ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. 2021ની શરૂઆતમાં ગુજરાતમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે
મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ પૂરજોશમાં
ભાજપે વોર્ડના હાલના કોર્પોરેટર્સ વિશે શરૂ કરી કવાયત
ભાજપે હાલના કોર્પોરેટર્સમાંથી કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી તેની કવાયત શરૂ કરી છે. 2015માં થયેલી ચૂંટણીમાં 192માંથી ભાજપના 142 કોર્પોરેટરો ચૂંટાયા હતા. હાલના 142 કોર્પોરેટરમાંથી 70 જેટલા કોર્પોરેટરની ટિકિટ ભાજપ કાપી શકે છે અને તેમને રિપિટ નહી કરવાનો નિર્ણય કરી શકે છે.
કેમ કપાઈ ટિકિટ?
કોર્પોરેટરની તેમના વોર્ડમાં નબળી કામગીરી સિવાય જ્ઞાતિ સમિકરણ અને બદલાયેલું સિમાંકન ટિકિટ કપાવાના સૌથી મોટા કારણો બની શકે છે. શહેરમાં SC-ST અને OBCની બેઠકોમાં થયેલા ફેરફારોને કારણે પણ કેટલાયે કોર્પોરેટરને ફરી ચૂંટણી મેદાનમાં જવાની તક નહી મળે. જે કોર્પોરેટરોને ટિકિટ નથી મળવાની અથવા જેમને ખબર પડી ચૂકી છે કે તેમને ફરી મોકો નથી મળવાનો એવા કોર્પોરેટર તેમના કુટુંબીઓ માટે લોબિંગ કરી રહ્યાં છે.
પાલડી વોર્ડથી ચૂંટાયેલા મેયર બિજલ પટેલને ભાજપ રિપિટ કરશે. જ્યારે વાસણા વોર્ડથી 1995થી ચૂંટાતા પૂર્વ મેયર અમિત શાહ તેમના દીકરાને મેદાનમાં ઉતારવા તૈયારીઓ કરી શકે છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અમૂલ ભટ્ટ મણીનગરથી તો ડેપ્યૂટી મેયર દિનેશ મકવાણા સૈજપુર વોર્ડના બદલે નરોડા-ઠક્કરનગરથી ચૂંટણી લડી શકે છે. જોધપૂર વોર્ડથી પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલની ટિકિટ કપાઈ શકે છે. તો, મહાનગરપાલિકામાં પક્ષના નેતા રહી ચૂકેલા આર.ડી.દેસાઈનું પણ ફરી ચૂંટણી મેદાને ઉતરવું મુશ્કેલ છે. પૂર્વ ડેપ્યૂટી મેયર રમેશ દેસાઈ ઈન્દ્રપૂરી વોર્ડથી ફરી ચૂંટણી લડી શકે છે.
અમદાવાદના ધારાસભ્યો અને સાંસદ સભ્યોનો મત ભાજપ મહાનગરપાલિકાની ચૂંટણીમાં લેવાનું છે. જેથી કોર્પોરેટરો અને ચૂંટણી લડવા માગતા કાર્યકરોએ ધારાસભ્યો-સાંસદ સભ્યોને રીઝવવાનું શરૂ કર્યું છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જેટલા પણ ઉમેદવારોના નામ નક્કી થાય તે તમામની મંજૂરી અમિત શાહ પાસેથી લેવાઈ શકે છે. અમદાવાદમાં ઉમેદવારોના નામમાં પ્રદીપસિંહ જાડેજા અને આઈ.કે.જાડેજાની ભૂમિકા મહત્વની રહેશે. આનંદીબેન પટેલના સમર્થકોની ટિકિટ હાલમાં કપાવાની શક્યતાઓ દેખાઈ રહી છે.