ગુજરાતમાં રવિવારે મનપાની ચૂંટણી થવાની છે પરંતુ આ ચૂંટણીમાં લોકોને મતદાન મથક જાતે જ શોધવું પડશે.
કોરોનાના કારણે ઘરે ઘરે નહીં આવે કર્મચારીઓ
સાઇટ પર જઇને જાતે જ શોધવું પડશે મતદાન કેન્દ્ર અને બૂથ નંબર
જિલ્લા કલેકટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવ્યો
આજે શાંત થઈ જશે પ્રચારના પડઘમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે. જોકે કોરોના વાયરસના કારણે આ વખતે ચૂંટણી અધિકારીઑ લોકોના ઘરે સ્લીપ નું વિતરણ કરવા નહીં આવે.
મતદાન સ્લીપ નહીં મળે
ગુજરાતમાં રવિવારે લાખો લોકો મત આપવાના છે પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે લાખો ઘરો સુધી મતદારોને મતદાન મથકનું સરનામું અને બૂથ નંબર દર્શાવતી સ્લીપનું વિતરણ કરવાનું કામ કરવામાં આવશે નહીં. ચૂંટણી આયોગે કર્મચારીઓને ચેપ લાગે તે ભયથી આ નિર્ણય લીધો છે.
સાઇટ પરથી મળશે માહિતી
આ નિર્ણયના કારણે હવે લાખો મતદારોએ ટેકનોલોજીના માધ્યમથી પોતાનો મતદાન મથક અને બૂથ નંબરની માહિતી મેળવવી પડશે. ચૂંટણી આયોગની વેબસાઇટ પરથી મતદાર ઓળખકાર્ડ નંબરની મદદથી મતદાન મથક, બૂથની માહિતી મળી જશે.
આ સિવાય મતદારયાદીમાં ભૂલ વગેરે કામ માટે જિલ્લા કલેકટર કચેરીમાં કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. 079-27569105 નંબર જાહેર કરવામાં આવ્યો છે.