સુકો મલક ગણાતા ક્ચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ ક્ચ્છ સહિત વિશ્વમાં ખેતી ક્ષેત્રે નવા સાહસથી જાણીતા બન્યા છે.ત્યારે કચ્છના વયોવૃદ્ધ ખેડૂત વેલજી ભુડિયા પણ બારહી ખારેક માંથી પ્રવાહી ગોળ બનાવી નવો પ્રયોગ કર્યો છે. જુઓ અમારી વિશેષ રજુઆત.
કેમિકલ યુક્ત ગોળનો દરેક ચીજમાં કરી શકાય છે ઉપયોગ
ડાયાબિટીસ વાળા લોકો પણ ખાઈ શકે છે ગોળ
લેબોરેટરી ટેસ્ટમાં પણ ગોળની ગુણવત્તા પાસ
દેશની પશ્ચિમી સરહદે આવેલા ક્ચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વિશાળ છે અહીંની ભૌગોલિક સ્થિતિ અન્ય જિલ્લા કરતા વિષમ છે હરહંમેશ પાણી માટે વલખા મારતા કચ્છમાં હવે ખેતી ક્ષેત્રે નવો સંચાર થયો હોય તેમ કચ્છના પ્રગતિશીલ ખેડૂતો પોતાની કોઠાસૂઝથી કઈક નવું કરવાનો સાહસ કરી રહ્યા છે જેની નોંધ દેશ-વિદેશમાં લેવાઈ છે.કચ્છની કેસર કેરી,ડ્રેગન ફ્રુટ, દાડમ તેમજ ખારેક સહિતના અન્ય ફ્રુટના પાક ઉત્પાદનમાં ક્ચ્છ રાજ્યભરમાં બીજા ક્રમે છે ત્યારે હવે કચ્છના વયોવૃદ્ધ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ નવતર પ્રયોગ હાથ ધરી કચ્છની "બારહી ખારેક " માંથી પ્રવાહી ગોળ બનાવનાર પ્રથમ ખેડૂત બન્યા છે.
VTVની ટીમે વેલજીભાઈ ભુડિયાની મુલાકાત કરી આ ગોળ વિશે માહિતી મેળવી હતી. ક્ચ્છ ખારેક ઉત્પાદનમાં મોખરે છે ત્યારે કુદરતી વાતાવરણની પરિસ્થિતિમાં ખરાબ થઈ જતો ખારેકનો ફાલ પણ ગોળ બનાવવામાં ઉપયોગ માં લેવાથી ખેડૂતોને થતો નુકશાન પણ નહીં થાય. બારહી ખારેકમાંથી પહેલા જ્યુસ બને અને તે જ્યૂસને ઉકાળીને કોઈ પણ રસાયણ કે ઉમેરણ ઉમેર્યા વિના સંપૂર્ણપણે પ્રાકૃતિક ગોળ બનાવાય છે.
પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ વિટીવી સાથે વાત કરતા જણાવ્યું કે બારહી ખારેકમાંથી બનતા પ્રવાહી ગોળનો ઉપયોગ ચા,દૂધ,કોફી,લાડુ,શિરો સહિતની વાનગીઓમાં કરી"પ્રાકૃતિક મીઠાશ"મેળવી શકાય છે.તે ઉપરાંત આ ગોળ આરોગ્યવર્ધક છે.
ડાયાબિટીસના દર્દીઓ આ ગોળ માંથી બનતી વાનગીઓ આરોગી શકે છે.કેમકે ખાંડીયો તેમજ ભેળસેળ વાળા ગોળ કફ,ઉધરસ,ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે નુકશાન કારક નીવડી શકે છે ત્યારે ખારેકના ફળમાંથી બનાવેલો આ ગોળ આવા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.તે ઉપરાંત વિટામિન સી તેમજ આર્યનયુક્ત ગોળ આરોગવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.
આમ,વેલજીભાઈ ભુડિયા જેવા પ્રગતિશીલ ખેડૂતના નવા સાહસની સરકારે પણ નોંધ લીધી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બારહી ખારેકમાંથી બનેલા પ્રવાહી ગોળ ની પેકિંગનું લોન્ચ કરવામાં આવ્યું હતું સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેલજીભાઈ ભુડિયાના સાહસને બિરદાવ્યું.