કોઇ સંસ્થા વડા કે સંચાલક પોતાની જ સંસ્થામાં કચરા-પોતું કે પછી સાફ સફાઇ કરતા હોય તેવું બને ખરું ?
કોઇ સંસ્થા વડા કે સંચાલક પોતાની જ સંસ્થામાં કચરા-પોતું કે પછી સાફ સફાઇ કરતા હોય તેવું બને ખરું ? વાત તો અજીબ લાગે પરંતુ આ હકીકત છે. સુરેન્દ્રનગરમાં વાત્સલ્ય વડલો વૃદ્ધાશ્રમ ચલાવતા નિમિષા શર્મા આવા જ એક અનોખા સંચાલક છે. રેલવેના નિવૃત્ત કર્મચારી મહેન્દ્રભાઇ અને વિજ્યાબહેનના 4 સંતાનો પૈકીના સૌથી નાના સંતાન એટલે નિમિષા બહેન.
બાળપણથી સમાજ માટે કાંઇક કરી બતાવવાની નેમ ધરાવતા નિમિષા શર્મા શાળાએ જતા ત્યારે કોઇ વૃદ્ધ, અશક્ત કે સુરદાસને જૂએ તો તરત જ તેમની સેવા માટે દોડી જતા. શાળાના આચાર્યાએ તેમની આ ભાવનાને જોઇને પીઠ થાબડી અને પ્રોત્સાહન આપ્યું.
કેવી રીતે આકાર પામ્યો વાત્સલ્ય વડલો ?
કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અને NCCમાં જોડાયા અને સમાજજાગૃતિ માટે શેરી-નાટકો, સફાઇના કામકાજ કર્યા. સાથોસાથ નવસર્જન નામે એક સંસ્થાની સ્થાપના કરી અને તેના માધ્યમથી તેમણે બહેનો માટે સીવણવર્ગ, પુસ્તક, દવા અને ફળોનું વિતરણ, જરૂરીયાતમંદ બાળકોને મદદ, રક્તદાન શિબિર જેવી અનેક પ્રવૃત્તિ કરી. આ કામકાજ દરમિયાન તેઓ વિકાસ વિદ્યાલયના સંચાલિકા અરૂણાબહેન દેસાઇ અને ચિન્મય મિશનના સાધ્વી પ્રમિતાનંદજીના સંપર્કમાં આવ્યા અને સેવાનું લક્ષ્ય પ્રબળ બન્યું અને વાત્સલ્ય વડલાએ આકાર લીધો.
500 વારની જગ્યામાં આકાર પામ્યો વાત્સલ્ય વડલો
નિમિષા શર્માના માતુશ્રી વિજ્યાબહેને દાનમાં આવેલ 500 વાર જગ્યામાં 2 રૂમ, ભોજનખંડ, રસોડું, કોઠાર બનાવ્યા અને વાત્સલ્ય વડલાની શરૂઆત કરી હતી. ધીમે-ધીમે વ્યાપ વધ્યો અને નવા ત્રણ રૂમ, પ્રાર્થના હોલ, લાયબ્રેરી અને પ્રાગણમાં એક ગૌશાળા બનાવી છે. વૃદ્ધાશ્રમ એ આપણી સંસ્કૃતિની વિરૂદ્ધ છે એટલે તેઓ વાત્સલ્ય વડલો આશ્રમના નામથી જ સંબોધે છે. અહીં આજે 2-3 જેટલા વૃદ્ધો રહે છે અને સંતોષથી જીવન પસાર કરી રહ્યા છે.
આર્થિક સંકડામણ વચ્ચે પણ ધાર્યા મુકામ સુધી પહોંચવાની રાખે છે નેમ કેટલીય આર્થિક સંકડામણ વચ્ચે પણ પોતાના ધાર્યા મુકામ સુધી પહોંચવા માટે સતત દોડધામ કરતા નિમિષાબહેન ક્યારેક તો ખૂદ વૃદ્ધોને તેલમાલિશ કે પછી માથાના વાળમાં તેલ નાખતા નજરે પડે છે. માયાળુ સ્વભાવ ધરાવતા નિમિષા શર્માએ આશ્રમના પ્રાંગણમાં વૃક્ષો ઉછેર્યા છે. તો વાર-તહેવારે અહીં ગાયત્રી યજ્ઞ, નવચંડી યજ્ઞ, ભાગવત પઠન, સુંદરકાંડ અને કવિ સંમેલનનું આયોજન થતું રહે છે. આજે વિશ્વ વિમેન્સ ડે છે ત્યારે નિમિષા શર્માના આ સેવા કાર્યને VTV સલામ કરે છે.