રિલાયન્સ જિયોના પ્લેટફોર્મમાં વિદેશી રોકાણ બાદથી રિલાયન્સ કંપની મોટા નિર્ણયો લઇ રહી છે. એવામાં આ નિર્ણયોથી વોડાફોનને જોરદાર ઝટકો લાગી શકે છે. રિલાયન્સ કંપનીની 43મી જનરલ મિટિંગમાં ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે દેશને 2G મુક્ત કરવાનો છે. ભલે આ જાહેરાત માત્ર જિયોના પ્લાન માટે હતી પરંતુ વોડાફોનને આ જાહેરાતથી ઝટકો લાગી શકે છે.
મુકેશ અંબાણીએ કહ્યું 2G મુક્ત દેશ કરીશું
જિયો અને ગૂગલ મળીને લોન્ચ કરશે સ્માર્ટફોન
અન્ય કંપનીના 2G યુઝર્સ જિયો તરફ ખેંચાઈ શકે
કેમ લાગશે ઝટકો
નોંધનીય છે કે વોડાફોન કંપનીનાં મોટા ભાગના યુઝર્સ 2જી સબસ્ક્રાઈબર્સ છે. છેલ્લા ત્રણ વર્ષમાં જિયોએ સસ્તા ફીચર ફોનના માધ્યમથી દસ કરોડ યુઝર્સ પોતાની તરફ ખેંચી લીધા છે. સસ્તા ભાવમાં 4G મળવાના કારણે ઘણા બધા યુઝર્સ જિયો તરફ આકર્ષાઈ ગયા. એવામાં હવે રિલાયન્સ જિયો અને ગૂગલ સાથે મળીને સ્માર્ટફોન લાવવા જઈ રહ્યા છે.
અંબાણીની રણનીતિ છે કે દેશમાં અત્યારે વર્તમાનમાં 35 કરોડથી વધારે ફીચર ફોન યુઝર્સને આ નવા ફોન તરફ લાવવા. નિષ્ણાતોનું માનવું છે કે આમ કરવામાં આ કંપની સફળ પણ થઇ શકે છે.
દેશની બે મોટી ટેલિકોમ કંપનીના ગ્રાહકો 2G યુઝર્સ છે. એરટેલ કંપનીમાં 47% એટલે કે 13.5 કરોડ યુઝર્સ 2G વાપરે છે જ્યારે વોડાફોન આઈડીયાના 60 ટકા યુઝર્સ 2G નેટવર્ક વાપરે છે. એવામાં સતત પોતાના યુઝર્સ ગુમાવી રહેલ કંપનીઓ માટે હવે હરીફાઈ વધી જશે.
દુનિયામાં 5G ટેકનોલોજી મામલે રિલાયન્સ કંપનીને મોટી તક મળી શકે છે કારણ કે ચીનની Huaweiને દુનિયાભરમાં આશંકાની નજરે જોવામાં આવે છે અને અમેરિકાના વિદેશમંત્રીએ હાલમાં રિલાયન્સને એક સાફ કંપની કહી હતી. આમ રિલાયન્સ કંપની ભારત જ નહીં દુનિયાભરમાં 5G મામલે સફળ થઇ શકે છે.