પ્રાઈવેટ સેક્ટરની ટેલિકોમ કંપની વોડાફોન આઈડીયા કંપની ઘણા સમયથી ખોટનો ધંધો કરી રહી છે અને આર્થિક સંકટથી પસાર થઇ રહી છે. સરકાર અનુસાર આ કંપનીએ હજુ સરકારને AGRનાં 58,250 કરોડ રૂપિયા ભરવાના બાકી છે. અત્યાર સુધી કંપની તેમાંથી 7,854 કરોડ રૂપિયા જ ભરપાઈ કરી શકી છે.
બલેશ શર્માનાં રાજીનામાં બાદ હવે રાજીવ ઠક્કરની નિયુક્તિ
3 વર્ષના કાર્યકાળમાં ઠક્કરને નહીં મળે વેતન
કંપનીના યુઝર્સ 2018માં 43 કરોડ હતા જે અત્યારે 30.9 કરોડ થઇ ગયા
બલેશ શર્માને 8.59 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળતું હતું
આર્થિક સંકટથી પસાર થઇ રહેલ કંપનીની હાલત એવી થઇ છે હવે કૉસ્ટ કટિંગ કરવાનો વારો આવ્યો છે. કંપનીએ પ્રસ્તાવ કર્યો છે કે મેનેજિંગ ડીરેક્ટર અને CEO રાજીવ ઠક્કરને 3 વર્ષ સુધીના કાર્યકાળ માટે વેતન આપવામાં આવશે નહીં.
ઠક્કરની નિયુક્તિની શરતોમાં કહેવામાં આવ્યું છે કે વોડાફોન આઈડીયા લિમિટેડ કંપની માટે કરવા પર તેમને યાત્રા, રહેવા-જમવા, મનોરંજન અને અન્ય ખર્ચા કંપની નીતિના અનુરુપ રહીને ઉઠાવી શકે છે. પણ ઠક્કરને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અથવા કમિટીની મિટિંગમાં સામેલ થવા માટે કોઈ પણ પ્રકારની ફીસ આપવામાં આવશે નહીં.
ઠક્કર પહેલા બલેશ શર્માને કંપનીએ વાર્ષિક 8.59 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું. જોકે વેતનમાં કોઈ પણ પ્રકારનો વધારો આપવામાં આવ્યો ન હતો. એવામાં બલેશ શર્માનાં રાજીનામાં બાદ કંપનીએ ઠક્કરની નિયુક્તિ 3 વર્ષ માટે કરી છે. તેમનો કાર્યકાળ 19 ઓગસ્ટ 2019થી શરુ થયો છે જેમાં તેમના કાર્યકાળ દરમિયાન શૂન્ય વેતન આપવામાં આવશે.
નોંધનીય છે કે કંપનીની 25મી સામાન્ય વાર્ષિક બેઠક એટલે કે AGM 30મી સપ્ટેમ્બરે યોજાવાની છે. બેઠકમાં ઠક્કરની નિયુક્તિ અને અન્ય પ્રસ્તાવ પર શેર હોલ્ડર્સની મંજૂરી લેવામાં આવશે. આ સાથે જ બેઠકમાં કંપનીની પોતાની લોન સીમા 25 હજાર કરોડ રૂપિયાથી વધારીને એક લાખ કરોડ કરી દેવામાં આવે તેવો પ્રસ્તાવ પણ મૂકાય તેવી શક્યતા છે.
નોંધનીય છે કે ઘણા સમયથી વોડાફોન આઈડીયા કંપનીની હાલત ખરાબ થઇ રહી છે. કંપનીને આર્થિક નુકસાન તો થઇ જ રહ્યું છે પણ સામે યુઝર્સની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. ઓગસ્ટ 2018માં જ્યારે બે કંપનીઓનું મર્જર કરવામાં આવ્યું ત્યારે 43 કરોડ યુઝર્સ હતા પણ અત્યારે તે ઘટીને 30.9 કરોડ પર પહોંચી ગયા છે.