અમદાવાદના પેથાપુરમાં બાળકને ત્યજી દેવા મામલે મહેંદીનો પૂર્વ પતિ VTV સમક્ષ હાજર થયો હતો અને તેણે પૂર્વ પત્ની મહેંદી અને તેના માસીને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
મહેંદીનો પૂર્વ પતિ આવ્યો VTV સમક્ષ
મહેંદીએ આદિલ સાથે બે વખત કર્યા હતા લગ્ન
સચિનના સંપર્ક બાદ બંને ફરી છૂટા થયા હતા
અમદાવાદના પેથાપુરમાં બાળકને ત્યજી દેવાનો મામલો દિવસેને દિવસ વધુને વધુ ગંભીર બની રહ્યો છે, મહેંદીની હત્યાને લઈને સચિનની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે આજે મહેંદીનો પૂર્વ પતિ આદિલે VTV NEWS સાથે ખાસ વાતચીત કરી હતી. તેણે જણાવ્યું કે, મહેંદીએ તેની સાથે 2 વખત લગ્ન કર્યા હતા.
2014માં થયા હતા 2 વખત લગ્ન
પૂર્વ પતિએ જણાવ્યું હતું કે, અમે સાડા ત્રણ વર્ષ એકદમ સરસ રીતે સાથે રહ્યા છીએ અને ત્યારબાદ હિના તેના માસીના સંપર્કમાં આવી હતી અને તેણી ત્યારબાદ એવું કહેતી કે માસી સાથે વાત કરું છું અને પછી ખબર પડી કે તે માસીના છોકરા સાથે વાતો કરે છે, ત્યારથી અમારી વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા અને અંતે અમે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું અને પ્રોસેસ બધી શરુ થઈ. જો કે,ચારેક મહિના બાદ હિના અમદાવાદ એકલી રહેવા લાગી અને સચિનના સંપર્કમાં આવી હતી અને મારી સાથે છૂટાછેટા લીધા.
આદિલે કહ્યું-મારી સાથે 2 વખત કર્યા હતા મહેંદી લગ્ન
થોડા સમય બાદ સચિન સાથે પણ બબાલ થતાં તે ફરી મારી પાસે આવી અને માફી માગીને મને સ્વીકારવા માટે વિનંતી કરી, લાગણી હોવાને કારણે મેં ફરી તેની સાથે લગ્ન કર્યા. જો કે, ત્યારે તે બોપલમાં રહેતા માસીએ હિનાને ફરીથી સચિન સાથે જોડાવાની કોશિશ કરી અને ડિસેમ્બરમાં લગ્ન થયાં બાદ માર્ચમાં તે સચિન સાથે રહેવા લાગી.
સચિનને સજા થવી જોઈએ: મહેંદીનો પૂર્વ પતિ
VTV સાથે ખાસ વાતચીત કરતા મહેંદીના પૂર્વ પતિએ કહ્યું હતું કે, સચિને ખરેખર બહું ખોટું કર્યું છે અને તેને સજા થવી જ જોઈએ. ગમે તે હોય આપણને કોઈને મારવાનો તો અધિકાર નથી જ. માટે સચિનને સજા મળવી જ જોઈએ.
હત્યારા સચિન દિક્ષિતને આજે કોર્ટમાં કરાયો રજૂ
ગાંધીનગરના પેથાપુરમાં બાળકને તરછોડવા મામલે આરોપી સચિન દિક્ષિતની ધરપકડ કરી દેવામાં આવી છે, મહત્વનું છે આરોપીએ પોતાની કરતૂત છુપાવવા માટે બાળકને મંદિરમાં તરછોડી દીધું હતું જે બાદ ત્યજી દેવાયેલા બાળકની શોધખોળ માટે પોસીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પોલીસના 20 કલાકના સર્ચ ઓપરેશન બાદ આખરે આરોપી સચિત દિક્ષિતને ઝડપી લેવામાં આવ્યા જેમાં મોટા ઘટસ્ફોટ થયો છે ત્યારે આજે આરોપી સચિન દિક્ષિતને કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, ઘટના એવી હતી કે કોઈપણ વકીલ તેનો કેસ લડવા માટે તૈયાર થયાં નહોંતા અને અંતે તેને મફત કાનૂની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
શા માટે કરાઈ મહેંદીની હત્યા?
પોલીસના જણાવ્યા અનુસાર, બન્નેએ વડોદરામાં દર્શનમ ઓવરસીઝમાં ફ્લેટ ભાડે રાખ્યો. દિકરા શિવાંશ સાથે ત્રણેય ભાડે રહેતા હતા. શનિ-રવિ મૂળ પત્ની, માતા-પિતા સાથે આવતો હતો. જોકે મૂળ પરિવારે 2 દિવસ પહેલા વતન(ઉત્તરપ્રદેશ) જવાનુ કહ્યું હતું. આ બાબતમાં સચિન અને મહેંદી વચ્ચે મોટો ઝઘડો થયો હતો.
સચિને પરિવાર સાથે ઉત્તરપ્રદેશ જવાની વાત કરી ત્યારે છોકરીએ કહ્યું કાંતો પરિવારને રાખ કાં તો મને રાખ. મહેંદીએ સચિનને પોતાની સાથે રહેવા ફોર્સ કર્યો હતો. આ મામલે બન્ને વચ્ચે માથાકૂટ થતાં સચિને ગળુ દબાવીને હત્યા કરી હતી. આવેશમાં આવીને ઝઘડો થયો અને હત્યા કરાઈ હતી. હત્યાનો પ્રી પ્લાન હોય તેવું લાગી રહ્યું નથી. ગઇકાલે મહેંદીની માતાએ પોલીસને સંપર્ક કર્યો ન હતો.
શું છે સમગ્ર મામલો?
2 દિવસ અગાઉ મોડી રાતે ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતેથી એક બાળક મળી આવતા ચકચાર મચી હતી. પોલીસને આ મામલાની જાણ થયાં બાદ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક કોર્પોરેટર દિપ્તી બેન દ્વારા બાળકની સાર સંભાળ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી રહી છે. આ ઘટના ક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પોતાના તમામ કાર્યક્રમો અટકાવીને બાળકને મળવા પહોંચ્યા હતા અને પોલીસની 7 ટીમો દ્વારા માતા-પિતાની શોધખોળ હાથ ધરાઈ રહી હોવાનું નિવેદન આપ્યું હતું, આ તપાસના 24 કલાકમાં જ ગુજરાત પોલીસની મહેનત રંગ લાવી અને બાળકના પિતા ગાંધીનગર સ્થિત સેક્ટર 26માં રહેતા હોવાનું સામે આવ્યું અને કાર પણ મળી આવી હતી. જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરતા પડોશીએ બાળક સચિન દિક્ષીતનું નહીં હોવાનું કહેતા મામલો વધુ સંદિગ્ધ બન્યો હતો. અંતે પોલીસે બાળકના પિતાની ધરપકડ કરીને પૂછપરછ કરતા પ્રેમ સંબંધમાં બાળક થયું હોવાનું સામે આવ્યું હતું. અંતે દિક્ષીતે પ્રેમિકાની હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું હતું.