મન હોય તો માળવે જવાય. પાટણના એક દિવ્યાંગ યુવાને અશક્યને શક્ય કરી બતાવ્યું છે. આધુનિક અને ઓર્ગોનિક ખેતી દ્વારા તેણે ખરેખર સફળતાનો ઈતિહાસ રચી દીધો છે. આવો જાણીએ તેણે શું કમાલ કરી છે.
18 મહિનામાં 3000 કિલો ઉત્પાદન
3 લાખના ઉત્પાદન સાથે 1.50 લાખ જેટલો નફો મેળવ્યો
ઓર્ગેનિક ખેત પદ્ધતિ અપનાવી
તાઈવાન જામફળની ઓર્ગેનિક ખેતી કરી માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં 3 લાખનું ઉત્પાદન મેળવ્યું છે. પાટણમાં રહેતા 24 વર્ષિય દિવ્યાંગ યુવાન પાર્થ પટેલે બી.એસ.સી. એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ તેના પિતા દિનેશભાઈની નર્સરીમાં કામ શરૂ કર્યું. જામફળની પદ્ધતિસરની વાવણી અને માવજત થકી ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન લઈ સારા પ્રમાણમાં આવક મેળવી છે.
18 મહિનામાં 3000 કિલો ઉત્પાદન
માત્ર અઢાર મહિનાના ટૂંકા ગાળામાં તાઈવાન જામફળના 221 છોડમાંથી 3000 કિલો ઉત્પાદન મેળવ્યું છે. ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર અને મોટા કદના ફળના બજારમાં 100 રૂપિયે કિલોનો ભાવ મળી રહ્યો છે. યોગ્ય વાવણી, માવજત અને પદ્ધતિસરની પિયતના કારણે પ્રથમ ઉત્પાદનમાં જ પાર્થ પટેલે 3 લાખનું ઉત્પાદન મેળવ્યું છે.
કેવી રીતે કરી વાવણી
સરસ્વતિ તાલુકાના ચોરમારપુરા ખાતે છેલ્લા ૧૨ વર્ષથી નર્સરી ધરાવતા દિનેશભાઈ પટેલના પુત્ર પાર્થ પટેલે ગત વર્ષે અઢી વિઘા જમીનમાં ૧૫ x ૧૫ ના બ્લોકમાં ૨૨૧ જેટલા તાઈવાન જામફળના છોડની વાવણી કરી. પ્રથમ તો જમીનમાં ખાડા કરી તેમાં છાણીયું ખાતર તથા બોનમીલ નાંખી પિયત આપ્યું. થોડા સમય બાદ તેમાં જામફળના છોડ રોપી ડ્રીપ ઈરીગેશન દ્વારા પાણી આપવાનું શરૂ કર્યું.
ક્યારે આવ્યા ફળ
સામાન્ય રીતે વર્ષમાં એક વાર ઉત્પાદન આપતાં તાઈવાન જામફળની યોગ્ય પદ્ધતિથી ખેતી કરી પાર્થ પટેલ શિયાળો અને ઉનાળો એમ બે ઋતુમાં ઉત્પાદન મેળવશે. હાલ છોડ પર નવા ફ્લાવરીંગ બાદ ફળો આવવાનું શરૂ થતાં વાવેતરના 18 મહિનામાં 3000 કિલોના ઉત્પાદન બાદ બીજા ચાર મહિનાના ગાળામાં બીજું ઉત્પાદન પણ લઈ શકશે
3 લાખના ઉત્પાદન સાથે 1.50 લાખ જેટલો નફો મેળવ્યો
પ્રથમ વર્ષે પ્લાન્ટ, ખાતર, મજૂરી તથા ડ્રીપ ઈરીગેશન સેટઅપ સહિતનો ખર્ચ બાદ કરતાં અઢી વિઘા જામફળની ખેતીમાંથી 3 લાખના ઉત્પાદન સાથે 1.50 લાખ જેટલો નફો મેળવ્યો છે. 20 થી 25 વર્ષનું આયુષ્ય ધરાવતા જામફળના છોડમાં બીજા વર્ષથી ડ્રીપ ઈરીગેશન સેટઅપ અને પ્લાન્ટેશનનો ખર્ચ કરવાની જરૂરિયાત ન હોઈ નહિવત્ ખર્ચ થવાથી નફાનું પ્રમાણ પણ વધશે.
ઓર્ગેનિક ખેત પદ્ધતિ અપનાવી
જામફળના પાકમાં તેઓ બોનમીલ, જીવામૃત અને છાણીયા ખાતરનો વપરાશ કરે છે. ડ્રીપ થકી અપાતા પિયતમાં નીમ ઓઈલનો ઉપયોગ તથા જંતુનાશક તરીકે ગૌમુત્ર, 10 પર્ણી અર્ક અને લીંબોડીના તેલનો છંટકાવ કરે છે. જેનાથી ફળને નુકશાન થતું અટકવા સાથે તેનો કુદરતી સ્વાદ પણ જળવાઈ રહે છે. ઓર્ગેનિક ખેત પદ્ધતિ પર વાત કરતાં પાર્થ જણાવે છે કે, વર્ષો પહેલા ઢોરના હાડકામાંથી બનાવેલું બોનમીલ ઘણા ખેડૂતો વાપરતાં, હાલ તેનું ચલણ ખુબ ઓછું છે. પરંતુ તેના ગુણ, ફાયદાઓ અને ખર્ચનો અભ્યાસ કર્યા બાદ મેં છાણીયા ખાતરની સાથે તે વાપરવાનું શરૂ કર્યું. લગભગ ડી.એ.પી. ખાતરના ભાવે મળી રહેતા બોનમીલના ઉપયોગથી મેં સરેરાશ બમણું ઉત્પાદન મેળવ્યું છે. ઓર્ગેનિક પદ્ધતિથી વાવેલા જામફળના કદ અને તેના કુદરતી સ્વાદના કારણે બજારભાવ પણ સારો મળી રહે છે.