છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેતા પાટીદાર અગ્રણી નરેશ પટેલ આજે પાટીદાર અગ્રણીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે, ત્યારે VTV NEWS પાસે ગુજરાતના રાજકારણના મહત્વના અપડેટ છે.
ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં થઈ શકે છે હલચલ
નરેશ પટેલની રાહુલ ગાંધી સાથે પણ થઈ મુલાકાત: સૂત્ર
અશોક ગેહલોતને કારણે કોંગ્રેસમાં આવશે નરેશ પટેલ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યા છે ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, નરેશ પટેલ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત એક મહિના પહેલા થઈ હતી. જેમાં મધ્યસ્થી તરીકે અશોક ગેહલોતની મહત્વની ભૂમિકા રહી હોવાનું પણ સામે આવ્યું છે.
અશોક ગેહલોત અને નરેશ પટેલ વચ્ચે ખાસ સંબંધો
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે નિકટના સંબંધો રહ્યા છે અને 2017માં પણ તેમને ગુજરાતની સક્રિય રાજનીતિમાં લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા.
મોટા કમિટમેન્ટ સાથે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા
તો આ સાથે જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ અશોક ગેહલોતના કહેવાથી જ નરેશ પટેલને મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તો આ સાથે જ એવી વિગતો પણ જાણવા મળેલ છે કે, મોટા કમિટમેન્ટ સાથે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી શકયતા.
ગાંધીનગરમાં આજે CM સાથે બેઠક કરશે નરેશ પટેલ
ગાંધીનગર ખાતે આજે સાંજે 6.30 કલાકે યોજાનારી બેઠક પહેલા પાટીદાર નેતા નરેશ પટેલે આડકતરી રીતે રાજનીતિમાં જવાના સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંને બોલાવી રહ્યા છે પરંતુ હાલ રાજકરણમાં જવાનો મારો કોઇ વિચાર નથી. જો કે, સમાજ જો આદેશ કરશે તો મારે રાજકરણમાં આવવું પડશે.
ગાંધીનગર ખાતેની બેઠક પહેલા રાજકારણ ગરમાયું
પાટીદાર અગ્રણીઓની આજે સાંજે બેઠક મળવાની છે, જેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. નરેશ પટેલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખોડલધામ, ઉમિયાધામ અને આંદોલનના નેતાઓ આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરવાના છે. જેમાં આંદોલનના સમયના બાકી રહેલા પ્રશ્નોની તથા પાટીદાર સમાજના સામે કરાયેલ કેસો ફરી પાછા લેવા મામલે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં નરેશ પટેલ,અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે.
રાજકારણમાં જવાના આપ્યા સંકેત
પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.
ભરતસિંહ સાથેની મુલાકાત અંગે આપ્યું નિવેદન
કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકી સાથે તાજેતરમાં જ થયેલી મુલાકાત અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી પ્રવૃત્તિઓ જોઇને ભરતસિંહને થયું હોય કે હું સન્માન માટે હકદાર છું
ખોડલધામના પટાંગણમાં મળેલી આ બેઠક રાજકીય રીતે મહત્વની
ગુજરાત વિધાનસભાની સમયાવધી પ્રમાણે આગામી ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી છે ત્યારે, તમામ રાજનીતિક પક્ષો પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે. એવામાં ભરતસિંહની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. જ્યાં તેઓએ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ સહિત અન્ય મહાનુભાવો સાથે મુલાકાત કરી બેઠક કરી હતી.
અગાઉ શું કહ્યું હતું નરેશ પટેલે ?
ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.
અગાઉ પાટીલે પણ કરી હતી મુલાકાત
થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રમાં વધી રહેલા જૂથવાદને ખતમ કરવા માટે સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા હતા..આ દરમિયાન તેમણે ખોડલખામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી.. જે બાદ પાટીદારોને મનાવવાના પ્રયાસો થતા હોવાની ચર્ચા પણ શરૂ થઈ હતી.. અને ભાજપે પાટીદારો સામેના કેસો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. તેવામાં હવે કાોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી વધુ એક વખત રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે.
ભરતસિંહ સોલંકીની નરેશ પટેલ સાથેની આ મુલાકાત એટલા માટે ચર્ચાનો વિષય બની છે કારણ કે, શુક્રવારે જ કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. અને સુખરામ રાઠવાને વિપક્ષ નેતા..આમ કાોંગ્રેસે ઓબીસી અને એસટી વોટબેંકને પોતાના તરફી કરવાનો દાવ ખેલ્યો. અને હવે બીજા જ દિવસે ભરતસિંહ સોલંકી નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક માટે ખોડલધામ પહોંચી ગયા હતા.. એટલું જ નહીં આ બેઠકથી ગીતા પટેલ અને મહેશ રાજપૂત સહિતના કાોંગ્રેસના નેતાઓને પણ દૂર રાખવામાં આવ્યા. ત્યારે ચોક્કસ પણે આ બેઠક 2022ની ચૂંટણીને લઈને પાટીદાર મતોને કાોંગ્રેસ તરફી લાવવા માટેનો પ્રયાસ હતો.
અહીં આપણે એવાત પણ ન ભૂલી શકીએ કો, ગત ઓગસ્ટ મહિનામાં ખોડલ ધામથી એવી લાગણી અને માગણી વ્યક્ત કરાઈ હતી કે, 2022ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર જ હોય. અને ત્રણ જ મહિનામાં તેની અસર જોવા મળી. પાટીદાર સમાજનો સરદાર ધામ કાર્યક્રમ રૂપાણી સરકારનો આખરી જાહેર કાર્યક્રમ બની ગયો. તેવામાં સી.આર.પાટીલ બાદ ભરતસિંહ સોલંકીની ખોડલધામ મુલાકાત અનેક તકા વિતર્કો સર્જાયા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, ભરતસિંહ સોલંકીની આ મુલાકાત ગુજરાતની ત્રીજી સૌથી મોટી જ્ઞાતિના મત કોંગ્રેસ તરફી લાવી શકશે. કે, પછી ભાજપ મુખ્યમંત્રીના નામે બાજી મારે છે..