ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં આમ તો ઘણી VIP બેઠકોનો સમાવેશ થાય છે, પરંતુ આ 10 બેઠકો ખૂબ જ ખાસ છે. આ બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર પૂર્ણ
1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર થશે મતદાન
પ્રથમ તબક્કાની આ 10 બેઠકો છે ખૂબ જ ખાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડધમ શાંત થઈ ગયા છે. હવે 1 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. જેમાં સૌરાષ્ટ્રની 48, કચ્છની 6 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકોનો સમાવેશ થાય છે. આ 89 બેઠકો પરના 788 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં આમ તો ઘણી VIP બેઠકોનો સમાવેશ થાય છે, જ્યાંથી વર્તમાન સરકારના મંત્રીઓ અને મોટા નેતાઓ મેદાનમાં છે, પરંતુ તેમાં કુતિયાણા, ભાવનગર પશ્ચિમ, પોરબંદર, વરાછા રોડ, ગોંડલ, કતારગામ, રાજકોટ પૂર્વ, ખંભાળિયા, મોરબી અને જામનગર બેઠકને અતિ મહત્વની માનવામાં આવી રહી છે.
1. કુતિયાણા
પોરબંદરની કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા સતત બે ટર્મથી જીતતા આવ્યા છે. કાંધલ જાડેજા ગુજરાતના 'ગોડમધર' તરીકે જાણીતા સંતોકબેન જાડેજાના પુત્ર છે. બે વાર તેઓ NCPની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ આ વખતે તેઓ સમાજવાદી પાર્ટીના ચિહન સાઇકલ પર ચૂંટણી લડી રહ્યા છે. કાંધલ જાડેજાનો આ વિસ્તારમાં સારો દબદબો છે, જોકે તેમની સામે અનેક ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે. ભાજપે અહીંથી ઢેલીબેનને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપને આશા છે કે મહિલા ઉમેદવાર હોવાનો તેને લાભ મળશે અને અહીં કમળ ખીલશે.
2. ભાવનગર પશ્ચિમ
ભાવનગર જિલ્લાની આ સીટ પરથી ગુજરાત સરકારના વર્તમાન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ચૂંટણી લડી રહ્યા છે, તેઓ 2012થી સતત અહીંથી જીતતા આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણીને ઘેરવા માટે અહીંથી સામાજિક કાર્યકર રાજુ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. રાજુ સોલંકી આમ આદમી પાર્ટીના નવા પોસ્ટ બોય પણ છે. શિક્ષણ અને આરોગ્યને મુદ્દો બનાવનાર આમ આદમી પાર્ટી જીતુ વાઘાણીને હરાવી શકશે? કે પછી વાઘાણી ફરી વિધાનસભામાં પહોંચશે. દરેકની નજર આના પર ટકેલી છે. ગત વખતે જીતુ વાઘાણી 27,185 મતોથી જીત્યા હતા. આ વખતે અહીં લડાઈ ત્રિકોણીય છે. કોંગ્રેસે કિશોરસિંહ ગોહિલ (કે.કે ગોહિલ)ને મેદાનમાં ઉતાર્યા છે.
3. પોરબંદર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર જિલ્લાની આ બેઠક ભારે ચર્ચામાં રહે છે. તેનું કારણ છે ગુજરાતના બે મોટા નેતાઓ વચ્ચેની રાજકીય લડાઈ. 2017ની ચૂંટણીમાં ભાજપના બાબુભાઈ બોખીરિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાને હરાવ્યા હતા. મોઢવાડિયાનો સતત બીજી વખત પરાજય થયો હતો. આ વખતે ફરી બંને નેતાઓ ચૂંટણી જંગમાં આમને-સામને છે. અગાઉની ચૂંટણીમાં બાબુભાઈ માત્ર 1,855 મતોથી જીત્યા હતા. આ વખતે અર્જુન મોઢવાડિયા પરિણામ બદલી શકશે કે કેમ તેના પર સૌની નજર છે.
4. વરાછા રોડ
પાટીદારોનો ગઢ ગણાતી આ બેઠક એટલા માટે ચર્ચામાં છે કારણ કે AAPએ પાટીદાર આંદોલનના અગ્રણી ચહેરા અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે પૂર્વ મંત્રી અને ભાજપના વર્તમાન ધારાસભ્ય કિશોર કાનાણી મેદાનમાં છે. બંને વચ્ચે આમને-સામનેની ટક્કર માનવામાં આવી રહી છે. અલ્પેશ કથીરિયા સૌરાષ્ટ્રના છે. ઓક્ટોબર 2022માં આમ આદમી પાર્ટીમાં જોડાનાર અલ્પેશ કથીરિયા પાટીદાર આંદોલનમાં હાર્દિક બાદ નંબર-2 હતા. જોવાનું એ છે કે અલ્પેશ કિશોર કાનાણીના ગઢમાં ઘૂસી શકશે કે પછી ફરી કમળ ખીલશે?
5. ગોંડલ
રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક બે ક્ષત્રિય પરિવારોની વર્ચસ્વની લડાઈને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ બેઠક પરથી ભાજપે ફરી એકવાર વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની છે તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા)ને ટિકિટ ન મળતા નારાજ છે અને તેઓએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. હવે આવી સ્થિતિમાં આ બેઠક પરથી કોણ જીતશે તેના પર દરેકની નજર છે.
6. કતારગામ
ભૂતકાળમાં ક્લાર્ક તરીકે કામ કરી ચૂકેલા ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પાટીદાર મતદારોની સારી સંખ્યા ધરાવતી આ બેઠક પર તેમનો મુકાબલો વિનુ મોરાડિયા સામે છે. ભાજપના નેતા વિનુ મોરડિયાનો અહીં સારો દબદબો છે. આ બેઠક વિનુ મોરડિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે સામ-સામેની હરીફાઈના કારણે ચર્ચામાં છે. કોંગ્રેસે આ બેઠક પરથી કલ્પેશ વારિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ત્રણેય પક્ષોએ અહીં પ્રચારમાં પૂરી તકાત લગાવી દીધી હતી. હવે જોવાનું એ રહેશે કે કતારગામમાં કોનો ડંકો વાગે છે.
7. રાજકોટ પૂર્વ
શું કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ જિલ્લાની પૂર્વ બેઠક ફરીથી કબજે કરી શકશે? દરેક આ પ્રશ્નના જવાબની રાહ જોઈ રહ્યા છે. AAPમાંથી કોંગ્રેસમાં પરત ફર્યા બાદ ધનકુબેર ઈન્દ્રનીલ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. ગત વખતે આ સીટ પર ભાજપે બાજી મારી લીધી હતી અને અહીં અરવિંદ રૈયાણી જીત્યા હતા, જ્યારે 2012માં આ સીટ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જીતી હતી. આ વખતે ભાજપે ઉદય કાનગડને અને AAPએ રાહુલ ભુવાને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં આ સીટ ખૂબ જ ચર્ચામાં છે.
8. ખંભાળિયા
આમ આદમી પાર્ટીનો સીએમ ચહેરો ઈસુદાન ગઢવી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે આ બેઠક ખૂબ જ ચર્ચામાં છે. OBC વર્ગમાંથી આવતા ઇસુદાન ગઢવી રાજકારણમાં જોડાતા પહેલા પત્રકાર હતા, ઈસુદાન ગઢવીને ચૂંટણી રણમાં કડી તક્કર મળી રહી છે. અહીં છેલ્લા કેટલાય દાયકાઓથી આહિર સમાજના જ ઉમેદવારની જીત થાય છે. આવા સંજોગોમાં શું ઇસુદાન ગઢવી જાતિ બંધનને તોડીને જીતી શકશે? અથવા તેમણે પ્રથમ વખત જ વિપરીત પરિણામ ભોગવવું પડશે? દરેકની નજર આના પર ટકેલી છે. ભાજપે પોતાના ઉમેદવાર તરીકે મુળુભાઈ બેરાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમને રિપીટ કર્યા છે. આ બેઠક દ્વારકા જિલ્લામાં આવે છે.
9. મોરબી
ચૂંટણી પહેલા ઝુલતા પુલ દુર્ઘટનાને કારણે ચર્ચામાં આવેલા સૌરાષ્ટ્રના આ જિલ્લામાં શું ભાજપને નુકસાન થશે? આ પ્રશ્ન દુર્ઘટના સમયથી જ ઉઠી રહ્યો છે. જેના કારણે મોરબી વિધાનસભા બેઠકના પરિણામ પર સૌની નજર ટકેલી છે. ભાજપે પોતાના વર્તમાન ધારાસભ્ય અને મંત્રી બ્રજેશ મેરજાની ટિકિટ કાપીને અહીંથી પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને મેદાનમાં ઉતાર્યા છે. 2017ની ચૂંટણીમાં બ્રજેશ મેરજાએ કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડીને મેરજા જીત્યા હતા, હવે તેઓ મેદાનમાં નથી. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા શું ભાજપ માટે બેઠક બચાવી શકશે? તેના પર દરેકની નજર છે.
10. જામનગર ઉત્તર
જામનગર ઉત્તર બેઠક પર અત્યાર સુધી ભાજપનો કબજો હતો. ધર્મેન્દ્રસિંહ જાડેજા અહીંથી ધારાસભ્ય હતા, પરંતુ આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને સ્ટાર ક્રિકેટરના પત્ની રીવાબા જાડેજાને તક આપી છે. રીવાબા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. અહીં રિવાબા કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ હાઈપ્રોફાઈલ હરીફાઈ કરતા વધુ પારિવારિક મતભેદો માટે ચર્ચામાં છે. રીવાબાની સામે તેમના નણંદ નયનાબા જાડેજા કોંગ્રેસમાં હોવાથી મુશ્કેલીઓ વધારી રહ્યા છે, ત્યારે હવે તેમના સસરા અને રવિન્દ્ર જાડેજાના પિતાએ પણ પુત્રવધૂનો વિરોધ કર્યો છે. આવી સ્થિતિમાં આ બેઠક મહત્વની બની ગઈ છે. આ બેઠક ક્ષત્રિય પ્રભુત્વ ધરાવે છે.