે શું સેટિંગ તો નથી પાડવામાં આવ્યુ ને ?
શું છે વિવાદ ?
સા઼ડીના કારખાનેદારો કેમિકલ યુક્ત પાણી ભાદરમાં ઠાલવી રહ્યા છે જેને કારણે ગ્રામજનોને પીવાનુશુદ્ધ પાણી મળતુ નથી. ખેતીના પાકોને સિંચાઇનું પાણી મળતુ નથી. લોકો શ્વાસના અને ચામડીના રોગો થઇ જાય છે. આ મામલે ગ્રામજનો અનેકવાર રજૂઆત કરીને થાક્યા પણ કોઇ કારખાનેદાર સામે કાર્યવાહી કરવામાં રસ દાખવતુ નથી. આશા હતી કે જીપીસીબીના અધિકારીઓ સાથે મીટિંગ બાદ કારખાનેદારો લાઇન પર આવશે પરંતુ અહીં તો તેઓનું વર્તન જોતા બંને વચ્ચે સેટિંગ થઇ ગયુ હોવાનો આક્ષેપો થઇ રહ્યા છે.