રૂ. ૫૩,૦૦૦ કરોડના બાકી નીકળતા એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના પેમેન્ટ મામલે વોડાફોન-આઇડિયાના ચેરમેન કુમાર મંગલમ્ બિરલા ટેલિકોમ સેક્રેટરી અંશુપ્રસાદને મળ્યા હતા. વોડાફોન-આઇડિયાએ અત્યાર સુધીમાં એજીઆર પેટે રૂ.૨,૫૦૦ કરોડનું પેમેન્ટ કર્યું છે અને બીજા રૂ.૧,૦૦૦ કરોડ શુક્રવાર સુધીમાં આપવાની વાત કરી છે. સરકારે વોડાફોન-આઇડિયાની બેન્ક ગેરંટી જપ્ત કરવાની વાત કરી છે, પરંતુ બિરલા સાથેની બેઠકમાં ગેરંટી બચાવવાની ચર્ચા થઇ હતી.
વોડાફોન-આઈડિયાને જીવતદાન હાલ તુરત ગેરંટી જપ્ત નહીં થાય
કોઈ રસ્તો કાઢવા ટેલિકોમ અને નાણાં મંત્રાલયના અધિકારીઓની કેબિનેટ સેક્રેટરી સાથે બેઠક
અહેવાલો અનુસાર સરકાર હાલ તુરત વોડાફોન-આઇડિયાની બેન્ક ગેરંટી જપ્ત કરશે નહીં. ટેલિકોમ અને ફાઇનાન્સ મંત્રાલયના અધિકારીઓ આ સંદર્ભમાં કેબિનેટ સેક્રેટરી રાજીવ ગોબાને મળ્યા હતા અને હાલના તબક્કે ટેલિકોમ સેક્ટરમાં ત્રણ પ્રાઇવેટ પ્લેયર્સ ચાલુ રહે તે બાબતે ચર્ચા કરી હતી.
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ અંગે મંગળવારે બેઠકનો પ્રથમ દોર યોજાયો હતો અને સરકાર પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ ખાસ કરીને વોડાફોન-આઇડિયા દ્વારા ચૂકવવાપાત્ર રકમ માટે તેને રાહત આપવાનું વિચારી શકે છે કે જેથી તેમને એજીઆરનું પેમેન્ટ કરવા માટે થોડોક સમય મળે.
અધિકારીએ જણાવ્યું હતું કે જો હાલ તુરત વોડાફોન-આઇડિયાની બેન્ક ગેરંટી જપ્ત કરાશે તો તેના પગલે તેનું લાઇસન્સ તાત્કાલિક રદ કરવું પડશે અને તેથી સરકાર ખૂબ જ કાળજીપૂર્વક વિચારણા કર્યા બાદ આ અંગે આખરી નિર્ણય લેશે. અત્યારે એજીઆર પેમેન્ટ બાબતે કોઇ રસ્તો કાઢવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
સરકાર ટેલિકોમ કંપનીઓ ડિફોલ્ટ ન કરે તે માટેના માર્ગ શોધી રહી છે. આ અધિકારીએ એવું પણ જણાવ્યું કે સરકાર વોડાફોન-આઇડિયાને એજીઆરના બાકી નીકળતા પેમેન્ટ સામે ટેક્સ ઓફસેટ આપી શકે તેમ નથી.