અમદાવાદના સાબરમતી ગાંધીઆશ્રમનું સંપૂર્ણપણે નવીનિકરણ કરવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
સાબરમતી ગાંધીઆશ્રમનો 57 એકરમાં વિકાસ કરાશે
આશરે રૂપિયા 1200 કરોડના ખર્ચે આશ્રમ ડેવલપ કરાશે
રાજ્ય સરકારે 50 કરોડ રૂપિયાની કરી છે ફાળવણી
57 એકરમાં આશરે રૂપિયા 1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધીઆશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવશે અને તેની સાથે આશ્રમના મકાનોને હેરિટેજ સ્વરૂપ અપાશે.
5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવાશે
આ ઉપરાંત અહીં 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો ગેલેરી બનાવાશે. તેમજ મોરારજી દેસાઇની સમાધિ અભયઘાટનો વિકાસ કરાશે. સાથે જ ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ કરાશે. હરિજન આશ્રમ, ગૌશાળા ટ્રસ્ટ, ખાદી ભવનનો પણ વિસ્તાર થશે.
ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી
ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને તેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલાયો છે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીના નવા પાર્લામેન્ટ હાઉસ અને વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઈન કામગીરી બિમલ પટેલે જ સંભાળી છે.